ભગવાન શ્રી વિશ્વકર્માનું સ્વરૂપ અતિ મનોહર છે. તેમનું સ્વરૂપ વિદ્વત વૃદ્ધ બ્રહ્મસ્વરૂપ તરીકે ઓળખાય છે કે જેઓ સુંદર સિંહાસન પર બિરાજમાન છે. લલાટ પર બ્રહ્મતેજ છે. જેમના હાથમાં ચક્ર, સુદર્શન, કમંડલ, શિલ્પશાસ્ત્ર, શંખ, ધનુષ્ય બાણ, કમળ શોભે છે. તેમનું વાહન ગજ તેમજ હંસ છે. મસ્તક પર સુવર્ણ મકુટ શોભે છે. તેમણે પીળું પીતાંબર ધારણ કર્યું છે. તેમજ ગળામાં સુવર્ણ માળા શોભાયમાન છે. શ્રી વિશ્વકર્મા પ્રભુ ધર્મપીઠ પર બિરાજમાન છે.
ધર્મશાસ્ત્રોના કથન અનુસાર દેવતાઓના તથા સમસ્ત માનવ સમુદાયના શિલ્પકાર શ્રી વિશ્વકર્મા છે. હિન્દુ ધર્મમાં શ્રી વિશ્વકર્મા નિર્માણ તેમજ સર્જનના દેવ મનાય છે. વિશ્વકર્મા પુરાણ અંતર્ગત વિશ્વકર્મા ભગવાન બ્રહ્માજીના પુત્ર ધર્મના સાતમા પુત્ર છે. શ્રી વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના જનક છે. શ્રી વિશ્વકર્મા જયંતીએ તેમનું પૂજન, વાસ્તુ પૂજન, યંત્ર પૂજન તેમજ દરેક પ્રકારના શિલ્પકાર, શ્રમિક જીવો કે જેઓ શસ્ત્રનો પ્રયોગ કરીને મકાન, દુકાન, ઓફિસનું નિર્માણકાર્ય કરતા હોય તેવી વ્યક્તિઓ શ્રદ્ધા સહિત પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ થતાં શસ્ત્ર, મશીન, એન્જિનની પૂજા કરવી જોઈએ. શ્રી વિશ્વકર્મા લોહ, કાષ્ઠ, તામ્ર, પાષાણ, સોનું વગેરેના પ્રધાન દેવ હોવાના કારણે આ સંબંધી વ્યવસાય કરનારી વ્યક્તિઓ વિશ્વકર્મા જયંતીના દિવસે પોતાના વ્યવસાયની વૃદ્ધિ માટે આ ઉપકરણોની શ્રદ્ધા સહિત પૂજા કરવી જોઈએ.
આ રીતે કરો પૂજન
શ્રી વિશ્વકર્મા જયંતીના દિવસે પ્રાતઃકાળે સ્નાન કર્યા બાદ બાજોઠ પર પીળા કપડાનું સ્થાપન પાથરી ત્યારબાદ લાલ રંગના કંકુથી તેના પર સ્વસ્તિક બનાવવો. તેના પર શ્રી ગણેશ, શ્રી વિશ્વકર્માની મૂર્તિ અથવા યંત્ર તેમજ શ્રી વિષ્ણુની છબી પધરાવવી. આજુબાજુ પાંચ ઋતુફળ, પાંચ સૂકા મેવા પધરાવવા. સ્થાપન પાસે ગાયના ઘીનો દીવો. અગરબત્તી તેમજ ધૂપ કરવો. ત્યારબાદ પંચોપચારે પૂજન કરવું. વિશ્વકર્મા ભગવાનની મૂર્તિને પંચામૃત અને ત્યારબાદ ગુલાબજળથી સ્નાન કરાવી સ્વચ્છ પવિત્ર કરીને જનોઈ, વસ્ત્ર અર્પણ કરવાં. શ્રી વિશ્વકર્મા ભગવાનના પૂજનમાં ફળ, સોપારી, ધૂપ, દીપ, નાડાછડી, દહીં, મિઠાઈ વગેરેનો સમાવેશ થાય છે. શાસ્ત્રોના કથન અનુસાર તેમને ગુલાબનું પુષ્પ અતિ પ્રિય હોવાથી ગુલાબનાં પુષ્પોની માળા અને પુષ્પ જરૂરથી અર્પણ કરવાં. ત્યારબાદ નૈવેધમાં બુંદીના લાડવા કે માવાની મીઠાઈ ધરાવવી. ધન, સંપત્તિ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ॥ઓમ શ્રી વિશ્વકર્મણ્યેય નમ:॥ મંત્રની 11, 21, 51 અથવા 108 માળા કરવી. ત્યારબાદ આરતી કરીને ભગવાનની આગળ પોતાનો મનોરથ કરી દંડવત્ પ્રમાણ કરવા. પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરેલા આ પૂજન દ્વારા મનુષ્યની મનોકામના પ્રભુ અવશ્ય સિદ્ધ કરે છે.
