ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું છે. કિંગ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કર્યા પછી ચાહકોમાં ઉદાસીનો માહોલ છે. તો આ તરફ, જ્યારે “ઓપરેશન સિંદૂર”ની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપવા માટે સેનાના ત્રણેય અધિકારીઓએ પ્રેસ બ્રીફિંગ કરી ત્યારે કિંગ કોહલીના નામનો ઉલ્લેખ કરાયો હતો. તો આવો જાણીએ ભારતીય સેનાના અધિકારીએ વિરાટ કોહલીને કેમ યાદ કર્યા?
પ્રેસ બ્રીફિંગમાં વિરાટ કોહલીનો ઉલ્લેખ
ડીજીએમઓ રાજીવ ઘાઈ “ઓપરેશન સિંદૂર” અંગે બ્રીફિંગ આપી રહ્યા હતા. તેમણે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક આકૃતિઓ બતાવી હતી. આ આકૃતિઓ સમજાવતી વખતે, તેમણે વિરાટ કોહલીની નિવૃત્તિનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, મારી સામે તમે જે આકૃતિ જોઈ રહ્યા છો તે મને એક ઘટનાની યાદ અપાવે છે. કદાચ આજે આપણે ક્રિકેટ વિશે પણ વાત કરવી જોઈએ. કારણ કે, મેં જોયું કે વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. બધા ભારતીયોની જેમ, વિરાટ કોહલી પણ મારો પ્રિય ક્રિકેટર છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું ત્યારે લાખો ભારતીય ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ભારતીય સેનાના ડીજીએમઓ રાજીવ ઘાઈ પણ કોહલીના ચાહકોમાં સામેલ છે.
DGMO રાજીવ ઘાઈએ એશિઝ શ્રેણીનો સંભળાવ્યો કિસ્સો
પ્રેસ કોન્ફરન્સમાં, DGMO રાજીવ ઘાઈએ કહ્યું, “જ્યારે હું સ્કૂલમાં હતો, ત્યારે 70ના દાયકામાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણી ચાલી રહી હતી. તે સમયે, ઓસ્ટ્રેલિયાના બે ઘાતક ઝડપી બોલરો જેફ થોમ્પસન અને ડેનિસ લીલીએ ઈંગ્લેન્ડની બેટિંગને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દીધી હતી. તે સમયે, ઓસ્ટ્રેલિયામાં એક કહેવત પ્રચલિત થઈ હતી, ‘રાખથી રાખ અને ધૂળથી ધૂળ, જો થોમ્પસન તે ન કરી શક્યો, તો લીલી તે કરશે.’ તેમણે વધુમાં કહ્યું, “આજે જ્યારે મેં વિરાટ કોહલીના ટેસ્ટમાંથી નિવૃત્તિના સમાચાર જોયા, ત્યારે મને લાગ્યું કે આપણે ક્રિકેટ વિશે પણ વાત કરવી જોઈએ. વિરાટ કોહલી ઘણા ભારતીયોની જેમ મારો પ્રિય ખેલાડી છે.” રાજીવ ઘાઈએ આ જૂના ક્રિકેટ સંદર્ભ દ્વારા સેનાની રણનીતિઓ અને સ્તરીય સંરક્ષણ પ્રણાલી વિશે પણ સમજાવ્યું અને કહ્યું કે જેમ ક્રિકેટમાં એક પછી એક સ્તરો હોય છે. તેવી જ રીતે સુરક્ષા માળખામાં પણ સ્તર પ્રણાલી મહત્વપૂર્ણ છે.
કોહલીએ પણ સેના માટે કરી હતી પોસ્ટ
વિરાટે 9 મે 2025ના રોજ ભારતીય સેના વિશે પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશ હંમેશા સેનાનો ઋણી રહેશે. કોહલીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતુ કે, આ મુશ્કેલ સમયમાં આપણે આપણા દેશનું રક્ષણ કરી રહેલા સશસ્ત્ર દળો સાથે ઉભા છીએ અને તેમને સલામ કરીએ છીએ. આપણે આપણા નાયકોની બહાદુરી અને તેમના અને તેમના પરિવારો દ્વારા આપવામાં આવેલા બલિદાન માટે હંમેશા ઋણી રહીશું. જય હિન્દ.
અટકળો વચ્ચે કોહલીનો નિર્ણય
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી. તેમના રાજ્યારોહણ સાથે અટકળોના યુગનો અંત આવ્યો. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કોહલીના નિરાશાજનક પ્રદર્શન પછીથી જ તેની નિવૃત્તિની ચર્ચાઓ ચાલી રહી હતી. કોહલીએ સ્વીકાર્યું કે આ નિર્ણય લેવો સરળ નહોતો પરંતુ તે તેના માટે આ યોગ્ય છે.


