મિલકત પરવીનબાબીના વારસાનો એક મહત્વનો ભાગ હતી
નષ્ટ કરી દેવાતા અનેક વિવાદો અને રહસ્યો સર્જાયા
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢના રજવાડી વારસા અને બોલીવુડની ગ્લેમર ક્વીન પરવીન બાબી સાથે જોડાયેલી યાદો પર રાતોરાત બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી મિલકત જમીનદોસ્ત થઈ ગઈ હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકા (મનપા) કે પોલીસ વિભાગમાં કોઈ જ હલચલ જોવા મળી રહી નથી.
આ મિલકત પરવીન બાબીના વારસાનો એક મહત્વનો ભાગ હતી, જેને આ રીતે નષ્ટ કરી દેવાતા અનેક રહસ્યો અને વિવાદો સર્જાયા છે.સામાન્ય રીતે કોઈ નાનું દબાણ દૂર કરવાનું હોય તો પણ તંત્ર સક્રિય થઈ જતું હોય છે, ત્યારે શહેરની મધ્યમાં આવેલી આટલી વિશાળ હવેલી ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવી હોવા છતાં તંત્રની મૌન ભૂમિકા શંકાના દાયરામાં છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે શું આ તોડફોડ પાછળ કોઈ ભૂમાફિયાઓનો હાથ છે કે પછી સત્તાધીશોની છૂપી સંમતિ? બીજી તરફ, પરવીન બાબીએ પોતાની હયાતીમાં જે ટ્રસ્ટની રચના કરી હતી, તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આ ઘટનાની જાણ થતાં જ મુંબઈથી જૂનાગઢ આવવાના છે.ટ્રસ્ટીઓએ આ ઘટનાને ગંભીર ગણાવીને રોષ વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે આ મિલકત સાથે પરવીન બાબીની લાગણીઓ અને ટ્રસ્ટના ઉમદા હેતુઓ જોડાયેલા હતા.ટ્રસ્ટીઓ દ્વારા જૂનાગઢ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરવામાં આવશે. તેમની મુખ્ય માંગ એ છે કે કોઈપણ મંજૂરી વગર હવેલી તોડનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, આ ઘટના પાછળ જવાબદાર મુખ્ય સૂત્રધારોની તપાસ કરી તેમની ધરપકડ કરવામાં આવે, ઐતિહાસિક વારસા સમાન આ મિલકતનું રક્ષણ કરવામાં તંત્ર કેમ નિષ્ફળ ગયું તેની તપાસ થાય. સાંજે બુલડોઝર આવ્યુ અને રાતભર કામ ચાલ્યુ પરંતુ તંત્રને હજુ ખબર નથી કે કોણે તોડ્યુ છે.


