જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત
બે લોકોને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના ધોરાજી રોડ પર સોજીત્રા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ બાદ ગઈ કાલે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મંડપ ખોલવાની કામગીરી દરમિયાન લોખંડની સીડી હાઈટેન્શન વીજ લાઈનને અડકી જતાં લાગેલી વીજળીના કરંટ થી એક પરપ્રાંતિય શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરના ધોરાજી રોડ પર આવેલા શ્રીનાથ ધામ તત્કાલ હનુમાન મંદિર સામે સોજીત્રા પરિવાર દ્વારા ગત તારીખ ૨૧ થી ૨૭ દરમિયાન ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કથા પૂર્ણ થયા બાદ ગઈ કાલે પરપ્રાંતિય મજૂરો દ્વારા મંડપ ખોલવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન લોખંડની સીડી અચાનક ઉપરથી પસાર થતા ૧૧ KV ના વીજ તારને અડકી ગઈ હતી. સીડી લોખંડની હોવાથી ક્ષણભરમાં જ તેમાં જોરદાર કરંટ ઉતર્યો હતો અને કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
આ કરુણ ઘટનામાં ૨૫ વર્ષીય શ્રમિક સનીકુમાર સરોજનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે શ્રમિકો, મનજીત કુમાર સરોજ (૨૫ વર્ષ) અને સીવકુમાર સરોજ (૩૩ વર્ષ) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ PGVCL નો સ્ટાફ દોડી આવ્યો હતો અને તાત્કાલિક પાવર સપ્લાય બંધ કરાવ્યો હતો. જેતપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક સનીકુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.


