- એકલા શ્રી જગન્નાથ હેરિટેજ કોરિડોર માટે 800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા
- શ્રદ્ધાળુઓને ભીડથી બચાવવા 200 કરોડના ખર્ચે 2.3 કિમી લાંબા ફોરલેન શ્રી સેતુનું નિર્માણ કરાયું
- મઠ અને મંદિરોના પુનર્વિકાસમાં મઠની વિશિષ્ટ પરંપરાઓમાં વાસ્તુકલાની કલિંગ શૈલીનો ઉપયોગ
અયોધ્યામાં ભગવાન શ્રીરામના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ પવિત્ર નગરીમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ સમારંભ માટે હવે માત્ર અઠવાડિયાની વાર છે અને દેશવાસીઓ તેની આતુરતાથી રાહ જુએ છે. આ આયોજનની પહેલાં ઓડિશામાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભવ્ય પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટને જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર નામથી ઓળખવામાં આવે છે.ઓડિશામાં પુરી જિલ્લામાં આવેલા જગન્નાથ ધામના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વને જોતાં અહીં હેરિટેજ કોરિડોર બનાવાયો છે. આ પરિયોજનાને શ્રીમંદિર પરિક્રમા પ્રકલ્પ (એસપીપી) નામ પણ અપાયું છે. બુધવારે શ્રી જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સરકારે ઉદ્ઘાટન માટે ચાર શંકરાચાર્યોની સાથે ભારત અને નેપાળનાં 1,000 મંદિરોના ધાર્મિક વડાઓને આમંત્રિત કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ પરિયોજના શ્રદ્ધાળુઓને સમર્પિત કરી છે. પુરીના જગન્નાથ મંદિરમાં મહાપ્રભુ જગન્નાથ, બહેન દેવી સુભદ્રા, અને મોટા ભાઈ બલરામની પૂજા કરવામાં આવે છે. આ મંદિરની ચાર દીવાલોની અંદરના ભાગમાં કોરિડોર બનાવાયો છે.
પરિયોજના ક્યારે શરૂ થઈ અને ખર્ચ કેટલો થયો?
ઓક્ટોબર 2019માં શ્રીમંદિર પરિક્રમા પ્રકલ્પ પરિયોજનાને ઓડિશા કેબિનેટમાંથી મંજૂરી મળી હતી. નવેમ્બર 2019એ આ પરિયોજના માટે જમીન-સંપાદન પૂર્ણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ કામ ગયા મહિને જ પૂરું થયું હતું. 3,200 કરોડ રૂપિયાની આ પરિયોજનાને ઘણા ભાગોમાં વહેંચી દેવામાં આવી હતી. જેમાંના એકલા શ્રી જગન્નાથ હેરિટેજ કોરિડોર માટે 800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તેના ઉપરાંત પરિયોજનામાં શ્રી જગન્નાથ મંદિર વહીવટી ભવનના પુનર્વિકાસ, 600 લોકોની ક્ષમતા ધરાવતું મંદિર સ્વાગત કેન્દ્ર, જગન્નાથ સાંસ્કૃતિક કેન્દ્ર, બદડાંડા હેરિટેજ સ્ટ્રીટ સ્કેપ, સમુદ્રતટ વિકાસ, પુરી સરોવર અને મૂસા નદી પુનરુદ્ધાર યોજના સહિત ઘણાં કાર્યો સામેલ કરાયાં છે. રાજ્ય સરકારે પુરીમાં શ્રદ્ધાળુઓને વાહનવ્યવહારની ભીડથી બચાવવાના ઉદ્દેશથી 200 કરોડના ખર્ચે 2.3 કિમી લાંબા ફોરલેન શ્રી સેતુ (ટ્રમ્પેટ બ્રિજ)નું નિર્માણ કર્યું છે, જેથી શ્રદ્ધાળુઓ સીધા મંદિર પરિસરમાં પહોંચી શકશે. આ ઉપરાંત, 90 કરોડના ખર્ચે 630 મીટર લાંબો પાકો રસ્તો (શ્રી ડાંડા) પણ બનાવાયો છે. મંદિરમાં અંદર અને બહાર પરિક્રમા પથ બનાવાયા છે.
પરિયોજનાથી શું બદલાશે?
શ્રીમંદિર પરિક્રમા પ્રકલ્પ પરિયોજના દ્વારા પુરી શહેરને નવું રૂપ અપાયું છે. હેરિટેજ કોરિડોરને એક મોટા ખુલ્લા સ્થાનમાં બનાવાયો છે, કેમ કે, રથયાત્રા સહિત મંદિરના ઘણા તહેવારો અહીંથી શરૂ થાય છે. તેનાથી શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા સુરક્ષિત વાતાવરણમાં એકઠી થઈ શકશે. 75 મીટરના શ્રીજગન્નાથ હેરિટેજ કોરિડોર (એચજેએચસી)માંનાં મઠ મંદિરોનો પુનર્વિકાસ કરાયો છે. આ મઠ મંદિરોનો પુનર્વિકાસ સંબંધિત મઠની સામાન્ય અને વિશિષ્ટ પરંપરાઓમાં વાસ્તુકલાની કલિંગ શૈલીને ધ્યાનમાં રાખીને કરાયો છે.
પૂજારી અને શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે પહેલાં શહેરમાં ખૂબ જ દુકાનો હતી અને પરિક્રમા દરમિયાન તેમને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. હવે આ વિસ્તારને સાફ કરી દેવાયો છે અને મંદિરની સુંદરતા વધી ગઈ છે. પવિત્ર ધામની ઘણી વાર મુલાકાત લઈ ચૂકેલા એક શ્રદ્ધાળુએ કહ્યું કે, રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા વધીને લાખોમાં પહોંચી જાય છે. પહેલાં રસ્તો સાંકડો હતો, પણ હવે લોકો આસાનીથી પ્રભુને પ્રાર્થના કરી શકશે. અધિકારીઓએ જણાવ્યું કે ગયા વર્ષે રથયાત્રામાં અંદાજે 17 લાખ લોકોએ ભાગ લીધો હતો.
પરિયોજનામાં બીજું શું શું બનાવાયું છે?
આ પરિયોજનામાં – સાત મીટર ગ્રીન બફર ઝોન, 10 મીટર આંતરિક પ્રદક્ષિણા, 14 મીટર લેન્ડસ્કેપ ઝોન, આઠ મીટર બાહ્ય પ્રદક્ષિણા, 10 મીટરનું સાર્વજનિક સુવિધા ક્ષેત્ર, અને સાડા ચાર મીટર સર્વિસ લેન બનાવાયાં છે. હેરિટેજ કોરિડોરમાં તમામ સુખસુવિધા મળી રહે તેવું નિર્માણ કરાયું છે. જેવી કે, મુખ્ય વસ્ત્ર કક્ષ, મિનિ-ક્લોક રૂમ, સૂચના અને દાન કિઓસ્ક, શ્રી જગન્નાથ રિસેપ્શન સેન્ટર (એસજેઆરસી), શ્રી જગન્નાથ મંદિર વહીવટી કાર્યાલય (એસજેટીએ), આશ્રય મંડપ, શૌચાલય, પોલીસ સેવા કેન્દ્ર, એટીએમ કિઓસ્ક, વીજળીઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર.


