વેરાવળમાં ગોકળગતિએ ચાલતા બ્રિજોના કામને લઈ ધારાસભ્યએ એન્જી.ને આડેહાથ લીધા
ધારાસભ્ય બ્રિજની કામગીરીનું સ્થળ નિરીક્ષણ સમયે એન્જી. સમક્ષ ધીમી કામગીરીને લઈ નારાજગી દર્શાવેલ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળમાં વિકાસના કામો ગોકળગતિએ થતા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ કામોમાં ખાસ જીયુડીસી હસ્તક શહેરના બે રેલવે ફાટક પર બની રહેલા બે ઓવરબ્રિજના કામો ‘ગોકળગતી’એ ચાલતા હોવાથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દોઢ વર્ષમાં પૂરું થવાનું કામ સાડા ત્રણ વર્ષ વીતી જવા છતાં અધૂરું રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા બ્રિજના કામગીરીનું સ્થળ નિરીક્ષણ અર્થે સ્થળ પર ગયેલ ત્યારે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. આ સમયે નગરસેવકો અને જવાબદાર અધિકારીઓની હાજરીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બ્રિજનું કામગીરી કરનાર જીયુડીસી વિભાગના એન્જીનિયરને જાહેરમાં ખખડાવી નાખ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.
ધારાસભ્યની સ્થળ મુલાકાત દરમિયાન જ્યારે જીયુડીસી એન્જીનિયર નયન પરમાર દ્વારા દલીલો કરતા હોવાથી ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પીતો છટકી ગયો હોય તેમ તેમણે એન્જી. ને તળપદી ભાષામાં કહેલ કે, તું ખોટી દલીલ મારી પાસે ન કરતો. તારી ખોટી દલીલ નહિ ચાલે. હું પાછળ પડીશને તો ખોટા બીજા કામે લાગી જશો. મારી પાસે ખોટી હોશિયારી કરવામાં તારી બુદ્ધિ ન વાપર. અમારી 24 વર્ષની રાજનીતિમાં તારા જેવા કેટલાય એન્જીનિયર આવીને ગયા. તમે કામ નથી કર્યું એટલે મારે આવવું પડ્યું છે. સલાહ આપવાના બદલે કામ કરો, ચાર વર્ષ થવા આવ્યા કામ હજુ પણ અધૂરું છે. તે જલ્દી પૂર્ણ કરો.
આ તકે ધારાસભ્ય ચુડાસમાએ આક્ષેપ કરતા કહેલ કે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સરકારી યોજના ટલ્લે ચડી છે. વિકાસના કામોમાં વિલંબ એટલે સીધો જનતાનો સમય, પૈસા અને સલામતી સાથે ખેલ. આ મુદ્દે હવે કોઈ બહાનું નહીં ચાલે. જો તાત્કાલિક કામમાં ગતિ નહીં આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરાવવા ઉચ્ચકક્ષા સુધી ફરીયાદ કરાશે.
અત્રે નોંધનીય છે કે, વર્ષ 2022 માં શરૂ થયેલી આ બ્રિજની યોજનાનું કામ હવે ચાર વર્ષ થવા છતાં અધુરૂં છે. બંન્ને ઓવરબ્રિજનું મોટાભાગનું કામ અધૂરું છે. રેલવે ફાટક પર લાંબી ટ્રાફિક લાઈનો લાગતી હોવાથી એમ્બ્યુલન્સ અને સ્કૂલ વાહનોને પડતી મુશ્કેલીઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે, આ બંને બ્રિજનું કામ દોઢ વર્ષમાં પૂર્ણ થવાનું હોવા છતાં ચાર ચાર વર્ષે પણ અધૂરું હોવાથી લોકોને વેતના સહન કરવી પડી રહી છે જેના તરફ સરકાર અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપી કામગીરી ઝડપી કરાવે તે જરૂરી છે.


