ચંદન હૈ ઇસ દેશકી માટી તપોભૂમિ હર ગાંવ હૈ, હર બાલા દેવી કી પ્રતિમા બચ્ચા બચ્ચા રામ હૈ. રર જાન્યુઆરી,ર૦ર૪ ………………….દ્વાદશ. આ તારીખ અને તીથિ સ્વતંત્ર ભારતના ઇતિહાસના પૃષ્ઠમાં સુવર્ણઅક્ષરે અંકિત થઇ જશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા થઇ રહી છે. ભગવાન રામને અયોધ્યામાં તેમનું સ્થુળ નિવાસ મળ્યુ છે. પણ ખરા અર્થમાં રામ સદાકાળ સનાતન અજર અમર છે. એ સનાતન સંસ્કૃતિમાં જીવે છે. જન જનમાં કણ કણમાં રામ છે. આજે તેની પ્રતિતિ માત્ર થઇ છે. અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાએ દેશભરમાં જે રામ નામનો જુવાળ જગાવ્યો છે એ અનન્ય,અભૂતપૂર્વ અનહદ છે. ગામ,કસબા,શહેર, શેરી ગલીઓ ચોમેર રામનામનો રવ ગુંજી રહયો છે. રામનવમીએ પણ ન જોવા મળતો ભકિતનો જુવાળ છેલ્લા થોડા દિવસથી વધી રહયોછે. આજે દ્વાદશ છે. પરંતુ ભકિતના ચંદ્રમાં સોળે કળાએ ખિલ્યા છે. દેશમાં રામ નામનું એકત્વ પ્રસરી ગયુ છે.
વિશ્વમાં સહન કરનારી જાતિમાં સૌ પ્રથમ યહુદિ જાતિનો સમાવેશ થાય છે. યહુદિઓ આજે સૌથી વધુ અંદાજે ૮૦ લાખ ઇઝરાયલમાં વસે છે. પરંતુ યહુદિઓ તેમના વતનથી દૂર જેને વછોવાયેલા કહેવાય તેમ જીવે છે અને તેમના ઘવાયેલા આત્મા સાથે સંઘર્ષ કરે છે. ચલો જેરુસલેમ કે યેરોસલેમની ચળવળ તેમણે ચલાવી હતી. યહુદીઓના ઝૂઝારુપન માટ વિશ્વ તેમની પીઠ થપથપાવે છે.આ યહુદીપણુ આ ડી.એન.એ. તેમને ચોમેર દુશ્મનો વચ્ચે પ્રગતિશિલ અને આત્મ ગૌરવથી વિશ્વ સામે ટટ્ટાર થઇને જીવવનાનો સંદેશ આપે છે. સનાતની એટલે કે હિન્દુઓ પણ ઘાયલ થયા છે. સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે જે પ્રજા લડવાનું ભુલી જાય એ પ્રજા પાયમાલ થાય છે. નિર્વિર્ય બની જાય છે. ભારત એક વખત સોનાની ચિડિયા કહેવાતો હતો. પરંતુ વિશ્વમાંથી અનેક આંક્રાતોઓ આવ્યા જેમણે ભારતને ન માત્ર લુટયુ. શક,હુણ,અંગ્રેજો,મોગલો વગેરેએ ભારતને ન માત્ર લુંટયુ પરંતુ ભારતના આત્મા ઉપર અને આત્મગૌરવ ઉપર વાર કર્યા. એ ઘા ખુબ ગહેરા થયા. પંજાબ, ઉતરપ્રદેશ,રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજયોમાં વિદેશી આંક્રાંતાઓને ભારતે વળતી જોરદાર લડત પણ આપી છે. આજે પણ ગુરૂગોવિંદસિંહ,મહારાણા પ્રતાપ,શિવાજી,ઝાંશીની રાણી,પૃથ્વીરાજ ચૌહાણના નામ લોકજીભે છે. પરંતુ ભારત જે તે સમયે રજવાડાને કારણ ટુકડામાં વેંચાઇ ગયુ હતું અને અમિચંદોને કારણે કયાંકને કયાંક ભારતની ભૂમિ ઉપર જ ખેલાયેલા યુધ્ધોને કારણે આ દેશમાં વિદેશી આંક્રાતાઓ રાજ કરી ગયા.
