કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
ઘણા લોકો ‘સામે’ આવે છે, પણ સન્મુખ નથી થતાં!
ભાગવદ અને ભાગિરથિની ભૂમિ શુક્રતાલ (ઉત્તરપ્રદેશ)માં રામકથા ‘માનસ સુકતાલ’નો મંગલ-દિવ્ય શુભારંભ
સુકદેવજી ચિરંજીવી નથી, અમર છે, અક્ષય છે
રામચરિત માનસની નીચેની પંકિતઓને કેન્દ્રસ્થ પ્રિય બાપુની રામકથા ‘માનસ સુકતીર્થ’નો શનિવારે દિવ્ય-મંગલ શુભારંભ થયો હતો.
સુક સનકાદિ ભગત મુનિ નારદ,
જે મુનિબર બિગ્યાન બિસારદ
સુક સનકાદિ સિધ્ધ મુનિ જોગી
નામ પ્રસાદ બ્રહ્મસુખ ભોગી
પૂંછિહુ રામકથા અતિ પાવનિ
સુક સનકાદિ સંભુ મન ભાવનિ
પ્રથમ દિવસ (શનિવાર)ની કથાના પ્રેમસંવાદમાં બાપુએ કહ્યું હતું કે આ ભાગવદ અને ભાગિરથિની ભૂમિ, સૂકદેવજીની ભૂમિ પર આજથી કથાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે નિમિતે માત્ર મનોરથિ પરિવાર અને જે લોકો આ કથાની સેવામાં જોડાયા છે તે સૌ પ્રત્યે મારી પ્રસન્નતા પ્રગટ કરૂ છું. બાપ, ખુશ રહો, ખુશ રહો….મૂળ આ દિવસોમાં રામકથા ઇજિપ્તની ભૂમિ પર યોજાવાની હતી પરંતુ આજકાલ વિશ્વની દુનિયાની યુધ્ધમય સ્થિતિ જોતાં આ શુક્રતાલની ભૂમિ પર કથાગાન નિશ્ચિત થયું.
મહાભારતમાં શાંતિપર્વના મોક્ષધર્મના પ્રકરણમાં ખુદ વેદ વ્યાસજી સુકદેવજી વિશે સંવાદ કરે છે. ઉપરાંત અન્યાય ગ્રંથોમાં પણ સુકદેવજીનો મહિમા ગવાયો છે. આપણે ત્યાં ઘણા લોકો ચિરંજીવી હોય છે, પણ ચિરંજીવી હોય એ બધાં જ અમર નથી દિર્ઘાયુ છે. ઘણા ચિરંજીવીઓ ઇચ્છા મૃત્યુ ધારી પણ છે. સુકદેવજી અમર છે, અક્ષય છે મને અહીંના દંડીસ્વામીજી (જે હવે નથી-બ્રહ્મલીન થયા છે) એ કહ્યું હતું કે બાપુ, આજે પણ ઘણા-ઘણા સાધકો-મહાત્માઓ સંતોને સુકદેવજીના દર્શન થાય છે અને એ કોઇ ચમત્કાર કે પરચા નથી. અધ્યાત્મ જગતમાં આ શકય છે. પ્રત્યક્ષ સેવા સંદર્ભે કહુ તો કોઇ સાધુ-બુધ્ધ પુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે પણ ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી! આપણે કોઇ મૂર્તિની પ્રત્યક્ષ સેવા કરીએ છીએ ત્યારે એ મૂર્તિમાં રહેલા કોઇ પરમતત્વને યાદ કરીને સેવા-પૂજા થાય છે જયારે કોઇ સાધુ કે બુધ પુરૂષની આપણે પ્રત્યક્ષ સેવા કરી શકીએ છીએ.
રામકથાના બીજા દિવસે-ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતાં પ્રિય બાપુએ કહ્યું કે ઉપનિષદમાં એક મંત્ર છે, જેમાં સૂકદેવજીનું સંપૂર્ણ દર્શન સમાયુ છે. એ મંત્રમાં જે જે દર્શાવાયુ છે એ સર્વ ગુણ સુકદેવજીમાં આપણને દર્શિત થાય છે. આપ સૌ પણ એ મંત્ર મારી સાથે ગાઓ-પઠન કરો….
ગગનસિધ્ધાંત : અમૃત કલ્લોલ નહિ
અક્ષય નિરંજનમ નિ:સંશય ઋષિ
નિર્વાણો દેવતા નિષ્કુલ પ્રવૃતિ
નિષ્કેવલમ જ્ઞાનમ ઉધર્વામનાય : નિરાલમ્બ પીઠ અર્થાત સુકદેવજી આકાશની જેમ અસિમ છે. આપણા શાસ્ત્રોમાં ભાષાની પ્રકારો છે. આધિભાષા, ઉપાધિભાષા, વ્યાધિભાષા અને સમાધિ ભાષા, કબીર સાહેબની ભાષા સમજવા માટે સાધુ સંહિતા સમજવી પડે છે. કબીર લખે કે કબીર સાહબની ઉલટી બાની, બરસે કંબલ ભીગે પાની, હવે આનો અર્થ શું? કંબલ એટલે કે ધાબળા વરસે અને પાણી ભીંજાય! એટલે કે કમજલમ બલમ યસ્ય…કમ-બલ કંબલ એટલે આંખના અશ્રુ અને આ આંસુઓ આપણા હાથથી લૂછીએ એ હાથ ભીંજાય છે એ અર્થમાં ભીગે પાની!
કથારત્નો
(૧) ભાગવદ મારો વિષય નથી, વિશ્વાસ છે
(૨) મારી પાસે ‘ડિગ્રી’ નથી, હું તો તમારી ‘બીગડી’ સુધારવા આવ્યો છું
(3) સંસ્કૃત ગિરા (વાણી) છે, ભાષા નથી
(૪) સાધુને કોઇ પરિજન નથી હોતા એને માટે સૌ પ્રિયજન છે
(૫) એક ભાઇનો પ્રશ્ન છે: બાપુ, ત્રિભુવનદાદા સંસ્કૃત જાણતા હતાં? જવાબ : સંસ્કૃત જાણતા હતા કે નહી એની ખબર નથી, પણ સંસ્કૃત એને જાણતું હતું!!!
‘માનસ મશાલ’ વિશે કથાગાન કરવાનો મનોરથ છે….
કથા સંવાદ દરમ્યાન કબીર સાહેબનો સંદર્ભ આવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે મારે ‘માનસ મશાલ’ને કેન્દ્રમાં રાખીને એક કથાગાન કરવાનો મનોરથ છે અને એ કથા કાશી-વારાણસીમાં ગાશું. કબીર સાહેબ જે મશાલ લઇને નિકળ્યા હતા. જે સાધુકડી બોલીમાં કબીર સાહેબ બોલ્યા છે. કબીર ખૂબ યાદ આવે છે. તો મશાલ વિશે કથાગાન કરવું છે. નેવું ટકા પાક્કું, કયારે થાય એ હરિ ઇચ્છા….


