સુપ્રિમ કોર્ટને દાતાઓનું લીસ્ટ તો આપ્યુ પરંતુ આલ્ફા ન્યુમરિક કોડ નંબર ન આપ્યા!
દેશની સુપ્રિમ કોર્ટ સાથે ચાલાકી કરનાર બેંકો પ્રજા કે ગ્રાહકોના હિતમાં કેટલી પારદર્શક રહેશે ?
દેશની સુપ્રિમ કોર્ટમા હાલ લોકશાહિનું મહામંથન થઇ રહયુ છે. એક તરફ તમામ સતા અને એક તરફ સુપ્રિમ કોર્ટની સર્વોચ્ચ બેન્ચ છે. સત્યને ઉજાગર કરવાની અને સત્યને છુપાવવા માટે જ્ઞાનતંતુની જબરી લડાઇ ચાલી રહી છે. ઘટનાચક્ર થોડુ ઝડપી અને જટીલ છે. આથી થોડી પૂર્વભૂમિકા સાથે અને ઘટનાચક્રના થોડા જુદા જુદા મણકા જોડીને વાત માંડવી પડે તેમ છે.
પ્રથમ ઘટના જોઇએ તો સુપ્રિમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ઇલેકટરોલ બોન્ડની તમામ વિગતો સુપ્રિમ કોર્ટ અને દેશના ચૂંટણી પંચને આપવા આદેશ કર્યો હતો. આ આદેશનું આંશિક પાલન કરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેકટરોલ બોન્ડની વિગતો આપી દીધી. પરંતુ ઇલેકટરોલ બોન્ડ કોણે ખરીદ્યો અને તેનો લાભાર્થી કયો રાજકિય પક્ષ છે તેની વિગતો દર્શવાતો એક આલ્ફાન્યુમિરક નંબર બોન્ડમાં છુપાવેલો હોય છે. જે સામાન્ય દ્રષ્ટિથી દેખાતો નથી. પરંતુ અલ્ટ્રાવાયોલેટ લાઇટથી દેખાય છે. તેનું કોડીંગ સ્ટેટબેંક ઓફ ઇન્ડિયા પાસે હોય છે. મતલબ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સુપ્રિમ કોર્ટને આ વિગત ન આપી ઇલેકટરોલો બોન્ડની મહન્વની વિગત ન આપી સુપ્રિમ કોર્ટે એસબીઆઇના ચેરમેનને ફટકાર લગાવી છે. ગુરુવાર સુધીમાં સંપૂર્ણ વિગતો આપવા આદેશ આપ્યો છે. અટલું જ નહિં કશું જ છુપાવ્યુ નથી એવુ એક સોગંદનામુ આપવા પણ આદેશ કર્યો છે. આ બાબતમાં રાજકિય પાર્ટીઓ પણ ચાલાકી કરી રહી છે. એસબીઆઇએ છુપુ દાન લેનાર રાજકિય પાર્ટીઓને બચાવી. સત્ય છુપાવ્યુ. આ પાર્ટીઓમાં ભાજપ,કોંગ્રેસ,ત્રિણમુલ,સ.પા. બસપા. બધાં જ છે. બધાં જ ચૂપ છે. મમતા બેન બેનર્જીએ તો કહયુ કે અમારી ઓફિસમાં કોઇ બોન્ડ નાંખી ગયુ! આટલી નફફટાઇથી ભારતના નાગરિકોને અને ભારતની સુપ્રિમ કોર્ટને જવાબ આપી શકાય છે. મજાની વાત એ છે કે સુપ્રિમ કોર્ટ ઇલેકટરોલ બોન્ડની સમગ્ર વિગત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી આદેશ દ્વારા મંગાવવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે તમામ રાજકિય પક્ષો એકાદ નાના પક્ષના અપવાદ સિવાય સ્વયં તેમને મળેલા દાનની વિગત પ્રસિધ્ધ કરવા માંગતાં નથી. કોંગ્રેસ ભાજપ ઉપર આક્ષેપ કરે છે કે ઇ.ડી.ઇન્કમ ટેકસની મદદથી આ ચંદો ઉઘરાવ્યો છે. પરંતુ કોંગ્રેસને પણ ૧ હજાર કરોડ રૂપિયા મળ્યા છે. આ બાબતે કોંગ્રેસ કેમ પોતાના દાતાઓના નામ જાહેર નથી કરતી. કેમ પોતાને કેટલી રકમ કોણે આપી છે તેની જાહેરાત કરતી નથી.
