ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સીએમ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર સ્થિત વિવિધ સ્થળોના નામ બદલી નાખ્યા છે. હરિદ્વાર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબપુરનું નામ બદલીને શિવાજી નગર રાખવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાને ઈદના દિવસે આ સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી
આ જ રીતે, ગાઝીવાલીને આર્ય નગરમાં બદલી નાખવામાં આવ્યું છે. નામ બદલવા અંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, લોકોની લાગણી, ભારતીય સંસ્કૃતિ અને વારસા અનુસાર વિવિધ સ્થળોના નામ બદલવામાં આવી રહ્યા છે, જેથી લોકો ભારતીય સંસ્કૃતિ અને તેના સંરક્ષણમાં યોગદાન આપનારા મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈ શકે. તમને જણાવી દઈએ કે ચાર જિલ્લામાં કુલ 15 સ્થળોના નામ બદલવામાં આવ્યા છે. આમાંના ઘણા નામો કોઈ ચોક્કસ ધર્મના લોકોના નામ પરથી રાખવામાં આવ્યા હતા. ધામી સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબને લઈને ભારે હોબાળો અને અરાજકતા ચાલી રહી છે. ખાસ વાત એ છે કે સીએમ પુષ્કર સિંહ ધામીએ ઈદના દિવસે આ સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી હતી.
હરિદ્વારમાં આ સ્થળોના નામ બદલાયા
- ઔરંગઝેબપુર – શિવાજી નગર
- ગાઝીવાલી – આર્ય નગર
- ચાંદપુર- જ્યોતિબા ફૂલે નગર
- મોહમ્મદપુર જાટ – મોહનપુર જાટ
- ખાનપુર કુર્સાલી – આંબેડકર નગર
- ઇદ્રીશપુર- નંદપુર
- ખાનપુર- શ્રીકૃષ્ણપુર
- અકબરપુર ફઝલપુર – વિજય નગર
દહેરાદૂનનું મિયાંવાલા બન્યું રામજીવાલા
એ જ રીતે, દહેરાદૂનમાં 4 સ્થળોના નામ પણ બદલવામાં આવ્યા છે. જેમાં મિયાંવાલાને રામજીવાલા, પીરવાલાને કેસરી નગર, ચાંદપુર ખુર્દને પૃથ્વીરાજ નગર અને અબ્દુલ્લાપુરને દક્ષિણનગરમાં બદલી નાખવામાં આવ્યું છે. આ પ્રકારે જ નૈનિતાલ જિલ્લામાં નવાબી રોડ હવે અટલ માર્ગ તરીકે ઓળખાશે. પંચક્કીથી આઈટીઆઈ સુધીનો રસ્તો ગુરુ ગોવલકર માર્ગ તરીકે ઓળખાશે. જ્યારે ઉધમ સિંહ નગર જિલ્લાના સુલતાનપુર પટ્ટીની મ્યુનિસિપલ કાઉન્સિલ કૌશલ્યા પુરી તરીકે ઓળખાશે.
આ તમામ જાણકારી સીએમ ઓફિસના x હેન્ડલ પર આપવામાં આવી હતી. પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સીએમ પુષ્કર સિંહ ધામીએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામ બદલવાની જાહેરાત કરી છે.