મહાપુણ્ય પ્રદાન કરનારી, સર્વે પાપોનો નાશ કરનારી, મોક્ષદાયિની – એવી પવિત્રાં એકાદશીનું તન અને મનથી શ્રવણ કે પઠન કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તુલસીપત્ર દ્વારા શ્રીહરિનું પૂજન કરવાનો વિશેષ મહિમા છે. સુવર્ણદાન, માણેક કરતાં પણ શ્રીહરિ તુલસીપત્રને અતિ મૂલ્યવાન માને છે.
પુષ્ટિમાર્ગનો પ્રાગટ્ય દિવસ એટલે પવિત્રાં એકાદશી. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ભારતવર્ષની ત્રણ વખત પરિક્રમા કરી હતી. પરિક્રમા દરમિયાન તેઓ વ્રજમાં પણ પધાર્યા હતા. વ્રજની યાત્રા દરમિયાન શ્રીગિરિરાજની કંદરામાં પોઢેલા ગોવર્ધનનાથજી – શ્રીનાથજીબાવાને પાટે પધરાવીને વલ્લભાચાર્યજીએ સૌપ્રથમ સૂતરનું બનાવેલું પવિત્રું ધારણ કરાવીને મિસરી ભોગ આરોગાવ્યો હતો. આ દિવ્ય પ્રસંગથી શ્રાવણ સુદ અગિયારસને પવિત્રાં એકાદશીએ શ્રી ઠાકોરજીને પવિત્રાં ધરાવવાની પરંપરા જળવાઇ રહી છે. બીજો પ્રસંગ એવો છે કે શ્રીનાથજી બાવાએ મહાપ્રભુજીને શ્રાવણ સુદ દસમ એટલે પવિત્ર એકાદશીના આગળના દિવસની રાત્રિએ સ્વપ્નમાં આવી આજ્ઞા આપી કે, `વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ કરાવીને સેવા ભાવનાની રીત પદ્ધતિની સમજ આપવી.’ આજ્ઞા પ્રમાણે મહાપ્રભુજીએ કાર્ય શરૂ કરીને કર્તવ્યપાલન કર્યું. આથી આ દિવસને પવિત્રાં એકાદશીનો ઉત્પત્તિ (દિવસ) એકાદશી પણ કહે છે.
આ દિવસે ઠાકોરજીને બાળસ્વરૂપ માનીને એમના માટે વાઘા (પોશાક) પવિત્રાંના રૂપે અર્પણ કરવામાં આવે છે. લોકવાયકા અનુસાર વર્ષના 360 દિવસ હોઇ, સૂતરના 360 જેટલા તાર, રંગ, દોરાને ગૂંથીને પવિત્રાં બનાવીને આ દિવસે પવિત્રાં ધારણ કરાવવામાં આવે છે. 360 તારનું પવિત્રું એટલા માટે કે ઠાકોરજીને 360 દિવસના વાઘા ધારણ કરાવવામાં આવ્યા એમ મનાય.
બીજી લોકવાયકા અનુસાર જ્યારે દ્રૌપદીજીનું વસ્ત્રહરણ કરવામાં આવ્યું ત્યારે તેમની રક્ષા કોઈ જ ન કરી શક્યા ત્યારે દ્રૌપદીજીએ બે હાથ જોડીને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરતાં દ્રૌપદીજીની લાજ રાખી શ્રીકૃષ્ણે ચીર પૂર્યાં હતાં, તેના સંદર્ભમાં પણ ઠાકોરજીને પવિત્રાં ધારણ કરાવવાની પ્રથા ચાલુ થઇ હતી, કારણ કે આ તો પ્રભુ પ્રત્યેનો ભાવપ્રવાહ છે. માટે જ આની ઓળખ પણ અલગ છે. પ્રભુને વર્ષના 360 દિવસના ત્રણસો સાઠ પોશાક અર્પણ કરવાની મહાન ભાવના સાથે સંકળાયેલી છે. આ દિવસે પોતાના ઇષ્ટદેવને પણ ભાવિક ભક્તો પવિત્રાં પોશાકના રૂપમાં ધારણ કરાવવામાં આવે છે. પવિત્રાં સૂતરના તારના રંગીન કે સફેદ બનાવવામાં આવે છે. સૂતરના એટલા માટે બનાવવામાં આવે છે કે જેવી રીતે દાભ પવિત્ર ગણવામાં આવે છે એ રીતે સૂતર પણ પવિત્ર ગણાય છે.
વૈષ્ણવ હવેલીઓ તથા વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરોમાં અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધીના સમયગાળા દરમિયાન ફળ, ફૂલ, શાકભાજી, સૂકા મેવા, રાખડી વગેરે પ્રકારની સામગ્રીના કલાત્મક હિંડોળા બનાવીને ઠાકોરજીને હિંડોળે ઝુલાવવામાં આવે છે. આ દિવ્ય હિંડોળા ઉત્સવોમાં પણ ઠાકોરજીને પવિત્રાં ધારણ કરાવવામાં આવે છે. વળી, આ દિવસ પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખાય છે. જેમને સંતાન ન હોય તેમણે વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે યજ્ઞ કરાવનાર દંપતીના અંતરમનમાં ઉત્તમ સંતાન જન્મશે એવો પૂર્ણ વિશ્વાસ રાખવો જરૂરી છે. આ યજ્ઞનો પ્રસંગ રામાયણમાં છે. મહર્ષિ વશિષ્ઠના માર્ગદર્શન હેઠળ શૃંગી ઋષિના આચાર્યપદે શ્રી દશરથ રાજાએ પુત્રદા કામેષ્ઠિ યજ્ઞ કરાવ્યો હતો. ફળસ્વરૂપે દશરથ રાજાના ઘરે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જેવા ધર્મિષ્ઠ અને પરાક્રમી પુત્રરત્ન થયા હતા. આમ, પવિત્રાં એકાદશી અને પુત્રદા એકાદશીનો મહિમા અપરંપાર છે.