- કમોસમી વરસાદના કારણે ખેતીની જમીનને જરૂરી ભેજ મળતા વાવેતરને ફાયદો
- ઘઉં, જીરું, વરિયાળી, ધાણા, ચણાના પાકમાં વાવેતર વિસ્તાર પાંચ ગણો વધ્યો
- અત્યારે સિઝનની સરેરાશ વાવણી 65% ઉપર પહોચી
નવેમ્બરના અંતે ગુજરાતના વિવિધ ભાગોમાં બે દિવસ માટે કમોસમી વરસાદ પડયો હતો. હાલ શિયાળુ પાકનું વાવેતર પુર જોશમાં થઇ રહ્યું છે, ખાસ કરીને માવઠા બાદ બે સપ્તાહમાં ગુજરાતમાં શિયાળુ વાવેતર વિસ્તારમાં આશરે 150%નો વધારો જોવા મળ્યો છે. આ બે સપ્તાહમાં ઘઉં, જીરું, વરિયાળી, ચણા સહિતના પાકોમાં વાવેતર વિસ્તારમાં બેથી લઈને પાંચ ગણા જેવો વધારો જોવા મળ્યો છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે માવઠાથી કપાસ, એરંડા જેવા પાકને નુકસાન થયું છે પરંતુ સાથે જ વરસાદના કારણે ખેતીની જમીનને જે મોઈશ્ચર (ભેજ)ની જરૂર હતી તે પણ મળી ગયો જેનાથી ખેડૂતો ઝડપી વાવેતર કરી શક્યા છે.
આ વર્ષે ગુજરાતમાં નવેમ્બરમાં સામાન્ય કરતા વધુ ગરમી રહી હતી જેના કારણે ખેડૂતોએ વાવેતર મોડું શરુ કર્યું હતું. આ દરમિયાન નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં કમોસમી વરસાદ આવ્યો જેના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. માવઠું આવ્યું તે પહેલા ગુજરાતમાં શિયાળુ પાકનું સિઝનનું સરેરાશ 26% વાવેતર થયું હતું. તેની સામે અત્યારે સિઝનની સરેરાશ વાવણી 65% ઉપર પહોચી છે. ગુજરાતમાં 20 નવેમ્બર સુધીમાં 11.77 લાખ હેકટરમાં વાવેતર થયું હતું જે 4 ડીસેમ્બર સુધીમાં વધીને 29.95 લાખ હેક્ટર થયું છે. આ સમયગાળામાં વરીયાળીનો વાવેતર વિસ્તાર 32,452 હેક્ટરથી વધી 1 લાખ હેક્ટર, જીરું 88,696 હેક્ટર સામે 3.76 લાખ હેક્ટર, ઘઉંનું વાવેતર 1.87 લાખ હેક્ટરથી વધી 6.88 લાખ હેક્ટર થયું છે. આ ઉપરાંત ચણાનું વાવેતર 1.86 હેક્ટરથી વધી 4.56 લાખ હેક્ટર થાય થયું છે.
માવઠાથી જમીનને ભેજ મળ્યો
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના એસોસિએટ રિસર્ચ સાયન્ટિસ્ટ એમ. જી. ધાંધલિયાએ કહ્યું હતું કે, સામાન્ય રીતે 15 નવેમ્બરથી 15 ડીસેમ્બર વચ્ચે શિયાળુ પાકનું સૌથી વધુ વાવેતર થાય છે. જોકે, આ વર્ષે ગરમી વધુ હોવાથી ખેડૂતોએ વાવેતર મોડા કર્યા હતા. વાવણી કરતા પહેલા ખેડૂતો જમીનને ખુલ્લી કરી અને તેમાં પાણી પીવારાવતા હોય છેજેથી જમીનમાં જરૂરી ભેજ જળવાઈ રહે. વરસાદ આવવાથી આ પ્રોસેસ આપમેળે જ થઇ ગઈ અને જમીન પર ગરમીની અસર પણ ઓછી થઇ છે. ખેડૂતોને આનો ફયદો થયો અને વાવણીને બળ મળ્યું છે.


