- શ્રીલંકા વિરુદ્ધ ભારતની શાનદાર જીત
- ભારત સામે શ્રીલંકા 55 રનમાં ઓલઆઉટ
- પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ICC પર લગાવ્યો આરોપ
ભારતે શ્રીલંકા સામે ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું છે. ભારતના ફાસ્ટ બોલરોનો કહેર એવો હતો કે શ્રીલંકા માત્ર 55ના સ્કોર પર જ ઓલઆઉટ થયું છે. ભારતના ત્રણ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝે અદ્ભુત બોલિંગ કરી છે. ભારતની બોલિંગથી ચોંકી ઉઠેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ICC અને BCCI પર મોટા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે, ICC ભારતની બોલિંગ દરમિયાન બોલ બદલી રહી છે.
બેટિંગ પિચ પર આવી બોલિંગ કેવી રીતે- હસન
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર હસન રઝાએ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા આ મોટું નિવેદન આપ્યું છે. ટીવી એન્કરે હસીન રઝાને આશ્ચર્ય સાથે પૂછ્યું કે,ભારતીય બોલરો જે રીતે બોલિંગ કરી રહ્યા છે, શું તે શક્ય છે કે ભારતની બોલિંગ દરમિયાન બોલમાં ફેરફાર કરવામાં આવે છે. આ સવાલના જવાબમાં હસન રઝાએ કહ્યું કે તે બિલકુલ શક્ય છે. તે કેવી રીતે શક્ય છે કે જ્યાં વિશ્વના તમામ બેટ્સમેનો રન બનાવી રહ્યા હોય તેવા મેદાન પર ભારતીય બોલરો આટલું અદ્ભુત પ્રદર્શન કરી રહ્યા છે?
‘પાકિસ્તાન સામે પણ બોલ બદલી હશે- હસન
હસન રઝાએ વધુમાં કહ્યું કે જે કોઈ ટીમને બોલ આપી રહ્યું છે, પછી તે ICC, BCCI કે થર્ડ અમ્પાયર હોય તેની તપાસ થવી જોઈએ. મને ખાતરી છે કે ભારતની બોલિંગ દરમિયાન બોલ બદલવામાં આવી રહ્યો છે. તેણે વધુમાં કહ્યું કે ભારતીય બોલરો એવી રીતે બોલિંગ કરી રહ્યા છે કે જાણે તે કોઈ જાદુઈ બોલ હોય. મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝ ત્રણેય બોલરો અદભૂત સ્વિંગ આપી રહ્યા છે. આની તપાસ થવી જોઈએ. મને એમ પણ લાગે છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી ત્યારે પણ બોલ બદલવામાં આવી હતી.


