નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સમાં ભાગ લેવા દુબઈ પહોંચ્યા છે, જ્યાં 200 દેશો વચ્ચે આખરે ધૂમાડા કાઢતા બળતણનું શું કરવું તેના વિશે અગત્યના ક્લાઇમેટ કરાર થવાના છે
દુબઈમાં ક્લાઇમેટ ચેન્જના સંકટના સામના માટે પરિષદ મળી તેમાં 200 દેશો વચ્ચે કરાર થઈ શક્યો છે તે રાહતદાયક છે, કેમ કે કોલસો અને ગેસ જેવા ધૂમાડા કાઢતા બળતણની જગ્યાએ સ્વચ્છ બળતણ તરફ બહુ ઝડપથી વળવું પડશે. સામી બાજુ ભારત સહિતના દેશોની પોતાની કેટલીક સમસ્યાઓ છે. વિશાળ સંખ્યા ધરાવતા ભારતને વીજળીની અને તે પણ સસ્તી વીજળીની જરૂર છે ત્યારે રાતોરાત વૈકલ્પિક ઉર્જા તરફ વળી જવાનું પરવડે નહીં. વિકસિત દેશોની જવાબદારી વધારે છે, કેમ કે સૌથી વધારે પોલ્યૂશન તેની વસતિ પેદા કરે છે. માથાદીઠ સૌથી વધારે પ્રદૂષણ યુરોપ અને અમેરિકાના લોકો કરે છે, કેમ કે તેઓ દરેક નાની વાત માટે વીજળી વાપરે છે.
ભારતની જેમ સંયુક્ત આરબ અમિરાતે પણ કહ્યું કે ક્લાઇમેટ માટેનો આખરી કરાર થાય તેમાં ફોસિલ ફ્યુઅલ એટલે કે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને અન્ય પદાર્થોની શી ભૂમિકા હશે તે કેન્દ્રસ્થાને રહેવું જોઈએ. સ્વાભાવિક છે, કેમ કે ગલ્ફના દેશોની આવકનો એક માત્ર સ્રોત ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ છે. તે બંધ થવા લાગે અને માત્ર ક્લિન એનર્જી તરફ દેશો વળે ત્યારે આ દેશોની આવકો બંધ થવાની છે. ભારત જેમ તાત્કાલિક કોલસો બાળવાનું બંધ કરી શકે નહીં, તેમ આ આરબ દેશો પોતાની અબજોની કમાણી જતી કરવા માગતા નથી.
જોકે આવી દરેક દેશોની સમસ્યાઓ છતાં આ એક સંકટ છે અને તાપમાન વધતું અટકાવવા માટે જે પણ કરવું પડે તે કરવું જરૂરી છે તેની સહમતી બસ્સો જેટલા દેશો વચ્ચે થઈ છે. ખાસ કરીને આ માટે એક ફંડ તૈયાર કરવામાં આવે તેવી – ભારત સહિતના વિકાસશીલ દેશોની માગણીને પણ આખરે સ્વીકારવામાં આવી છે. વિકસિત દેશો ફંડમાં વધારે ફાળો આપે તે માટેની માગણી લાંબા સમયથી હતી અને તેમ થવું જરૂરી પણ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પરિષદમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યા છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ક્લાઇમેટ માટેનું ફાઇનાન્સિંગ અને તેના માટેની ટેક્નોલૉજી બધા દેશોને અને વિકાસશીલ દેશોને મળે તે જરૂરી છે. ફંડ અને ટેક્નોલૉજી ટ્રાન્સફરની બાબતમાં પશ્ચિમના વિકસિત દેશો કંજૂસાઈ કરે તેના ચાલે તેવી નરેન્દ્ર મોદીની વાતમાં અન્ય ઘણા દેશોની લાગણીનો પણ પડઘો પડ્યો છે.
વડા પ્રધાને દુબઇ પહોંચીને પોસ્ટ કર્યું હતું કે “દુબઈના ભારતીય મૂળના લોકોના ઉમળકાભર્યા આવકારથી આનંદ થયો. વધારે સારી વસુધા માટે વૈશ્વિક પરિષદ મળી રહે છે તેમાં શુભની આશા સાથે… ”
સંયુક્ત રાષ્ટ્રસંઘની વર્લ્ડ ક્લાઇમેટ એક્શન સમીટ આજથી શરૂ થશે, જે COP28 તરીકે ઓળખાતા સંગઠનનું સૌથી ઉચ્ચસ્તરિય માળખું છે. તેમાં રાષ્ટ્રોના વડાઓ ભાગ લઈને નીતિ નિર્ધારણ કરે છે. વડા પ્રધાન મોદી આ સિવાયના અન્ય ત્રણ કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના છે. પારીસ કરાર કરવામાં આવ્યો તે પછી તેનું કેટલું અમલીકરણ થયું તે વિશે હવે ચર્ચા કરવા માટે અને લેખાંજોખાં લેવા માટે COP28 પ્લેટફોર્મ અગત્યનું છે તે વાત ભાર મૂકીને નરેન્દ્ર મોદી ઝડપી પગલાં લેવા માટેનો આગ્રહ રાખી રહ્યા છે.
સંયુક્ત આરબ અમિરાત અને યુરોપિયન યુનિયને અનુક્રમ 10 અને $24.6 કરોડ ડોલર આપ્યા છે, પણ જરૂર છે 100 કરોડની ત્યારે આ દિશામાં ઘણું કરવાનું બાકી છે. ભારત જેવા દેશને તેની સૌથી વધુ ચિંતા છે, કેમ કે પ્રદૂષણ બીજા કરે છે અને ભોગવવું પડે છે ભારતની વિશાળ જનસંખ્યાને. આથી જ ભારતના અભિપ્રાયને આવી પરિષદમાં બહુ ભારપૂર્વક રજૂ કરવો જરૂરી બની રહ્યો છે.