અગ્ર ગુજરાત, રાજકોટ
પરમ કૃપાળુ પરમાત્મા ત્રિલોકીનાથ વીર વર્ધમાન – મહાવીરનો આત્મા કર્મના સંયોગે ઋષભદત્ત બ્રાહ્મણના ઘેર માતા દેવાનંદાની કુક્ષિમાં સાડી બ્યાસી રાત્રિ રહ્યા બાદ દેવો દ્રારા ગર્ભનું સંહરણ થયું. માતા ત્રિશલાને અર્ધ જાગૃત અવસ્થામાં હાથી,દેવ વિમાન આદિ ચૌદ મહા સ્વપ્ન આવ્યાં. ત્રિશલા માતાએ ધર્મ જાગરિકા કરતાં રાત વ્યતિત કરી અને સુપ્રભાત થતાં જ સિધ્ધાર્થ રાજાને સપનાની વાત કરી.રાજાએ કુશળ સ્વપ્ન પાઠકોને બોલાવી સપનાનું ફળ બતાવવા આજ્ઞા કરી.સ્વપ્ન પાઠકોએ કહ્યું હે મહારાજા ધિરાજ!
તમારે આંગણે જગતનો નાથ,કરૂણાસાગર,સિંહ જેવો શૂરવીર,ચંદ્ર જેવો નિર્મળ,સૂર્ય જેવો ઓજસ્વી અને તેજસ્વી મહાપુરુષ અવતરશે. માતા ત્રિશલાની કૂખે ગર્ભ ધારણ થતાં જ સારાયે ક્ષત્રિયકૂંડ નગરમાં ધન – ધાન્ય આદિ અપરંપાર વૃદ્ધિ થવા લાગી. ગર્ભકાળ પૂર્ણ થતાં જ ચૈત્ર સુદ તેરસના દેવાધિદેવનો જન્મ થયો. ચોસઠ ઈન્દ્રો,છપ્પન દિશા કુમારીકાઓ તથા મનુષ્ય લોકના માનવીઓએ જન્મ કલ્યાણક મહોત્સવ આનંદોલ્લાસ પૂર્વક ઊજવ્યો.ત્રણે લોકમાં પ્રકાશ – અજવાળા પથરાઈ ગયાં. માતા – પિતાએ ગુણ નિષ્પન એવું ” વર્ધમાન “નામ રાખ્યું. જૈનાગમ સૂયગડાંગ સૂત્ર અધ્યયન છ,અનુસાર ભગવાન મહાવીરના વીર, વર્ધમાન, સન્મતિ, વૈશાલિક, જ્ઞાત પુત્ર વગેરે નામોલ્લેખ છે.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પ્રભુ મહાવીરે સતત સાડા બાર વર્ષ અને એક પખવાડિયા સુધી આર્ય અને અનાર્ય દેશમાં,કયારેક ઉદ્યાનમાં તો કયારેક જંગલમાં વિચરણ કરી દેવ,મનુષ્ય અને તિયઁચકૃત અનેક પરિષહો અને ઉપસર્ગોને હસતાં મુખે સમતા ભાવે સહન કરી જગતને સંદેશો આપ્યો કે..
એક જ રાતમાં સંગમ નામના દેવે વીસ – વીસ ઉપસર્ગો આપ્યાં છતાં કરૂણાનિધાને સહન કર્યાં.. કહેવાય છે કે પ્રભુની આંખમાંથી કરૂણાના બે બિંદુ ટપકી પડ્યાં કે…આ સંગમનું શું થશે? ચંડ કૌશિક સર્પ કે જેની દ્રષ્ટિમાં હળાહળ ઝેર હતું તેણે જયારે પરમાત્માને ડંખ દીધા ત્યારે પ્રભુના મુખમાથી શબ્દો સરી પડેલ… સંબુજ્જ..કિં..ન બુજ્જહ…અથાત્ હે ચંડ કૌશિક ! શાંત થા..શાંત થા.બોધને કેમ પ્રાપ્ત કરતો નથી ? યાદ કર તારા પૂર્વ ભવને ! સાધુ થઈને ક્રોધ કર્યો તો તું સર્પ બન્યો… હવે શાંત થઈ જા.


