અમરેલીના જેસિંગપરામાં યુવક પર હુમલો અને લૂંટની ઘટનાથી ચકચાર
સ્થાનિકોએ પોલીસ મથકે રામધૂન બોલાવી વિરોધ કર્યો, DYSPની ખાતરી બાદ મામલો થાળે પડ્યો : હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઇ
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં દૂધ ભરીને જઈ રહેલા એક નિર્દોષ યુવક પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરી મારપીટ કરી હતી. આ ઘટનાના વિરોધમાં અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. મળતી માહિતી મુજબ, અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ચિરાગભાઈ હરીભાઈ ગોહિલ નામનો યુવક પર હુમલો કરાયો હતો. ચિરાગભાઈ જ્યારે બાઇક પર દૂધ ભરીને જેસિંગપરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઇડમાંથી આવેલા જાવેદ અને સોહિલ નામના બે શખ્સોએ તેમની બાઇકની ચાવી બંધ કરી દીધી હતી. આ બાબતે સામાન્ય બોલાચાલી થતાં જ બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ચિરાગભાઈ પર પથ્થરો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આટલું જ નહીં હુમલાખોરોએ યુવકના હાથના અંગૂઠા પર બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ ચિરાગભાઈ પાસે રહેલા રૂ. ૧૯,૦૦૦ રોકડા અને ગળામાંથી રૂ.૫૦,૦૦૦ ની કિંમતનો સોનાનો ચેઈન કુલ રૂ. ૬૯,૦૦૦ ની લૂંટી કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતાં. ઇજાગ્રસ્તને યુવકને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ જેસિંગપરા વિસ્તારના રહીશો, નગરપાલિકાના સુધરાઈ સભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં અમરેલી સિટી પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં અવારનવાર આવી મારામારી થાય છે પરંતુ પોલીસ ગુનેગારો સામે નરમ વલણ દાખવી રહી છે. પોલીસની ઢીલી કામગીરીથી નારાજ લોકોએ પોલીસ મથકના પટાંગણમાં જ બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. આ ધટના પગલે DYSP ચિરાગ દેસાઈ તાત્કાલિક પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકોને ખાતરી આપી છે કે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે અને કડક કલમો હેઠળ ગુનો નોંધી પીડિતને ન્યાય અપાશે. પોલીસની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો.


