રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
બુદ્ધ પુરુષ આપણા મન-બુદ્ધી-ચિત્ત-અહંકારમાં રહે છે
વાયા વાયા જે આવે એ કશું સાંભળવું નહીં, ડાયરેક્ટ કાનમાં આવે એ જ સાંભળવું
સદગુરુ તેના શિષ્યના પ્રેમ બંધનમાં બંધાયેલો રહે છે
અમેરિકા-બોસ્ટનની જગપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના પરિસરમાં પ્રવાહિત થઈ રહેલી રામકથા માનસ ગુરૂપ્રસાદ ગઈકાલે ત્રીજા દિવસના પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે, ઈસાઈ ધર્મના પાદરી જહોન હાર્વર્ડના પાદરમાં આ રામકથા પ્રવાહિત થઈ રહી છે ત્યારે એક પાદરીના પાદરમાં કથાગાનની પ્રસન્નતા થઈ રહી છે. ગઈકાલે સાંજના જે વ્યાખ્યાનો થયા એ જો કે અંગ્રેજીમાં હતા તો હું અમારા સ્નેહી કથાકાર વક્તા ભુપેન્દ્રભાઈ પંડ્યાને પૂછતો હતો, એ મને ગુજરાતીમાં સમજાવતા હતા. યુવાન છોકરાઓએ તો મને કહ્યું કે બાપુ, કાનમાં તમે આ યંત્ર રાખો તો જે અંગ્રેજીમાં વ્યાખ્યાન છે તે થોડી ક્ષણોમાં એનું હિન્દીમાં ભાષાંતર થઈ જાય અને તમને સંભળાય! મેં કહ્યું એ બધુ મને ન ફાવે! વાયા વાયા જે આવે એ કશું સાંભળવું નહીં, ડાયરેક્ટ કાનમાં આવે એ જ સાંભળવું.
હમણા હું મુંબઈ જૈનમુની નમ્રમુની મહારાજ અને રત્નસુંદરવિજયજીને મળવા ગયેલો. મારો વર્ષોનો અનુભવ છે કે હું કોઈને સાંભળું તો એ દરેક પાસેથી મને કંઈક ને કંઈક નવું જાણવા-સાંભળવા મળે જ છે. તો જૈન મુની રત્નસુંદરવિજયજીએ એક સરસ વાત કરી: એક માણસ દિવો લઈને જતો હતો- એ દિવા સાથે વાતો કરતો જતો હતો. દિવા ધારક માણસે દિવાને કહ્યું કે મારી યાત્રા તો ખુબ લાંબી છે તો તું ક્યાં સુધી મારી સાથે રહીશ? ત્યારે દિવાએ જવાબ આપ્યો કે- તું મને સાંભળ તો હું તને સાંભળી લઈશ.
હમણા હું પાલીતાણા જતો હતો. રસ્તામાં ભિક્ષા માટે આજુબાજુના ખેતરોમાં જતો હતો તો એક જગ્યાએ હિંચકો દેખાયો અને મને થયું કે અહીં ભિક્ષા માટે જાઉં, ભેંસો-ગાયો હતી, ગાડી એ ખેતર તરફ લીધી. અમને આવકાર આપ્યો.ખાટલો પાથર્યો, એમના પત્ની પણ આવ્યા. ખબર-અંતર પૂછ્યા ત્યારે એ ભાઈ રડી પડ્યો અને બોલ્યો કે બાપુ, મુસ્લીમ છું, રંગારાનું કામ કરું છું. અઠયાવીસ વરસથી ન ખવાનું છોડી દીધું છે અને મનમાં એક સંકલ્પ હતો કે ક્યારેક બાવો આવશે… ક્યારેક બાવો આવશે… બાપુ, તમે આવ્યા હું ધન્ય થયો…. ને એ માણસ સતત રડતો રહ્યો….
