બે બાઇક સામ-સામે અથડાતા ત્રણ છાત્ર સહિત ચાર અને બનાસકાંઠામાં ઘો.૧૨ના બે વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા : પરિવારમાં કરૂણ આક્રંદ ફેલાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ધોરણ 12ની પરીક્ષા આપીને પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. ઉચ્છલ નિઝર હાઇવે પર નિઝર સીમમાં બે બાઇક સામસામે અથડાતાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત કુલ ચાર લોકોના મોત થયાં છે. ત્રણના ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું છે.
નિઝર ખાતે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપીને પરત ફરી રહેલા ગંગથા ગામના 3 યુવાનોની બાઈક સામેથી આવી રહેલી અન્ય એક બાઈક સાથે અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓ તેમજ સામેની બાઈકમાં સવાર યુવકનું મોત થયું છે. આમ આ અકસ્માતમાં ચારના મોત થયા છે. એક સાથે ચારના મોતને પગલે હાઈવે રકત રંજિત થયો હતો.
અનિકેત રેહમાનસીંગ વસાવે (રહે. ગંગથા) 20 વર્ષ અભિજીત મંગલસીંગ વસાવે (રહે. ગંગથા) 18 વર્ષ પિયુશ રાજુ વળવી (રહે. બોરીકુવા) 18 વર્ષ નારસિંગ સુનિયાભાઈ વળવી (અકલકુવા, ગામ: જામઠી) 21 વર્ષ
આ ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માત બાદ તરત જ બાઈકમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. આ કરુણ ઘટનામાં બંને બાઈક પર સવાર કુલ ચાર આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવકો કુકરમુંડા તાલુકાના ગંગથા અને બોરીકુવા ગામના રહેવાસી છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ચોથા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
ઘટનાની જાણ થતા જ નિઝર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અનિકેત રેહમાનસીંગ વસાવે (રહે. ગંગથા) અભિજીત મંગલસીંગ વસાવે (રહે. ગંગથા) પિયુશ રાજુ વળવી (રહે. બોરીકુવા) તાપી ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડનું પેપર આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો.
બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરી હાઈવે પર આજે (11 માર્ચે ) ભયાનક અકસ્માત સર્જાયો હતો. ભેરૂનાથ હોટેલ પાસે ટેન્કરની ટક્કરે બાઈક સવાર બે વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત થયા છે. ધોરણ-12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે બંન્ને વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે ટેન્કરે બાઈક પર સવાર બંને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. જેના કારણે બંન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ સાતસણ ગામના લાલાભાઈ ચૌધરી અને ગુંદરી ગામના હરેશસિંહ રાજપૂત તરીકે થઈ છે. જે બંન્ને પાંથાવાડાની હાઈસ્કૂલમાં ધોરણ-12 આર્ટ્સનું પેપર આપવા જઈ રહ્યા હતા.


