પ્રથમ વરસાદે જ સિગ્નેચર (સુદર્શન) બ્રિજની ૪૦૦ મીટરની પાર્કિંગ દિવાલ ધરાશાય
ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હવે ટીઆરપી કાંડ, બ્રિજ તૂટવા, એરપોર્ટની છતો ઉડી જવી, નવી આવાસ યોજનાના મકાનોમાં પાણી ટપકવાં વગેરે ઘટનાઓની કોઇ નવાઇ નથી રહી. આ અંગે લોકો દ્વારા ફરિયાદો થાય છે તેનો નિકાલ કરવાના બદલે ભ્રષ્ટાચારીઓને છાવરતા હોવાની છાપ લોકોમાં દ્રઢ બનતી જાય છે. આવી ભ્રષ્ટાચારી ઘટનામાં એક નવી ઘટનાનો ઉમેરો થયો છે. વડાપ્રધાને જેના બહુ ગુણગાન ગાયા હતા તે ઓખા-બેટનો સિગ્નેચર બ્રિજના પાર્કિંગની ૪૦૦ મીટરની દિવાલ સામાન્ય વરસાદમાં ધરાશાય થઇ જતાં આ કામમાં લોટ પાણીને લાકડાં થયાનું બહાર આવ્યું છે.
યાત્રાધામ બેટ દ્વારકા કે જે ભગવાન શ્રી કૃષ્ણની રહેણાક નગરી મનાય છે. ચારે બાજુ સમુદ્રના પાણી વચ્ચે આવેલ ટાપુ પર વસેલી આ નગરીને રાહ રસ્તે જોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૨૩૨૦ મીટર લાંબો અને ૨૭ મીટર પહોળો ઓવર ધ સી વોટર બ્રિજ વર્ષ ૨૦૧૭ના ઓક્ટોબર માસની ૭ તારીખે વડાપ્રધાન દ્વારા દ્વારકાથી ઓનલાઇન ભુમિ પૂજન કરેલ અને દેશનો પ્રથમ લાંબો કેબલ બ્રિજ હોય વિદેશોમાં ખ્યાતી પામે તે માટે અંગ્રેજી નામ સિગ્નેચર બ્રિજ રાખવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે ગત તા.૨૫-૨-૨૦૨૪ એટલે કે ચાર મહિના પહેલા તેનુ લોકાર્પણ કરવા વડાપ્રધાન અહીં રૂબરૂ આવ્યા હતા ત્યારે તેમનું નામ બદલી શ્રી કૃષ્ણ ભગવાને તેમના હાથમાં ધારણ કરેલ સુદર્શનના કારણે બ્રિજનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવેલ અને તેનું કામ પૂર્ણ થયું ના હોવા છતાં અને કામ અધૂરું હોવા છતાં પણ ચૂંટણી પહેલા તેને લોકાર્પણ કરવાની ઉતાવળના પરિણામો તો આવનારા દિવસોમાં જોવા મળે તો આશ્ચર્ય પામવા જેવું નહીં ગણાય. કારણ કે ગઈકાલે સવારે પડેલા વરસાદ બાદ આજ સવારે આ સુદર્શન બ્રીજ પાસે બનાવાયેલ આજ કંપની દ્વારા બનાવાયેલ વાહન પાર્કિંગની જગ્યાની કમ્પાઉન્ડ વોલની આશરે ૪૦-૪૦ મીટર જેટલી દીવાલ એક નહી બે બે અલગ અલગ જગ્યા પરથી ધરાશાય થઇ જતાં એ જ કન્સ્ટ્રકશન કંપની છે કે જેણે આ સુદર્શન બ્રિજનું નિર્માણ પણ કર્યુ છે. આ બ્રિજના કન્સ્ટ્રક્સન કામની ગુણવતા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. અહીં પણ આ કમ્પાઉન્ડ વોલની દીવાલ સિવાય બ્રિજ પર લગાવાયેલ મોરપીંછ ના શો પીસ પણ ઉડી ને બ્રિજ પર વેર વિખેર પડ્યા હોવાનું તસ્વીરમાં સ્પષ્ટ દેખાય છે.
હકીકત ગત વર્ષે આ બ્રીજ ના કોન્ટ્રાક્ટર એસ.પી.સિંગલા દ્વારા બિહારમાં બની રહેલો નદી પરનો મોટો બ્રિજ ઉદઘાટન થાય તે પહેલા જ તેના પીલર કોલ્લેપ્સ થતા અડધો બ્રિજ નદીમાં ગરક થયાનું નોંધાયેલ છે અને તે ઘટના બાદ આ બ્રિજના કામની ગુણવતાં ચેક કરવાનું નાટક કરી આ બ્રિજનું કામ ચાલુ રાખી પૂર્ણ કરવામાં આવ્યા બાદ અધુરા કામ સાથે તેનું લોકાર્પણ પણ કરી નાખવામાં આવ્યા બાદ ચાર મહિનામાં તેની ગુણવત્તા સામે પ્રશ્નાર્થો ઉભા થવા લાગ્યા છે.
ત્યારે અરબી સમુદ્રના મુખ પર આવેલ અને દર વર્ષે વાવાઝોડાના સતત ભય અને નાના મોટા બે-ત્રણ વાવાઝોડાનો સામનો કરતા આ વિસ્તારમાં બનેલ આ સુદર્શન બ્રિજ પણ તેનો ભોગ બનવાની શક્યતા વચ્ચે તેના કામ ની ગુણાવતા સામે ઉભા થયેલા પ્રશ્નો આવનારા દિવસો માટે હજુ ઘણાં પ્રશ્નો ઉપસ્થિત કરે તો તેમાં કોઈ આશ્ચર્ય નહી હોય તેમ જાણકારો નું માનવું હોવાનું બહાર આવેલ છે.


