લાઠીની જમકુડી નદી વરસાદના પ્રથમ ચરણમાં જ છલકાઈ
૧૦ કિમીના જળસંગ્રહનો અદભૂત આકાશી નજારો
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લામા ચોમાસાના પ્રથમ ચરણના વરસાદમાં જ લાઠીના અલી ઉદેપુર ખાતે આવેલી જમકુડી નદી પાણીથી છલકાઈ ગઈ છે. તાજેતરમાં જ આ નદીના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં થયેલા જળ સંગ્રહના અદભૂત દ્રશ્યો ડ્રોન કેમેરાથી નદીનાં નજરાણુંના દ્રશ્યો સામે આવ્યા છે. આ આકાશી નજારો સોશિયલ મીડિયા અને લોકમુખે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. થોડા મહિનાઓ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ જળ સિંચાઈ અને જળ સંગ્રહના ભગીરથ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર અને લોકભાગીદારીના ઉત્કૃષ્ટ સમન્વયથી આ પ્રોજેક્ટ ખૂબ જ ટૂંકા સમયમાં સાકાર થયો છે. જળ એ જ જીવનના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવાનું શ્રેય પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાને ફાળે જાય છે. તેમના અથાક પ્રયાસો અને દીર્ઘદ્રષ્ટિને કારણે જમકુડી નદી પર આ અદભૂત જળ સંચયનું મોડેલ ઊભું કરી શકાયું છે. આ સ્તરે થયેલા જળ સંગ્રહને કારણે અલી ઉદેપુર, કેરાળા, મતીરાળા અને કૃષ્ણગઢ સહિતના આસપાસના ૫ ગામોને જળના સ્તર ઊંચા આવશે. જેના કારણે હવે સ્થાનિક ખેડૂતો ચોમાસા ઉપરાંત બારેમાસ ખેતીના પાક લઈ શકશે. નદીમાં ચારેતરફ ઘુઘવતા પાણીના આ નયનરમ્ય દ્રશ્યો જોઈને ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે અને સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. જળ સિંચાઈનું આ કાર્ય લાઠી પંથકના કૃષિ વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.


