સમગ્ર વિશ્વની નજર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થયેલા લશ્કરી મુકાબલા પર ટકેલી છે. મિડિલ ઈસ્ટ બે શક્તિશાળી દેશો વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં, ઇઝરાયલી હુમલા બાદ શેરબજાર પર પણ ખરાબ અસર પડી છે અને રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ યુદ્ધ વધુ વધવાની શક્યતા છે, જેના કારણે વિશ્વભરના દેશો તણાવમાં છે.
જો ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થાય છે, તો સપ્લાય ચેઈન પર ખરાબ અસર પડશે, જેના કારણે ઘણી વસ્તુઓ મોંઘી થવાની શક્યતા છે. જાણો કે મિડિલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારતને શું અસર પડશે. ભારત આ બે દેશોમાંથી કઈ વસ્તુઓનો ઓર્ડર આપે છે અને કઈ વસ્તુઓ મોંઘી થવાની શક્યતા છે?
ભારત ઇઝરાયલ પાસેથી શું મંગાવે છે?
ભારત અને ઇઝરાયલ વચ્ચે લાંબા સમયથી વ્યાપારિક સંબંધો રહ્યા છે. આંકડાઓની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2024-25 માં, ભારતે ઇઝરાયલને $2.1 બિલિયનનો માલ નિકાસ કર્યો છે, જ્યારે $1.6 બિલિયનનો માલ આયાત કરવામાં આવ્યો છે. ભારત મોટાભાગે ઇઝરાયલથી સંરક્ષણ ક્ષેત્ર સંબંધિત વસ્તુઓની આયાત કરે છે અને આ દેશ ભારતનો 32મો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. ભારત ઇઝરાયલથી રડાર, સર્વેલન્સ, કોમ્બેટ ડ્રોન, મિસાઇલો સહિત લશ્કરી હાર્ડવેરની આયાત કરે છે. તેમજ તે મોતી, કિંમતી પથ્થરો, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ સાધનો, ખાતરો, રાસાયણિક ઉત્પાદનોની પણ આયાત કરે છે.
ભારત ઈરાન પાસેથી શું મંગાવે છે?
નાણાકીય વર્ષ 2024-25 માં, ભારતે ઈરાનને $1.2 બિલિયનનો માલ નિકાસ કર્યો છે અને $441.9 મિલિયનનો માલ આયાત કર્યો છે. ભારત ઈરાનથી ક્રૂડ ઓઈલ, ડ્રાયફ્રૂટ્સ, રસાયણો, કાચના વાસણો આયાત કરે છે. આ ઉપરાંત, ભારતમાંથી બાસમતી ચોખા, ચા, કોફી અને ખાંડની નિકાસ કરવામાં આવે છે.
આ વસ્તુઓના વધશે ભાવ
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવમાં વધારો થવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો આવી શકે છે, જેની અસર સમગ્ર સપ્લાય ચેઇન પર પડશે અને આયાત-નિકાસ મોંઘી થશે. તેમજ મિડિલ ઈસ્ટમાં તણાવ વધવાને કારણે ફ્લાઇટ ટિકીટમાં પણ વધારો થઈ શકે છે. હકીકતમાં, પાકિસ્તાની એર સ્પેસ બંધ થવાને કારણે ભારતીય એરલાઇન્સ ખાડી દેશોમાંથી મુસાફરી કરે છે. યુદ્ધના સમયમાં, આ એરલાઇન્સે બીજો રસ્તો શોધવો પડશે.