અમેરિકા, યુરોપ અને પશ્ચિમના દેશો ભારત સાથે સંબંધો રાખવાની વાત કરે છે, પણ વારંવાર પાકિસ્તાનને પણ પંપાળી લે છે ત્યારે ‘આ નખરાં નહીં ચાલે’ એવી ભાષામાં ભારતના વિદેશ મંત્રાલયે વાત કરવી પડશે
પાકિસ્તાન ખાતેના યુકેના હાઇ કમિશનર પાકિસ્તાનના કબજાના કાશ્મીરની મુલાકાત લઈને ભારતને છંછેડ્યું છે. હાઇ કમિશનર જેન મેરિયટ 10 જાન્યુઆરીએ મીરપુર પહોંચ્યા હતા. બાદમાં તેના અહેવાલો પણ આવ્યા અને તેમણે પોતે પણ કેટલીક પોસ્ટ કરી. તેમણે લખ્યું કે બ્રિટન અને પાકિસ્તાનના લોકોના દિલના સંબંધોનું કેન્દ્ર મીરપુર છે. તેમણે આવું એટલા માટે કહ્યું મીરપુરથી ઇંગ્લેન્ડ જઈને વસી ગયેલા લોકોની સંખ્યા મોટી છે. બ્રિટનમાં વસેલા પાકિસ્તાનીઓમાં 70 ટકા મૂળ મીરપુરના છે એટલે હાઇ કમિશનરે આ મુલાકાત લીધી હતી.
આ તેમના માટેનું કારણ છે, પણ ભારત માટે કોઈ પણ બહાને પાકિસ્તાન કબજાના કાશ્મીર એટલે કે પીઓકેની મુલાકાત વિદેશના અધિકારીઓ લે, ખાસ કરીને ડિપ્લોમેટ લે તેનો વિરોધ કરવો જરૂરી છે. ભારતે વારંવાર કહ્યું છે કે સમગ્ર કાશ્મીર ભારતનું છે. માત્ર પાકિસ્તાનનો કબજો કેટલાક વિસ્તાર પર છે અને યુદ્ધ વિરામ થયેલો છે એટલે કેટલોક વિસ્તાર પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર એ રીતે ઓળખાય છે. હાલમાં જમ્મુ અને કાશ્મીર માટે નવું સીમાંકન જાહેર થયું તેમાં પણ ભારતે પીઓકેના વિસ્તારમાં વિધાનસભાની બેઠકો ગણી છે. ભવિષ્યમાં પીઓકે સમગ્ર રીતે કાશ્મીરમાં ભળે ત્યારે અહીં ચૂંટણી થાય અને તેના સભ્યો વિધાનસભામાં બેસી શકે છે.
જોકે આ પહેલીવાર એવું નથી થયું કે પશ્ચિમના કોઈ રાજદ્વારીએ પીઓકેની મુલાકાત લીધી હોય. યુરોપના ઘણા દેશોના પ્રતિનિધિમંડળો પણ આ વિસ્તારમાં જતા હોય છે. પાકિસ્તાન ઈરાદાપૂર્વક તેમણે પીઓકેનો પ્રવાસ કરાવે છે અને આ દેશોને પણ પોતાના કારણોસર આ રીતે મુલાકાત લેવામાં રસ હોય છે. પાકિસ્તાનનો ઉપયોગ અમેરિકા હંમેશા બાર્ગેઇન તરીકે ભારત સામે કરતું આવ્યું છે. ચીન સામેના ઘર્ષણ પછી ભારતની ગરજ વધી છે, તેમ છતાં પાકિસ્તાનને પંપાળવાનું પશ્ચિમના દેશો છોડતા નથી. થોડા વખત પહેલાં અમેરિકાના એક ડિપ્લોમેટ પણ પીઓકે ગયા હતા.
તે વખતે પણ ભારતના વિદેશ મંત્રાલયે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને આ વખતે પણ ભારતે વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે આ સમાચારો જોયા અને સોશ્યલ મીડિયામાં પોસ્ટ જોઈ તે પછી ભારત ખાતેના યુકેના હાઇ કમિશનરે બોલાવાયા હતા. તેમની સમક્ષ વિરોધ નોંધાવાયો હતો.
ચીન પણ અવળચંડાઈ કરતું હોય છે અને અરૂણાચલ પ્રદેશને પોતાનું ગણાવે છે. અરૂણાચલ પ્રદેશના ખેલાડીઓ હોય કે નાગરિકો તેના વીઝાને સ્ટેપલ કરવાની કોશિશ કરે છે. એટલે કે તેમના પાસપોર્ટને ભારતીય પાસપોર્ટ ના ગણવાની રીત અપનાવે છે. જમ્મુ અને કાશ્મીરના મુદ્દે પશ્ચિમના દેશોનું વલણ કાયમ માટે બેવડા ધોરણ જેવું રહ્યું છે. આ પ્રકારના મુદ્દાઓનો ઉપયોગ પોતાની વિદેશ નીતિ માટે થતો હોય છે, પણ ભારતે પોતાની વિદેશ નીતિ મજબૂત કરવાની છે. ત્યારે આ પ્રકારની રીત અપનાવાય ત્યારે માત્ર ડિપ્લોમેટને બોલાવીને વિરોધ કરવાના બદલે વધારે કડક નીતિ અપનાવવાની જરૂર છે.