ફ્રાન્સના પેરિસમાં 3૦૦ મુસાફરો સાથેની એક ફલાઇટને ડિટેઇન કરવામાં આવી હતી. આ ફલાઇટ દ્વારા માનવ તસ્કરીની શંકાએ ફ્રાન્સ સતાવાળાઓએ ફલાઇટને ત્રણ દિવસ રોકી હતી. આ ફલાઇટમાં ૯૦થી વધુ ગુજરાતીઓ હતાં. તેમાં બાળકો પણ હતાં. બહાર આવેલી વિગત મુજબ અમેરિકામાં ઘુસણખોરી કરવા માટે આખી ગેંગ કામ કરે છે. જે માનવ તસ્કરી માટે દુબઇ વાય નિકારાગુઆ થઇ મેકિસકોનો રસ્તો અપનાવે છે. મેકિસકોથી અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરાવે છે. આ ઘુસણખોરી ખુબ ખતરનાક હોય છે. જેમાં વિષમ હવામાનમાં પગપાળા અને વાહનો દ્વારા સેંકડો કિલોમીટર જોખમી રીતે કાપવાના હોય છે. પનામાના જંગલો વિંધીને જીવના જોખમ ઉઠાવીને ગુજરાતીઓ ગેરકાયદે અમેરિકામાં ઘુસી આશ્રય માંગે છે. અને પછી ત્યાં કાયમી રહી જવાના સપના જુએ છે.
માનવ તસ્કરી કરતાં વિમાનના મુસાફરોની તપાસ કરતાં જે વિગતો બહાર આવી તે ચોંકાવનારી હતી. આખુ વિમાન ચાર્ટર્ડ કરી ગેરકાયદે માનવ તસ્કરી કરાતી હતી. આવી ત્રણ ફલાઇટ તો સફળતા પૂર્વક લેન્ડ થઇ ચુકી હોવાની વિગતો બહાર આવી છે. હજુ આ ફલાઇટ ન પકડાઇ હોત તો ભારતથી વાયા દુબઇ રૂટ થઇન વધુ એક ફલાઇટ પણ નિકારાગુઆ જવા તૈયાર હતી.
એક સમય એવો હતો કે કોઇ ગુજરાતી વિદેશ જાય તો તેને માનની નજરથી જોવામાં આવતાં હતાં.તેમને એન.આર.જી.નું સ્ટેટસ પણ મળે છે. અમેરિકામાં ડોલર કમાઇ ભારતમાં બચતની રકમ મોકલતાં આ બિનનિવાસી ભારતિયો થોડા લાડકાં પણ ખરા. સરકારને પણ વિદેશી હુંડિયામણ મળે એટલે આવા બિનનિવાસી ભારતિયોને આવકારવામાં આવે છે. પરંતુ વિદેશ જવાની ભારતિયો ખાસ કરીને ગુજરાતીઓની ઘેલછા હવે ક્રાઇમનું સ્વરૂપ લઇ ચુકી છે તાજેતરમાં ફ્રાન્સમાં અટકાવાયેલ 3૦૦થી વધુ ભારતિયો સાથેના વિમાનમા માનવ તસ્કરીની શંકા છે. આ ઘટનાને એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગણાવી શકાય. કારણ કે એક ચાર્ટર્ડ વિમાન ગેરકાયદે ઉડીને જાય એ ખુબ જ ગંભીર ગુનો છે.
હૈદરાબાદના રેડ્ડીએ મોકલેલા અને પેરિસમાં ઝડપાયેલા વિમાનમાં કેટલાક બાળકો પણ છે. આ બાળકોને તેમના વાલિઓએ એકલાં મોકલીને જે મુર્ખાઇ કરી છે. ઝડપાયેલા ગુજરાતીઓમાં ૯૦થી વધુ મહેસાણા પંથકના છે. એ ગુજરાતીઓની ઘુસણખોરીએ ગુજરાત સરકારની મુંઝવણ વધારી છે.
છેલ્લો કિસ્સો સામે આવ્યો છે તેમાં ગામડાના લોકોને એજન્ટ ટાર્ગેટ કરે છે. ઉતર ગુજરાતના મહેસાણાના ગામડાના ૯૦ લોકો આ વિમાનમાં હતાં. ગામડામાં રહેતાં અશિક્ષિત લોકોનો એજન્ટો ફાયદો લ્યે છે. જેમાં અમેરિકન વિઝા આપવાની લાલચ આપીને પૈસા ખંખેરે છે. અમેરિકામાં ર૦ર3ના વર્ષમાં જ ૯૦ હજારથી વધુ લોકો ગેરકાયદે ઘુસ્યા છે. બ્રિટનના વડાપ્રધાને પણ ગેરકાયદે ઘુસણખોરીને રોકવા માટે તાકિદ કરી કડક નિયમો બનાવવાનું કહયુ છે.
જે લોકો અમેરિકામાં પહોંચી ગયા છે અને ગેરકાયદે રહે છે અથવા વિઝા નથી મળ્યા એ લોકોની જીંદગી દોઝખ જેવી બની જાય છે તેની લોકોને ખબર નથી. તેમને ત્યાં મોલ અને મોટેલોમાં પહેલાં દિવસથી કચરા પોતા કરવા,ટોઇલેટ સાફ કરવા અને વતનમાં કદી ન કર્યા હોય તેવા ગુલામીના કામ કરવા પડે છે.
આમ છતાં ડોલર કમાવાની ઘેલછામાં હજારો ભારતિયો અને ગુજરાતીઓ અમેરિકા જવા જોખમ ઉઠાવે છે. આ બાબતે હવે સરકારે જાગૃતિ ઝુંબેશ ચાલુ કરવી પડે તેમ છે. તેમજ આવા લોકોને ટાર્ગેટ કરતાં એજન્ટોની નેકસસ પણ તોડવી પડે એમ છે. ગેરકાયદે વિદેશ જનારાઓ ન માત્ર પોતાનો જીવ જોખમમાં મૂકે છે. પરંતુ પરિવાર અને દેશને માટે પણ મુશ્કેલી સર્જે છે.