- MLA અર્જુન મોઢવાડિયાએ જાવંત્રી ફિલ્ટર પ્લાન્ટની લીધી મુલાકાત
- ધારાસભ્યએ ઓધિકારીઓને સૂચનાઓ આપી
- અર્જુન મોઢવાડિયાનો પેટાચૂંટણીમાં રેકોર્ડ સરસાઈથી વિજય
પોરબંદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાતા પોરબંદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. ત્યારે લોકસભા ચૂંટણીની સાથે પોરબંદર વિધાનસભા બેઠક સહિત રાજ્યની અન્ય પાંચ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાયું હતું. 4 જૂનના રોજ લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં પોરબંદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો રેકોર્ડ સરસાઈ સાથે વિજય થયો છે.
ધારાસભ્યએ ફિલ્ટર પ્લાન્ટનું કર્યુ નિરીક્ષણ
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પેટાચૂંટણી જીત્યાના બીજા જ દિવસથી લોકહિતના કામોમાં લાગી ગયા છે. અર્જુનભાઇ મોઢવાડિયાએ પોરબંદરમાં પાણીની સમસ્યા દુર કરવા માટે બુધવારે સાંજે પોરબંદર-છાયાનગર પાલિકા સંચાલિત જાવંત્રી પાણી સપ્લાય ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઈ સ્થિતીની સમીક્ષા કરી હતી. પોરબંદર શહેરને પૂરતું પાણી મળી રહે તે માટે ખંભાળા ડેમમાંથી પાણી ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચાડવા પાઈપ લાઈન નાખવામાં આવી છે તેનું નિરીક્ષણ કર્યું હતું.
શહેરીજનોને પાણી નિયમિત મળી રહે તે માટે અપાઈ સૂચના
પોરબંદરમાં પાણી સપ્લાયની વ્યવસ્થા ખોરવાય નહીં અને શહેરીજનોને પર્યાપ્ત પાણીનો જથ્થો નિયમિત મળી રહે તે માટે અર્જુન મોઢવાડિયાએ અધિકારીઓને તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી. જાવંત્રી પાણી સપ્લાય ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત દરમિયાન ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સાથે પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ, વોટર કમિટીના ચેરમેન ભરતભાઈ ઓડેદરા અને નગરપાલિકાના એન્જિનિયરો હાજર રહ્યા હતા.