તુલસીજીની કોઈપણ ચોપાઇ-સોચ્છા-છંદ-દોહા એ શાસ્ત્રીય સંગીતના કોઈપણ રાગમાં ગાઈ શકાય છે. આ માણસ સૂરોનું શાસ્ત્ર છે. રામકૃષ્ણ પરમહંસના એક સ્વામી રંગાનાથજી હતા એમણે ગુરૂપ્રસાદ સંદર્ભે લક્ષણો દર્શાવ્યા છે, સ્વામી કહે છે કે ૧) જેને જોવાથી આપણને લાગે કે માણસ શુદ્ધ છે તો એ ગુરૂપ્રસાદ છે ૨) જેને અઘ્યાત્મને સ્વાભાવિક રૂપમાં પૂર્ણ પ્રાપ્ત કર્યું હોય અને પચાવ્યું પણ હોય એ ગુરૂ 3) જેમની પાસે જવાથી આપણી આંખોમાં આંસુ આવે અને મૌન થઈ જવાય તો એ ગુરૂપ્રસાદ છે.
મારા માટે તો આ રામચરિત માનસ જ વિશ્વવિદ્યાલય છે. કેમ્બ્રીજની કથા વખતે આ જ કેન્દ્રસ્થ વિષય હતો માનસ વિશ્વ વિદ્યાલય તો માનસરૂપી વિશ્વ વિદ્યાલયના મારી દ્રષ્ટીએ આ સાત સૂત્રો મને લાગ્યા છે, આ મારા માટે છે, તમારે એનો સ્વીકાર કરવો જરૂરી નથી, તમે સ્વતંત્ર છો, પણ મને સાત સૂત્રો (માનસમાં સાત સોપાન-કાંડ છે) પ્રાપ્ત થયા છે…. (૧) અઘ્યાત્મ દિક્ષિત ધર્મ-ધર્મ એટલે સ્વભાવ (૨) જ્યાં જ્ઞાન-વિજ્ઞાન હોય, એટલે કે થિયરી અને પ્રેક્ટિકલ બન્ને હોય (3) જ્યાં વૈશ્વીક ભાવના હોય, વસુધૈવ કુટુમ્બકમ્ નો વિચાર હોય (૪) સંવેદના પૂર્ણ સંવાદ હોવો જોઈએ (૫) હાર્દિક બૌદ્ધીકતા હોવી જોઈએ, ખાલી બૌદ્ધીકતા નહીં પણ હાર્દિક બૌદ્ધીકતા હોય (૬) જ્યાં નિર્માણ અને નિર્વાણ બન્ને હોય, નિર્વાણ પણ જરૂરી છે (૭) જ્યાં પરમવિશ્રામ મળે- તો આ સાત સૂત્રો માનસને આધારે મળ્યા છે, આ સાત સૂત્રો દરેક વિશ્વ વિદ્યાલયમાં હોવા જોઈએ તો જ એ વિશ્વ વિદ્યાલયની સાર્થકતા છે.
કથારત્નો
૧) માત્ર તરસ્યો માણસ જ પાણી નથી શોધતો, પાણી પણ તરસ્યાની શોધ કરતું રહે છે: સંત રૂમી
૨) રજનું કોઈ ચરિત્ર નથી હોતું પણ એ ગુરૂચરણમાં હોય ત્યારે પરમનું સ્થાન પામી જાય છે
3) ગુરૂપ્રભાવ કરતા ગુરૂ સ્વભાવ જાણવો
૪) શાશ્વત સનાતનમાં જીવે તે સાધુ છે
૫) ચૌદભુવનના ચોકમાં બેઠું, વણમાગ્યે વહેંચાય, સાધુ એવું પાણીયારું સૌનો વિસામો થાય… ઘનશ્યામ પરમાર (તલગાજરડા)
૬) કોઈ હતું ન સાથ, તો માળા કરી લીધી, કરવી’તી ખુદથી વાત, તો માળા કરી લીધી. લોકો સૌ વ્યસ્ત હતા એના કામકાજમાં, મારે હતી નિરાંત, તો માળા કરી લીધી: મિલિન્દ ગઢવી
૭) શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી શિવ દરશન આપો….
૮) જગત ભર કી રોશની કે લીયે, કરોડો કી જીંદગી કે લીયે, સૂરજ રે જલતે રહેના… ફિલ્મ: હરિશ્ચન્દ્ર તારામતી
૯) તમે ધાર્યું નથી એવું નિરાળું ધારશે સાધુ, નવી નોખી જ કેડી આખરે કંડારશે સાધુ. સનાતન જ્યોત જલાતી રાખવા જાતે ઝઝૂમીને, લીધા જીવલેણ ઝંઝાવાતને પડકારશે સાધુ