સમયનું ચક્ર ફરી ફર્યુ છે. છેલ્લા પ૦૦ વર્ષથી અયોધ્યા રામજન્મભૂમિ ઉપર ચાલતાં આંદોલનનો આ પરિપાક છે. હિન્દુઓને ,સનાતનીઓને તેમના આસ્થાસ્થાન ભગવાન રામલલ્લાનું જન્મસ્થળ પુન: પ્રાપ્ત થયુ છે. જયારથી સંઘ,ભાજપ અને વિ.હિ.પ. સહિતના સંગઠનોએ રામજન્મભૂમિનું આંદોલન છેડયુ છે ત્યારથી અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. રાજીવ ગાંધીએ અયોધ્યા રામમંદિરના દરવાજા ખોલી આપ્યા હતાં. નરસિંહરાવ સરકારના સમયમાં કહેવાય છે કે ખાનગીમાં રામમંદિર હિન્દુઓને સોંપી દેવાની ફોર્મ્યુલા તૈયાર થઇ હતી. પરંતુ સંઘના તત્કાલીન વડા બાળાસાહેબ દેવરસે કહયુ કે જનજાગરણ વગર અયોધ્યાનો કબજો લેવો અયોગ્ય છે. આથી લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં ૧૯૯૦ની સાલમાં સોમનાથથી અયોધ્યાની યાત્રાનું આયોજન થયુ. લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવે હવનમાં હાડકાં નાખ્યા. અ સાથે જ સુષુપ્ત હિન્દુ જનચેતના જાગૃત થઇ. ત્યાર બાદ સંઘર્ષરત સંઘ,વિ.હિ.પ. ભાજપ અને તેની ભગીની સંસ્થાઓએ ર૦૧૪માં દેશમા ભાજપ એનડીએની આગેવાનીમાં કેન્દ્રમાં સરકાર સ્થાપી.
રામજન્મભિ વિવાદને સુપ્રિમ કોર્ટના ચુકાદાથી સુલઝાવ્યો. બ્લડલેશ રિવોલ્યુશનની આ વૈશ્વિક મિશાલ છે. સમગ્ર વિશ્વને સંદેશ મળી ગયો કે રામમંદિર માટે ભારતમાં હિન્દુ મુસ્લીમોમાં કોઇ રમખાણ નહિ થાય. આજે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થાય છે.ભારતમા ઘેર ઘેર રામનામનો રવ ગુંજયો છે. આનંદ ત્યાર થાય છે કે રામ નામના રવમાં અનેક પ્રગતિશિલ મુસ્લીમો જોડાયા છે. રાજકોટના લોધિકા ગામેથી સમાચાર આવ્યા છે કે ગામમાં આજે અઢારેય વરણન ધુમાડાબંધ જમણ કરે છે. જેમાં મુસ્લીમ સમાજ માત્ર જોડાયો નથી.પરંતુ આગળ આવ્યો છે. સનાતન સંસ્કૃતિ વસુવધૈ કુટુમ્બકમમાં માને છે. આજે સનાતનીઓએ નહિ વિશ્વના અન્ય વર્ગ ,સમાજે જાતિએ રામનામના આ યજ્ઞમાં આહુતિ આપી બંધુત્વ દેખાડવાની જરૂર છે. કારણ કે ભારત આજે બદલાયુ છે. ૧૪૦ કરોડની આબાદીમાં બહુમત ધરાવતી જાતિ તેમના ક્ષમાભાવના અભિજાત્ય ગુણને કારણ નબળી નથી એ સંદેશ આજે વિશ્વને ગયો છે. રામમંદિરના સ્થાપન સાથે ઘવાયેલા સનાતની આત્મા ઉપર પણ ચંદનલેપ થયો છે. આ દિવસ આત્મગૌરવનો દિવસ છે.