- પોકાર ખેડૂતોનો : મોંઘુંદાટ બિયારણ એળે જાય તે પૂર્વે પાણી આપો
- કેનાલ ચાલુ થતા ખેડૂતોએ વાવણી કરી દીધી, પણ પાણી ન મળતા ખેડૂતો ડેમ પર એકઠા થયા
- હળવદમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલનું પાણી બ્રાહ્મણી-બે ડેમમાં નાખવામાં આવે છે
હળવદ તાલુકાના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-બે ડેમ પર દસ જેટલા ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે એકઠા થયા છે અને માંગ કરી રહ્યા છે કે મોંઘા ભાવનું લીધેલું બિયારણ નિષ્ફ્ળ જાય તે પહેલા પાણી આપવામાં આવે.
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે.હળવદમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલનું પાણી બ્રાહ્મણી-બે ડેમમાં નાખવામાં આવે છે. જેથી આ ડેમમાંથી પાઈપ લાઈન વડે જામનગર સુધી પાણી પહોંચાડવામાં આવતું હોય છે. પરંતુ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવતા હળવદ તાલુકાના નવા ધનાળા, સુરવદર, મયુરનગર, જુના દેવળીયા,નવા દેવળીયા, પ્રતાપગઢ સહિતના ગામોના ખેડૂતો મંગળવારે ડેમ પર એકઠા થઈ સિંચાઈ માટે પાણી આપવા માંગ કરી રહ્યા છે. વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે ડેમમાં 42 મીટરનું લેવલ થાય ત્યારબાદ કેનાલમાં પાણી છોડવામાં આવશે. જો કે હાલ ડેમનું લેવલ 41 મીટર છે અને જે ધાંગધ્રા બ્રાન્ચની કેનાલનું પાણી ડેમમાં આવી રહ્યું છે. એટલું તો દરરોજ જામનગરને પાણી આપવા ઉપાડી લેવામાં આવે છે. જેથી ડેમનું લેવલ વધતું નથી અને અમને સિંચાઈ માટે પાણી આપતા નથી. વધુમાં ખેડૂતો એ પણ જણાવી રહ્યા છે કે ધાંગધ્રા બ્રાન્ચની કેનાલમાં પાણીનો પ્રવાહ વધારાય તો અમને સિંચાઈ માટે પાણી મળી શકે તેમ છે.