કારણ કે ભારતમાં સૌથી વધુ દંભ રાજકારણમાં થાય છે. નીતિન ગડકરી કહે છે કે, રાજકિય પક્ષ ચલાવવા માટે ફંડની વ્યવસ્થા આવશ્યક છે. જે વ્યવસ્થા છે એ છુપુ દાન લેવાની છે. એ ન હોય તો કાળુ નાણુ લેવુ પડે.બીજી વાત નથી કરતાં એ છે કે મેઘા ઇન્ફ્રાસ્ટ્રકચર કે જેમણે લગભગ તમામ રાજકિય પક્ષને ફંડ આપ્યુ છે તેમને આવો પ્રેમ રાજકિય પાર્ટીઓ ઉપર કેમ ઉભરાઇ ગયો.? આ કંપનીએ ખુબ વિકાસ કર્યો છે. ખુદ ગડકરીએ મેઘા ઇન્ફ્રા.નું સંસદમાં નામ લઇને તેની પ્રસંશા કરી હતી. આ સમયે કોગ્રેસ સહિતના તમામ પક્ષના નેતાઓ ચૂપ હતાં. કારણ કે તેઓ પણ લાભાર્થી હતાં. હકિકતમાં આ દેશની પોલિટિકલ સિસ્ટમ એટલી સડિયલ છે કે કોઇ પણ વેપાર ધંધાને ટેલન્ટ બેઝ લેવલ પ્લેયીંગ ફિલ્ડ નથી મળતું. ફેવર બેઝ લેવલ પ્લેયીંગ ફિલ્ડ મળે છે. મતલબ કે સતા સ્થાને હોય તેમને પૈસા આપો. તમારુ કામ કરાવો. તમારી પ્રગતિ કરો. આ પૈસા આપવાથી કાં તો કામ નબળુ થાય અથવા કામની ગુણવતા સ્ટાન્ડર્ડ મુજબ રાખવા જાય તો તેની કિંમત વધે. કારણ કે દાન સારો શબ્દ છે. પરંતુ આ તો એક પ્રકારની ખંડણી કે ફાળો છે. જે ફરજિયાત આપવો પડે છે. મંદિરની દાન પેટી નથી કે કોઇ ખુશ થઇને આપી જાય. આ માટે ઇ.ડી. અને ઇન્કમટેકસના ઉપયોગ થયાના આક્ષેપો થયા છે.
ગઇ કાલે એટલે કે ૧૮મી તારીખે સુપ્રિમ કોર્ટમા બીજી એક ઘટના બની.સુપ્રિમ કોર્ટમાં મુકુલ રોહતગી, સાલ્વે અને સુપ્રિમ કોર્ટના બાર એસો.ના પ્રમુખ સહિતના ધુરંધર વકિલો ચાલુ કોર્ટે એક નવી અરજી લઇને આવ્યા. એસોચેમ (એસોસિએટેડ ચેમ્બર) સી.આઇ.આઇ. (કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ) જેવી દિગ્ગજ વેપારી સંસ્થા વતિ આ ખુબ જ મોંઘા દાટ વકિલોની માગણી એ હતી કે ઇલેકટરોલ બોન્ડની વિગતો જાહેર ન થાય. મતલબ કે ભારતની ભોળી જનતા સમક્ષ ચુંટણી ફંડનો આ ખેલ ખુલ્લો ન પડે. જો કે સુપ્રિમ કોર્ટના ન્યાયધિશોએ કડક વલણ અખત્યાર કરી આ વકિલોને સાંભળવા જ ઇન્કાર કરી દીધો. પરંતુ સુપ્રિમ કોર્ટની આખી બેન્ચ ઉપર દબાણ કરવામાં આ વકિલોએ કશું બાકી નહોતું રાખ્યુ. એક તબકકે તો સી.જે.આઇ. ચંદ્રચુડને વકિલને શટ અપ કહેવુ પડયુ હતું. ન્યાયધિશ ઉપર દબાણ વધારાતા ન્યાયધિશે કહયુ હતું કે તમારે કોર્ટની અવમાનનાની નોટિસ જોઇએ છે ?
