સરકારની સીટ, સત્ય શોધક સમિતિના સંકલનમાં થયેલી તપાસમાં ૧૫ની ધરપકડ : ૨૫૦ નિવેદનો લેવાયા : અઢી લાખ પાનાની ચાર્જશીટ બનશે
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની તપાસમાં એક તરફ અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી કાનૂનનો હાથ પહોંચ્યો નથી ત્યારે બીજી બાજુ તપાસ પૂર્ણ થઇ ગઇ છે અને તપાસ સમિતિઓ હવે રિપોર્ટ તથા ચાર્જશીટ માટે ઉતાવળ કરી રહ્યા છે. આગામી ૨૨મી તારીખે રાજકોટના અગ્નિકાંડની ચાર્જશીટ વિવિધ સમિતિઓ કોર્ટમાં રજૂ કરશે. અત્યાર સુધીમાં આ કેસમાં ૧૫ શખ્સોની ધરપકડ થઇ છે. ૨૫૦થી વધુ નિવેદનો નોંધાયા છે અને અઢી લાખ પેજની કુલ ચાર્જશીટ બની હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હવે માત્ર એફએસએલ સહિતના પૂરાવાઓની કડી જોડાઈ રહી છે અને આગામી તા.૨૨ જૂલાઈએ આ અગ્નિકાંડને અને તેનો ગુનો નોંધાયાને ૨ માસ પૂરા થાય તે પહેલા જ કોર્ટમાં તોતિંગ કદનું ચાર્જશીટ રજૂ કરવા પોલીસ જહેમત ઉઠાવી રહી છે.
રાજકોટ સિટ ઉપરાંત સરકારની સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી સિટ અને ત્યારબાદ અશ્વનીકુમાર સહિતની સત્યશોધક કમિટિ રચાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ત્રણેય સમિતિઓના રિપોર્ટમાં વિરોધાભાસ ન જન્મે તેની કાળજી લેવાઈ હતી અને એક લાઈન ઉપર સંકલનથી તપાસ થતી હતી.
શહેર પોલીસની સિટ દ્વારા આશરે ૨૫૦થી વધુ નિવેદનો લેવાયા છે. મહાપાલિકા, પોલીસ, પી.ડબલ્યુ.ડી. સહિત સરકારી કચેરીઓમાંથી થોકબંધ સાહિત્ય કબજેકરાયું છે. આદરમિયાન પોલીસમાંથી ગેમઝોનને મંજુરી બાબતની એક ફાઈલ ગુમ થયાની વિગતો પણ બહાર આવી હતી જે કોણે કરી તે હજુ સવાલ જ રહ્યો છે.
ગુનાના કામે દોઢ માસની તપાસમાં પૂર્વ ટી.પી.ઓ., ચીફ ફાયર ઓફિસર સહિત ૮ અધિકારીઆની ધરપકડ કરીને રિમાન્ડ પર લઈ જેલહવાલે કરાયા છે અને પોલીસની ઉંડી તપાસમાં સાગઠીયા, મકવાણા સહિત ટી.પી.ની ટોળકીએ રેકર્ડ સાથે ચેડાં કર્યાનો અને સાગઠીયા ઉપરાંત પૂર્વ ડે.ચીફ ફા. ઓફિસર ઠેબાએ અપ્રમાણસર મિલ્કત વસાવ્યાનું પણ ખુલ્યું હતું. જ્યારે પોલીસના ચાર ઈન્સપેક્ટરો, પી.ડબલ્યુ.ડી.ના એન્જિનિયરો વગેરે માત્ર સસ્પેન્ડ કરાયા છે અને પોલીસ કમિશનર તથા મ્યુનિ.કમિશનરની બદલી કરાઈ છે અને મનપાના પૂર્વ કે વર્તમાન પદાધિકારીઓ સહિત નેતાઓને સંપૂર્ણ ક્લીનચીટ આજ સુધી અપાઈ છે. પોલીસસૂત્રો અનુસાર તપાસ મનપાના અધિકારીઓની ગુનાહિત અને પોલીસ અધિકારીઓની વહીવટી બેદરકારી જણાઈ છે અને તે મૂજબ પગલા લેવાયા છે.