રાજકોટની જૂની કલેકટર કચેરીમાં પૂરવઠા તંત્ર ખોરવાયુ, સિવિલ હોસ્પિટલમાં કોઇ જવાબ દેનાર નથી,જિલ્લા શિક્ષણાધિકારીને કશી ખબર નથી !
રાજકોટની જુની કલેકટર કચેરીમાં પૂરવઠા તંત્રની કામગીરીમાં એટલી હદે લાલિયાવાડી ચાલે છે કે અરજદારોએ કંટાળીને હંગામો કરવો પડ્યો.અધિકારીએ અરજદારોને સીધા દોર કરવા પોલીસ બોલાવી.પૂરવઠા અધિકારી સામે ફરિયાદ ઉઠી છે કે રજૂઆત કરનારને એક જ જવાબ મળે છે ચૂંટણી પછી બધું રાબેત મુજબ થશે. રોજ પ૦ થી ૬૦ અરજદારોને ધરમ ધકકા થાય છે. જો કે આ બધી ફરીયાદો અધિકારીઓ,કર્મચારીઓને કોઠે પડી ગઇ છે. અરજદારો,નાગરિકો અને ચૂંટણી સુધી મતદારોનું કામ તો ફરિયાદ કરવાનું છે એવી માનસિકતા અહીં દેખાય છે. નીચેના અધિકારીઓ સામેની ફરિયાદ અંગે આંખમિચામણા કરનાર ટોચના અધિકારી કલેકટર પણ તંત્ર ઠીકઠાક ચાલે તે દિશામાં ઉદાસીન હોય એવુ લાગે છે. છેલ્લા થોડા સમયથી આ ફરિયાદો વધી છે. મે મહિનાની ૭ મી તારીખ ચૂંટણી છે. ત્યાર બાદ પરિણામ. ફરી તંત્ર રાગે ચાલતાં મેહિનો પૂરો થઇ જશે. ત્યાં ચોમાસાની તૈયારી. તંત્ર પાસે હોઠ સાજા તો બહાના જાજા. નેતાઓ ખાસ સતા પક્ષના નેતાઓ હાલ ચૂંટણીમાં વ્યસ્ત અને મસ્ત હશે એટલે લોકોની રોજીંદી બાબતો,તકલીફો અંગે તેમને પણ ફુરસદ નહિ રહે.
સિવિલ હોસ્પિટલમાં પણ આવી જ સ્થીતિ છે. તાજેતરમાં જ એક મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન થતાં એક દર્દીનું મો થતાં કલેકટર તંત્રનું ધ્યાન દોર્યુ હતું. આ અનુસંધાને અધિક કલેકટરે સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ હતું.આ ચેકીંગમાં સિવિલ હોસ્પિટલમાં પણ લાલિયાવાળી જ ચાલતી હોવાનું જોવા મળ્યુ હતું. સામાન્ય લોકો શા માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવા નથી જતાં તેનું ઉદાહરણ જોવા મળે. સિનિયર ડોકટરો દર્દીઓને જોવા આવે છે કે નહિ તે કોઇ જોવાવાળુ જ નહોતું. કોણ કયાં શું કામ કરે છે તેની કોઇને જાણ જ નહોતી. કર્મચારીઓ દર્દીઓના સગાને તતડાવે, બદતમીજી કરે અન પોલીસ ફરિયાદની કે સિકયુરિટીની ધમકી આપે એવી ઘટના રોજીંદી બને છે. લોકો માટે કરોડો રૂપિયાની સરકારી સહાય અને આરોગ્ય યોજનાઓનો સદઉપયોગ થવાને બદલે અહીં પણ અડિયલ તંત્રની અવળચંડાઇ ચાલે છે.
શિક્ષણ તંત્રને પણ પરીક્ષાની મોસમમાં કાટ લાગી ગયો છે. તાજેતરમાં મિડિયા દ્વારા શિક્ષણાધિકારીને એક સ્કુલમાં વિદ્યાર્થીનીઓ ઉપર અડપલાં થયા તો શિક્ષણાધિકારીને કશીં જાણ જ નહોતી. જો ફરિયાદ આવશે તો પગલાં લેશે તેવો સરકારી જવાબ મિડિયાને મળ્યો હતો. સામેથી ફરિયાદી બની પગલાં લેવાની વિદ્યાર્થીનીઓ અને વાલિઓના હિતનું રક્ષણ કરવાની કોઇ પહેલ જ નહી.બેટી બચાવો,બેટી પઢાઓની વાતો માત્ર સૂત્રોમાં અને પ્રચારમાં જ દેખાય.
એકંદરે વહીવટી તંત્રને ચૂંટણીની આ મોસમમાં ચૂંટણી સિવાય અન્ય કામ ન કરવાના બહાના મળી ગયા છે. આવશ્યક અને આરોગ્ય શિક્ષણ જેવી સેવાઓનું સ્તર એટલું કથળ્યુ છે કે તેની સીધી અસર સરકારની શાખ ઉપર અને લોકમાનસ ઉપર પડે છે. લોકો સામાન્ય રીતે સરકીર તંત્ર સામે શીંગડા નથી ભરાવતાં.પરંતુ દર્દ હદથી વધી જાય ત્યારે જ હંગામા થતાં હોય છે. જે તંત્રને કોઠે પડી ગયા છે. જિલ્લા કલેકટર તંત્રની પ્રાયોરિટી ચૂંટણી હોઇ શકે. પણ પ્રજા સેવા પણ તેમની પ્રાયોરિટી હોવી જોઇએ અને સાથે સાથે તંત્ર ચાલે તે પણ પ્રાયોરિટી હોવી જોઇએ.