મતલબ કે એસબીઆઇ મોદી સરકાર અને વિપક્ષોએ સાથે મળીને કરેલા ગપલાંને હવે લોકસભાની ચૂંટણી સમયે બહાર આવતુ રોકવા અંદર બહારના પ્રયાસો થાય છે.કોંગ્રેસ પણ આ ફંડમાં લાભાર્થી છે. પરંતુ સૌથી વધુ કોંગ્રેસ આ મામલાનો રાજનૈતિક લાભ ઉઠાવવા શસ્ત્રો સજાવી રહી છે. સૌથી વધુ ૮ હજાર કરોડનું દાન ભાજપને મળ્યુ છે એટલે કોંગ્રેસ ભાજપની મોદી સરકાર આ કાયદો લાવી છે ભાજપે ઇ.ડી. અને ઇન્કમટેકસની ધાક ધમકીથી કોર્પોરેટ કંપની પાસેથી દાન ઉઘરાવ્યુ છે એવા આક્ષેપ કરવા માંડી છે. કોંગ્રેસની વાત સાચી છે. રાષ્ટ્રવાદ અને રામભકિતની વાત કરતી પાર્ટીએ ચોરી છુપીથી દેશની જનતાને અંધારામાં રાખી અને દાન લેવાની જરૂર શું પડી ? પરંતુ અત્યાર સુધી એક હજાર કરોડનું દાન લેનારી કોંગ્રેસે કેમ ન કહયુ કે ઇલેકટરોલ બોન્ડની પધ્ધતિ ખોટી છે. અમે આ રીતે દાન નહિ લઇએ. દાન તેમની તિજોરીમાં જમા કર્યા બાદ કોંગ્રેસ વિરોધ કરવા નિકળી છે. આમ હમામમાં સૌ સરખા છે.
ભારતની જનતા આ બધું મૂક જુએ છે રામમંદિરનો કેફ હજુ ઉતર્યો છે કે નહિ એ ખબર નથી. પરંતુ ન્યાય મંદિરમાં એક નૈતિક જાગરણનો યજ્ઞ ચાલે છે. જે લોકશાહિ માટે ખરો દીપક બની રહેશે. જો પ્રજા આ સિસ્ટમના દિવામાં દિવેલ નહિ પુરે તો સત્યની જયોત ટમટમતી કેમ રહેશે. સાચા સમયે સાચુ ન બોલવાની સજા તો ભોગવવી જ પડશે. તમારે નહિ તો તમારી બીજી પેઢીને. તમારી નવી પેઢી પણ આવા મુદ્ એક સમયે તર્કથી આકલન કરશે. કે અમાર વાલીઓ કેટલા નિષ્ફક્ષ,ખમીરવંતા હતાં. તમારી પેઢી પાસે ભવિષ્યમાં શરમીંદા ન થવું હોય તો આજે તમારો દિવસ છે. ખોટાને ખોટુ અને સાચાને સાચુ સમજવાનું સૌ પ્રથમ કૌશલ્ય કેળવો. ત્યાર બાદ ખોટાને ખોટુ અને સાચાને સાચુ કહેવાની હીંમત કેળવો. સાચાને પ્રમાણવા અને જીવંત રાખવા બહાર આવો. લોકશાહિનું પર્વ આવે છે ત્યારે બૌધિક ચાંચિયાઓને પણ ઓળખવાનો અવસર છે
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો આ બેંક ભારતની બેંક છે. તેના નામમાં જ ભારતની બેંક આવે છે આ બેંકના ચેરમેન પ્રજાની પડખે રહેવાન બદલે નાણાની હેરાફેરી કરનારા પક્ષોને બચાવવાનું માધ્યમ બને અને સુપ્રિમ કોર્ટની આંખમાં ધુળ નાંખવાનો પ્રયાસ કરી શકે છે. જો સુપ્રીમ કોર્ટ સમક્ષ બેંક ચબરાકી કરતી હોય તો બેંકના સામાન્ય ગ્રાહક કે ભારતની પ્રજા સાથે પારદર્શી વ્યહવાર કરશે જ એવી અપેક્ષા રાખવી શકય છે ?