આજના સમયમાં કેન્સર, ડાયાબિટીસ અને આર્યનની ઉણપ જેવી હેલ્થ સમસ્યામાં વધારો થયો છે. અત્યારના સમયમાં આ ગંભીર બીમારીઓ ઉપરાંત મેદસ્વિતા પણ ગંભીર સમસ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધ્યું છે. અને એટલે જ સરકાર દ્વારા પણ મેદસ્વિપણાને લઈને એક અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત લોકોને તેમની દિનચર્યા અને શારીરિક જરૂરિયાત મુજબ ખોરાકનું સૂચન કરવામાં આવે છે. વજન ઘટાડવા લોકો જીમમાં જવા અને ક્રશ ડાયટ તેમજ હેલ્થ નિષ્ણાત પાસે સપ્લિનેન્ટ લેતા હોય છે. છતાં પણ કોઈ અસરકારક પરિણામ જોવા મળતું નથી.
આ વસ્તુને આહારમાં કરો સામેલ
વધતા વજનની સમસ્યાને લઈને અનેક ઉપાય બાદ પણ જો ઇચ્છિત પરિણામ ના મળે તો તમે આ ઉપાય અજમાવી શકો છો. સામાન્ય રીતે આપણા તમામના ઘરોમાં રોજિંદા ભોજનમાં ઘીનો ઉપયોગ થતો હોય છે. ભાખરી, પરોઠા તેમજ કેટલાક લોકો થેપલાં પર પણ ઘી લગાવતા હોય છે. પરંતુ જે લોકો ડાયટ કોન્સિયસ હોય તેઓ તેલ અને ખાસ કરીને ઘીને એવોઈડ કરતા હોય છે. કારણ ઘીને લઈને લોકોમાં એક માન્યતા છે કે ઘીમાં ચરબી વધુ હોય છે અને તેના કારણ વજન વધે છે.
‘દેવું કરીને પણ ઘી પીવો’.
આપણા વડીલો પાસેથી આપણે અનેક વખત એવું સાંભળ્યું છે કે ‘દેવું કરીને પણ ઘી પીવો’. કારણ કે ઘીનું સેવન કરવાથી આપણા શરીરની ચયાપચય ક્રિયા વધુ સુચારુ રીતે ચાલે છે. જો યોગ્ય રીતે ઘીનું સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઘીમાં મીડિયમ-ચેઈન ટ્રાઇગ્લિસરાઇડ્સ (MCTs) નામની ચરબી હોય છે. શરીર આ ચરબીને ઝડપથી પચાવે છે અને તેનો ઉર્જા તરીકે ઉપયોગ કરે છે. તેની ખાસ વિશેષતા એ છે કે તે અન્ય ચરબીની જેમ શરીરમાં સંગ્રહિત થતી નથી. તે વધુ કેલરી બર્ન કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
કેમ ઘી પીવું જોઈએ આ છે કારણ
કોઈપણ આહારમાં આપણે ઘીનું સેવન કર્યું હોય તો ખોરાક લીધા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઘીમાં રહેલા સ્વસ્થ ચરબી શરીરમાં એવા હોર્મોન્સને સક્રિય કરે છે જેનાથી મગજને પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. આવી સ્થિતિમાં ઘીનું સેવન કર્યા બાદ તમે ભજીયા અને ફાફડા જેવા ફરસાણ જેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાનું ટાળશો. અને વધુ આહાર ના લેવાના કારણે વજન વધશે નહી.
ઘીમાં બ્યુટીરેટ નામનું ફેટી એસિડ આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે.આ ફેટી એસિડ કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. તેને ખાધા પછી, ખોરાક સરળતાથી પચી જાય છે, જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો સરળતાથી મળે છે અને ચયાપચય વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.