તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ (મોક્ષ) એ માત્ર એક ઘટના નથી, પરંતુ જૈન ધર્મ માટે એક મહાન પર્વ અને આત્મસાધનાની પરાકાષ્ઠાનું પ્રતીક છે. તેઓ વર્તમાન અવસર્પિણી કાળના ચોવીસમા અને અંતિમ તીર્થંકર હતા, જેમણે વિશ્વને અહિંસા, સત્ય અને અપરીગ્રહના પાયા પર ટકેલો શાશ્વત ધર્મ આપ્યો.
નિર્વાણ પહેલાંનો અંતિમ સમય
ભગવાન મહાવીરે 30 વર્ષની વયે રાજપાટનો ત્યાગ કરીને દીક્ષા લીધી અને સાડા બાર વર્ષની ઘોર સાધના બાદ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન બાદ તેમણે લગભગ 30 વર્ષ સુધી દેશના (ધર્મોપદેશ) આપીને કરોડો જીવોને ધર્મમાર્ગે વાળ્યા. તેમના અનુયાયીઓમાં રાજાઓ, ગણધરો, સામાન્ય સ્ત્રી-પુરુષો સૌનો સમાવેશ થતો હતો.
તેમના જીવનના અંતિમ સમયમાં 72 વર્ષની વયે તેઓ બિહારના પાવાપુરી (વર્તમાન નાલંદા જિલ્લામાં આવેલું) નામના સ્થળે પધાર્યા. અહીં તેમણે હસ્તિપાલ રાજાના તલાટીની કચેરીમાં ચાતુર્માસ (ચોમાસુ) માટે નિવાસ કર્યો. ભગવાન મહાવીર જાણતા હતા કે તેમનો મોક્ષ સમય નજીક છે, તેથી તેમણે પોતાની શક્તિનો સંપૂર્ણ ઉપયોગ ધર્મનો પ્રચાર કરવામાં કર્યો.
અનવરત દેશના (48 કલાકનો ઉપદેશ)
પાવાપુરીમાં મહાવીર સ્વામીએ તેમનો અંતિમ અને સૌથી લાંબો ઉપદેશ આપ્યો. જૈન શાસ્ત્રો અનુસાર આ દેશના સતત સોળ પ્રહર એટલે કે 48 કલાક સુધી અવિરત વરસતી રહી હતી. આ સમય દરમિયાન તેમણે કેવળજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલા ધર્મનું સંપૂર્ણ રહસ્ય ખુલ્લું કર્યું. તેમના ઉપદેશને સાંભળવા માટે માનવીઓ, દેવો અને તિર્યકો(પ્રાણીઓ)નો મોટો સમુદાય એકઠો થયો હતો. 48 કલાકના ઉપદેશ બાદ તેમણે છઠ્ઠના ઉપવાસ (બે દિવસના ઉપવાસ) ધારણ કર્યા. આ સમયે તેમના શરીરનાં તમામ કર્મો ક્ષીણ થવાની પ્રક્રિયામાં હતાં.
નિર્વાણ અને મોક્ષની પ્રાપ્તિ
કાર્તિક કૃષ્ણ અમાસ (આપણે ત્યાં દિવાળીનો દિવસ)ની વહેલી સવારે, બ્રહ્મમુહૂર્તમાં ઈ.સ. પૂર્વે 527માં ભગવાન મહાવીર સ્વામીએ પાવાપુરી ખાતે નિર્વાણ પ્રાપ્ત કર્યું. મોક્ષની પળ નજીક આવતાં તેઓ સંપૂર્ણપણે ધ્યાનસ્થ અવસ્થામાં હતા. તેમના શરીરનાં બધાં કર્મો – જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય બળીને ભસ્મ થઈ ગયા અને તેઓ પરમ સિદ્ધ બન્યા. તે ક્ષણે તેમનો આત્મા જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈને લોકાકાશના સર્વોચ્ચ શિખર સિદ્ધશિલામાં બિરાજમાન થયો, જ્યાં તેમને શાશ્વત સુખ પ્રાપ્ત થયું. આ સ્થિતિને જૈન ધર્મમાં મોક્ષ કે પરિનિર્વાણ કહેવામાં આવે છે.
દીપોત્સવની પરંપરા
જે રાત્રે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું તે અમાસની રાત હતી, જે ઘોર અંધકારવાળી હોય છે. તે સમયે હાજર રહેલા દેવો અને મનુષ્યોએ ભગવાન મહાવીરના જ્ઞાનના પ્રકાશને યાદ કરવા લાખો દીવાઓ પ્રગટવીને સંદેશ આપ્યો કે, ભલે મહાવીર સ્વામીનું શરીર ન રહ્યું, પરંતુ તેમનો ધર્મરૂપી પ્રકાશ હંમેશાં વિશ્વને માર્ગદર્શન આપતો રહેશે. આ જ કારણથી ત્યારથી લઈને આજ સુધી જૈન સમુદાય આ દિવસને નિર્વાણ કલ્યાણક તરીકે ઊજવે છે અને આ પવિત્ર દીપ પ્રગટાવવાની પરંપરાને લીધે જ આ દિવસે ભારતમાં દીપાવલિ(દિવાળી)નો ઉત્સવ ઊજવવાની પ્રથા પ્રચલિત થઈ હોવાનું માનવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ એ કર્મો પર વિજય મેળવવાની અને સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરવાની યાત્રાનું સમાપન હતું. પાવાપુરીનું જલમંદિર આજે પણ તે પવિત્ર સ્થળની યાદ અપાવે છે, જ્યાં ચરમ તીર્થંકરે પોતાના જીવનના પરમ લક્ષ્યને સિદ્ધ કર્યું. તેમનો મોક્ષ એ જૈન ધર્મના અનુયાયીઓ માટે આત્મકલ્યાણ માટેની પ્રેરણાનો અખૂટ સ્રોત છે.


