પેટ્રોલ-ડિઝલ ગેસના ભાવમાં ચૂંટણી ટાણે જ ઘટાડો કરવા પાછળ મતદારોને રિઝવવાની ફેશન
ગઇ કાલે કેન્દ્ર સકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લિટરે બે રૂપિયાનો ભાવ ઘટાડો જાહેર કર્યો છે. આ પૂર્વે રાંધણગેસના ભાવમાં પણ ઘટાડો કર્યો છે. પેટ્રોલ ડિઝલના ભાવ આમ તો મિકેનાઇઝ થઇ ગયા છે. આંતરાષ્ટ્રિય બજાર પ્રમાણે વધઘટ થયા કરે છે. પરંતુ સરકારે લોકસભાની ચૂંટણી પૂર્વે લોકોની વાહવાહિ મેળવવા અને મતદારોને રિઝવવા એક નબળો પ્રયાસ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લિટરે બે રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડાની અસર દરેક રાજયની વેટ અને અન્ય કરવેરાના ભારણ ઉપર આધારિત રહેશે.
પેટ્રોલ ,ડિઝલ અને રાંધણ ગેસનો ભાવ ઘટાડો ચૂંટણી સમયે જ કેમ થાય છે. ? સામાન્ય મતદાર પણ સરકારની આવી સસ્તી પ્રસિધ્ધિ લેવાની હરકતનો પરિચય છે. વાસ્તવમાં દેશમાં જે રીતે દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવી રહયુ છે એ રીતે રાજકારણમાં પરિવર્તન નથી આવી રહયુ. રાજકારણમાં ઘણી ઘીસી પીટી બાબતો આજે પણ કાયમ છે. રાજકિય પક્ષોને અનુકુળ હોય એવા કાયદા અને અમલદારશાહિ પણ કાયમ છે. રાજકારણીઓ મતદારોનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે. ચૂંટણી વ્યવસ્થા સહિત અનેક બાબતો એવી છે કે જેમા મતદાર ખરેખર રાજા નથી પણ રંક છે.
તાજેતરનો જ દાખલો લઇએ તો મતદારોએ ગુજરાતમાં ભાજપની વિરૂધ્ધ મતદાન કરી જે ધારાસભ્યોને ચૂંટયા હતાં તે ધારાસભ્યોએ વિરોધપક્ષ કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં પ્રવેશ મેળવ્યો. શાસક પક્ષ લોકશાહિના મૂળભૂત હાર્દ ઉપર સરેઆમ કુઠારાઘાત કરે છે. પ્રજાનો જનાધાર મેળવી ધારાસભ્ય અડધે રસ્તે રાજીનામુ કઇ રીતે આપી શકે. આજે કોઇ પક્ષના ચિહ્ન ઉપર ચૂંટાયો હોય તે આવતી કાલે તેમના મતદારોને પૂછયા વગર બીજા પક્ષની પાટલીએ કઇ રીતે બેસી શકે ?
લોકશાહિની મજાક બનાવવાની આ પરંપરાને રાજકારણ કહેવાય છે. તો પછી ચૂંટણીઓના લખલુંટ ખર્ચ કરવાની જરૂર શું છે. લોકશાહિના પવિત્ર તહેવાર કહેવાતાં ચૂંટણી પર્વનું જરૂર શું છે. કરોડો રૂપિયાના ચૂંટણી ખર્ચ કરી મતદાન માટે કરોડો માનવ કલાક વ્યય કરવાની જરૂર શું છે.? દરેક ચૂંટણી બાદ મતદાર હાંસિયામાં ધકેલાઇ જાય છે. ખરેખર તો જે પ્રતિક ઉપર ઉમેદવાર ચૂંટાયો હોત તે ઉમેદવારને અન્ય પાર્ટીમાં જવાનું હોય તો તેના પાંચ વર્ષના બોન્ડ લેવા જોઇએ. એ પાંચ વર્ષ સુધી તે ફરીથી કોઇ પક્ષમાં જોડાઇ ન શકે. જોડાય તો તે ચૂંટણી બીજી ટર્મ સુધી લડી ન શકે. પેટા ચૂંટણી એ તો લોકશાહિની મજાક છે. માત્ર ધારાસભ્ય કે સંસદ સભ્ય અથવા સદસ્યના મૃત્યુના કિસ્સામાં જ પેટા ચૂંટણી થવી જોઇએ. પરંતુ એવુ નથી થતું. લોકશાહિમાં વહિવટી તંત્રની જુગલબંદી થાય છે. ચૂંટણી પંચ પણ તેનું ક્રિયાકર્મ જ કરે છે. લોકશાહિની ફરજ બજાવવાને બદલે મોટા ભાગે શાસક તરફી વલણ દાખવતું આવ્યુ છે. ચૂંટણી પંચ એવા આમૂલ પરિવર્તન લાવવા સમર્થ નથી.
આવા સંજોગોમાં મતદારની પરિપકવતા જ પરિવર્તનનો આધાર બને. દક્ષિણના રાજયોમાં સસ્તી ઇડલી કે એક સમયે ટી.વી.કે લેપટોપની ભેટની યોજનાઓ ચૂંટણી જીતવા માટે જાહેર થતી. બાદમાં દેશના અન્ય રાજયોમાં આ રોગ લાગુ પડયો. ગુજરાતમાં યુવા મતદારોને આકર્ષવા એક સમયે વિદ્યાર્થીઓને સસ્તા કે મફત ટેબલેટ ભેટ આપવામાં આવ્યા હતાં. મતદારોને રિઝવવા પાછળ માત્ર ચૂંટણી જીતવાની માનસિકતા જ હોય તે બાબત આવકારદાયક નથી. મતદારોએ પણ આવી બાબતોને ધ્યાને રાખી મતદાન કરવુ પડશે.