- આઈફેસની મદદથી એડમિટ કાર્ડ અને પરીક્ષા કેન્દ્રનો ફોટો મેચ કરાશે
- એઆઈ ટૂલ્સની મદદથી દેશભરમાંથી ગેરરીતિના 10 કેસ પકડાયા
- પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે
હાલ ચાલી રહેલી JEEની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આગામી સમયમાં યોજાનારી JEE એડવાન્સની પરીક્ષામાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગેરરીતિ રોકવામાં આવશે. સુરત શહેરમાં 50થી વધુ સેન્ટરો પર પરીક્ષા લેવાઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. AIની મદદથી અત્યાર સુધીમાં દેશભરમાંથી 10 જેટલા ગેરરીતિના કેસ સામે આવ્યા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મલ્ટિપલ વેરિફિકેશન, બાયોમેટ્રિક, ઈ-કેવાયસી, સ્ટુડન્ટ વેરિફિકેશન એઆઈ આધારિત ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે એઆઈથી સજ્જ કંટ્રોલરૂમ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં સીસીટીવીની મદદથી વિદ્યાર્થીની સાથે સુપરવાઈઝરની પણ હિલચાલ પર બાજ નજર રાખવાની સાથે ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાય તો ચાલુ વર્ષની સાથે આગામી વર્ષની પરીક્ષામાં પણ તેઓને બાકાત રખાય છે. આઈફેસની મદદથી વિદ્યાર્થીના એડમિટકાર્ડનો ફોટો અને પરીક્ષા કેન્દ્ર પર લીધેલા ફોટોને જોડીને મેચ કરવામાં આવે છે. જેથી જો કોઈ ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો હશે તો તરત જ પકડાઈ જશે.


