અયોધ્યામાં અત્યારથી જ ભક્તો દર્શને પહોંચવા લાગ્યા છે ત્યારે રામલલ્લાની મૂર્તિઓ સાથે એક શોભા યાત્રા 17 તારીખે કાઢવાની હતી તે હાલ મોકૂફ રાખવી પડી છે
અયોધ્યા ધામને અત્યારથી જ યાત્રાળુઓમાં આવકાર મળી રહ્યો છે અને શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટવા લાગ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે વ્યવસ્થા સંભાળવી પણ થોડી મુશ્કેલ બને. અયોધ્યા બહુ મોટું શહેર નથી અને ત્યાંની સુવિધાઓમાં તબક્કાવાર વધારો થઈ રહ્યો છે. નવું રેલવે સ્ટેશન તૈયાર થયું છે. એર પોર્ટ પણ હવે ખુલ્યું છે. પરંતુ રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયારીઓ થઈ રહી છે ત્યારે આસપાસના પ્રદેશો ઉપરાંત ઉત્તર ભારતની યાત્રાએ જનારા લોકો પણ અયોધ્યા આંટો મારવાનું પસંદ કરી રહ્યા છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વખતે ઉનાળા વેકેશનથી જ ભીડ વધવા લાગી છે. ઉનાળાના વેકેશનમાં વારાણસી અને પ્રયાગરાજ સુધી આવનારા પ્રવાસીઓ અયોધ્યા પણ અચૂક આવવા લાગ્યા છે. હાલના સમયે પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ખાસ કરીને લાંબા સમયથી ચાલતી તૈયારીઓ પછી અયોધ્યા નગરી હવે કોઈ ઉત્સવ નગરી હોય તેવી આકાર લેવા લાગી છે. નવા રસ્તા, નવા ભવનો વગેરે બનતા હતા ત્યાં સુધી બાંધકામ ચાલતું હતું, પણ હવે ઘણા બધા બાંધકામો પૂર્ણતાના આરે છે. સરયૂ નદીના કિનારે ઘાટ પણ નવેસરથી સજાવાયા છે. રિવરફ્રન્ટની જેમ ઘાટની આસપાસના વિસ્તારને પણ વિકસાવાયો છે. નદી કિનારાની નજીક મોટા પાર્ક તથા ભવનો પણ બન્યા છે.
જોકે આ દરમિયાન 17 તારીખે રામલલ્લાની મૂર્તિઓ સાથે એક શોભા યાત્રા, નગર યાત્રા કાઢવાની હતી. કુલ ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિ પસંદ થવાની છે, પણ તે પહેલાં મૂર્તિઓ નગરચર્યાએ નીકળે તે રીતે શોભા યાત્રા કાઢવાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની જાહેરાત અગાઉ થઈ હોવાથી ઘણી મોટી સંખ્યામાં લોકો બહારથી પણ તેમાં પહોંચશે એવું લાગ્યા બાદ તે શોભા યાત્રા હાલ પૂરતી મોકૂફ રાખવાની જાહેરાત થઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રસ્તા, સુવિધાઓ, ભવનો વગેરેનું કામ પૂરઝડપે પૂરું કરવા માટે કોશિશ ચાલી રહી છે ત્યારે આ પ્રકારની નગરયાત્રાને કારણે આગલા દિવસથી ભીડ થઈ જાય અને બીજા દિવસે પણ યાત્રાળુઓ ત્યાં રહે તો કામમાં અડચણ આવી શકે.
આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે તેમના માટે પણ વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા પણ કરવાની છે. એથી જ આખરે વિશાળ સંખ્યામાં ભક્તો ભેગા થાય ત્યારે વ્યવસ્થા ખોરવાઈ જાય તેવી તંત્રની સલાહ પછી મૂર્તિઓની નગર યાત્રાને મોકૂફ રખાઈ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કાશીના આચાર્યો તથા અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને બાદમાં આ નિર્ણય જાહેર કર્યો હતો. રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય પછી શ્રદ્ધાળુઓ તેના દર્શન કરવા વારાફરતી આવી શકે છે, પરંતુ નગર યાત્રા વખતે દર્શન કરવા ધસારો થઈ તેવું પણ બને. આથી જ આ નિર્ણય લેવાયો છે. બીજું કે વડા પ્રધાને પણ છેલ્લે અયોધ્યાની મુલાકાત લીધી ત્યારે વિનંતી કરી હતી કે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થઈ જાય પછી ભક્તજનો દર્શને આવે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને નિર્વિઘ્ને પાર પાડવા અને મહાનુભાવોની વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણયો લેવાય છે ત્યારે એટલું સમજાય છે કે અત્યારથી જ રામભક્તોમાં રામલલ્લાના દર્શન માટેની આતુરતા કેટલી જાગી છે.