ચૂંટણી પૂરી થતાંની સાથે જ વિવિધ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી તેજ બની
ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા
૨૦૦ મીટરનો ટીપી રોડ બનાવવાનો માર્ગ મોકળો બન્યો, દબાણ શાખાની બુલડોઝર કાર્યવાહીથી જમીન ખુલ્લી કરાવાઇ : ચુસ્ત બંદોબસ્ત સાથે કરાયેલી કાર્યવાહી : દબાણ કર્તાઓમાં ફફડાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવી છે. જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે ફરીવાર આક્રમક વલણ અપનાવી ભીમનગર ચોક નજીક આવેલા ટીપી રોડ પર ખડકાયેલા દબાણોનો સફાયો કર્યો હતો. આ કામગીરી દરમિયાન 200 મીટરનાં ટીપી રોડ પરના 33 જેટલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જેનાથી વર્ષોથી રોકાયેલો માર્ગ હવે મોકળો બન્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ભીમનગર નજીક 200 મીટરના ટાઉન પ્લાનિંગ (TP) રોડ પર લાંબા સમયથી કાચા-પાકા બાંધકામો અનેના દબાણો ખડકાયેલા હતા. આ દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો અને સ્થાનિકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. મનપા કમિશ્નરના કડક આદેશ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગની દેખરેખમાં આજે સવારથી બુલડોઝર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિજીલન્સ શાખા અને ફાયર વિભાગની ટીમોને પણ ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત રાખવામાં આવી હતી.
આ ડિમોલિશન કામગીરીમાં રહેણાંક અને વ્યાવસાયિક હેતુ માટે ખડકાયેલા 33 જેટલા ગેરકાયદે એકમોને તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રોડ પર અનેક દબાણો એવા હતા જ્યાં ખુલ્લેઆમ નોનવેજનું વેચાણ પણ કરવામાં આવતું હતું. જેના કારણે આસપાસના રહીશોમાં પણ નારાજગી જોવા મળતી હતી. તંત્ર દ્વારા નોનવેજના વેચાણ કરતા દબાણો સહિત તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ટીપીઓ આર. ડી.પરમારે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મનપા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત આજે 200 મીટર ટીપી રોડ પર ખડકાયેલા 33 બાંધકામો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ 200 મીટરના રોડને પહોળો કરવાની અને આધુનિક બનાવવાની યોજના છે. આ રોડ ખુલ્લો થવાથી માત્ર ભીમનગર જ નહીં, પરંતુ નાનામૌવા અને મોટામૌવા વિસ્તારમાં વસતા હજારો નાગરિકોને સીધો ફાયદો થશે. હાલમાં આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધુ રહે છે, જે આ નવા અને પહોળા રોડને કારણે હળવું થશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી મનપાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો પર સતત ફરી વળી રહ્યું છે. સરકારી જમીનો અને ટીપી રોડ પર થયેલા દબાણોને કારણે શહેરના વિકાસમાં અવરોધ આવતો હોવાથી તંત્રએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ભીમનગરની આ કામગીરી બાદ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સર્વે કરીને ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે તેવી સંકેતો મળી રહ્યા છે. આ ઓપરેશનને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