વિશ્વકર્મા ભગવાને માનવસમુદાયને પોતાની શિલ્પકળા દ્વારા અર્થોપાર્જન માટેનું શ્રેષ્ઠ વરદાન આપેલું છે. શ્રી વિશ્વકર્માજીને `દેવતાઓના શિલ્પકાર’ `સકલ કળાના સ્વામી’ હસ્તકળાના વહીવટકર્તા, દેવતાઓનાં ભવનો, સભાખંડો, રત્નો, રથો અને વિવિધ શસ્ત્રોના સર્જનકર્તા, કળિયુગમાં માનવોના શ્રેષ્ઠ આર્કિટેક્ચર અને એન્જિનિયરીંગના દેવ, વિશ્વના પ્રથમ સ્થાપત્યકાર તરીકે ઓળખવામાં આવે છે. શ્રી વિશ્વકર્માએ બ્રહ્માંડની તેમજ ભૂમિ પર વસવાટ કરનારા માનવોને પોતાની કળા દ્વારા અર્થોપાર્જન કરવામાં સરળતા મળી રહે તેમજ આર્થિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે શિલ્પકળા, રત્નકળા, શસ્ત્રકળા જેવી અનેકાનેક કળાઓ માનવસમુદાયને પ્રદાન કરી.ધર્મશાસ્ત્રના મત અનુસાર રાજા પૃથુની પ્રાર્થનાથી ભગવાન શ્રી વિશ્વકર્મા મહા સુદ તેરસના દિવસે સ્વર્ગમાં વૃદ્ધ સ્વરૂપે હાથમાં ગજ (ફૂટપટ્ટી) સૂત્ર, જળપાત્ર અને પુસ્તક (શિલ્પશાસ્ત્ર) ધારણ કરીને હંસ ઉપર સવાર કરી પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો. રાજા પૃથુ સમક્ષ પ્રભુ મહા સુદ તેરસે પ્રગટ થવાના કારણે પણ આ દિવસ `શ્રી વિશ્વકર્મા જયંતી’ના નામે પ્રસિદ્ધ થયો. ધર્મશાસ્ત્રોના મત અનુસાર ભગવાન શ્રી વિશ્વકર્માએ પોતાની હાથની હથેળીનું મંથન કરી પાંચ પુત્રો- મનુ, મય, ત્વષ્ટા, દેવજ્ઞ અને શિલ્પી ઉત્પન્ન થયા. જેઓ સકળ કળામાં નિપુણ હતા. ભગવાન વિશઅવકર્માના દત્તક પુત્ર તરીકે વાસ્તુદેવ ગણવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માને પુત્રીઓ તરીકે રિદ્ધિ, સિદ્ધિ, રન્નાદે (રાંદલ), ચિત્રાંગદા વગેરે પુરાણોમાં વર્ણન આપેલું છે. ભગવાન વિશ્વકર્મા દાદાના મંદિરમાં ચાર પ્રદક્ષિણા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. ભગવાન વિશ્વકર્મા મનુષ્યના ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ કરાવે છે. પાંડવોના નિવાસસ્થાન `ઈન્દ્રપ્રસ્થ’નું નિર્માણ પણ ભગવાન શ્રી વિશ્વકર્માએ જ કર્યું હતું. શિવપુરાણ અંતર્ગત સત્તર મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત વિશ્વકર્મા દાદાનું પ્રતીક ગણવામાં આવે છે. પંચાંગના મત અનુસાર ચિત્રા (ત્વષ્ટા) નક્ષત્રના સ્વામી પ્રભુ વિશ્વકર્મા છે. ભગવાન શ્રી વિશ્વકર્માના યજ્ઞમાં બલવર્ધનમ્ નામના અગ્નિનનું આવાહન કર્યા બાદ ભગવાન શ્રી વિશ્વકર્માના મંત્ર દ્વારા આહુતિ અર્પણ કરવાથી ભગવાન વિશ્વકર્માની સહજ કૃપા પ્રાપ્ત થાય છે. આ યજ્ઞ વિશેષ કરીને શ્રી વિશ્વકર્મા જયંતીએ કરવામાં આવે તો ભગવાનની કૃપાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.