સગુણ સાકારને નિર્ગુણ નિરાકારમાં બદલી નાખતી પ્રક્રિયા એટલે વિસર્જન. જે જન્મે છે એનો અંત પણ નિશ્ચિત છે. પરમાત્માએ જે કંઇ નિર્માણ કર્યું છે તેની પાછળ એક અદ્ભુત સંકેત રહેલો છે. સર્જન બાદના વિસર્જનમાંથી જ નવસર્જન થાય છે. આમ, ભક્તિભાવથી ભાદરવા સુદ ચોથના દિવસે થતી ગણેશ મૂર્તિની સ્થાપનાની સાથે જ વિઘ્નહર્તાને વિદાય આપવાનો દિવસ અનંત ચતુર્દશી નક્કી થઇ જાય છે.
જીવનની આ વાસ્તવિકતા છે અને એટલે જ વિસર્જન વખતે સૌ કોઇ ભક્તોને મંગળમૂર્તિ ગણેશનું સાંનિધ્ય છોડવું ગમતું નથી. સાંસારિક દુઃખોના નાશ માટે જેમનું સ્થાપન કરી દસ દિવસ આપણે જેમની આરાધના કરી તેવા દૂંદાળા દેવ શ્રીગણેશનું વિસર્જન કરી તેમને વિદાય આપવા આપણું મન રાજી થતું નથી. એટલે જ વિસર્જન વખતે સૌ ભાવિક ભક્તોની આંખો ભીંજાઇ જાય છે અને બે હાથ જોડી ગદ્ગદ ભાવે શ્રી ગણેશજીને વિનંતી કરવામાં આવે છે કે, `ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તૂ જલદી આ…’
ગણેશ મૂર્તિનું જળમાં વિસર્જન કેમ કરાય છે? આના ઉત્તરમાં કહી શકાય કે સર્જનની પ્રક્રિયામાં પાંચ તત્ત્વોમાં જળ મુખ્ય ભાગ ભજવે છે. પૌરાણિક કથાઓ પ્રમાણે સમુદ્રના જળમાંથી કૂર્માવતારી ભગવાન વિષ્ણુએ પૃથ્વીને પીઠ ઉપર ઊંચકીને બહાર કાઢી છે અને એ જ પૃથ્વી પુનઃ પ્રલયકાળે જળમાં નિમગ્ન થઇ જાય છે. જેમાંથી સર્જન થયું હોય એમાં જ વિસર્જન થાય છે. શિવના પુત્ર ગણેશનો જન્મ પણ પાર્વતીના સ્નાન જળમાંથી થયો છે, તેથી ગણપતિનું સર્જન પણ જળમાંથી થયેલું ગણાય અને તેથી જ તેમનું વિસર્જન પણ જળમાં કરાય છે. ગણપતિ વિસર્જન પાછળ અનેક તાત્ત્વિક રહસ્યો છુપાયેલાં છે. ઘરમાંથી કે શેરીના પંડાલમાંથી ગણપતિ મૂર્તિનું ઉત્થાપન થાય છે અને વિસર્જન માટે ભાવપૂર્વક વિદાય અપાય છે. એવી માન્યતા છે કે વિદાય લેતી વખતે વિઘ્નહર્તા ભગવાન ગણપતિ ઘરની, પરિવારની કે શેરી- મહોલ્લાની તમામ મુસીબતો અને સમસ્યાઓ પોતાની સાથે લઇ વિદાય લે છે અને જળમાં વિસર્જિત કરી દે છે. પરિણામે ઘર વિઘ્નરહિત બને છે અને સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિનું આગમન થાય છે.
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પાટનગર પૂણેમાં ગણેશોત્સવની જેમ જ વિસર્જનમાં પણ શિસ્ત જોવા મળે છે. સૌ પ્રથમ પૂણેના માના ચા ગણપતિનું વિસર્જન થયા બાદ અન્ય ગણેશ મૂર્તિઓનું વિસર્જન થાય છે. આવા કુલ પાંચ માનવંતા ગણેશજી છે. તેમાં સૌ પ્રથમ છે કસબા ગણપતિ. 1893માં લોકમાન્ય બાળગંગાધર ટિળકે ગણેશોત્સવને સાર્વજનિક સ્વરૂપ આપ્યું ત્યારથી જ અહીં ગણેશજીની સ્થાપના થાય છે. શહેરના હાર્દસમા પેઠ વિસ્તારમાં સ્થાપિત કરાતા તાંબડી જોગેશ્વરી ગણપતિ માના ચા બીજા ગણપતિ છે. ચાંદીની પાલખીમાં આ એકદંત સવારી વિસર્જન માટે નીકળે છે. લોકમાન્ય ટિળકે ગણેશોત્સવને સાર્વજનિક સ્વરૂપ આપ્યું એ પૂર્વ એટલે કે 1883માં ગુરુજી તાલીમ મંડળે ગણેશોત્સવની ઉજવણી કરવાની શરૂઆત કરેલી. આ યાદીમાં ત્રીજા સ્થાને આવતા આ ગૌરીપુત્રની ઉંદર પર બેઠેલી મૂર્તિ ભારે સાજસજ્જા સાથે અનંત ચૌદશે પૂણેના રસ્તા પર નીકળે છે. ચોથા ક્રમે છે તુલસી બાગની ગણેશ મૂર્તિ. આ યાદીમાં છેલ્લું નામ છે કેસરીવાડાનું. લોકમાન્ય ટિળકે જાતે આ ગણેશમંડળની સ્થાપના કરેલી અને એમના સમાચારપત્ર `કેસરી’ પરથી આ વિસ્તારને કેસરીવાડા એવું નામ મળ્યું છે. અહીં વર્ષોથી વિઘ્નહર્તાની પદ્માસનમાં બેઠેલી સાદગીપૂર્ણ મૂર્તિની સ્થાપના થાય છે. ટિળકે જે ઉદ્દેશ્ય સાથે મંગલ ઉત્સવને સાર્વજનિક રૂપ આપેલું. મૂળા અને મૂથા નદીના કાંઠે વસેલા પૂણેમાં અનંત ચૌદશની સવારથી વિસર્જનની શોભાયાત્રા શરૂ થાય છે. તે પૂનમની બપોરે દોઢ વાગ્યા સુધી ચાલે છે. માનવંતા પાંચ ગણેશમંડળો સિવાય દગડુશેઠ હલવાઇ અને ફૂલેમંડઇના ગણપતિનું પણ પૂણેમાં આગવું અને અનેરું મહત્ત્વ છે. પૂણેમાં પ્રથમ વિસર્જનનો મહિમા છે તો મુંબઇમાં છેલ્લા વિસર્જનનો. મુંબઇમાં સૌથી છેલ્લું વિસર્જન લાલ બાગ ચા રાજાનું થાય છે. લાલ બાગથી શરૂ થતી આ શોભાયાત્રા અનેક વિસ્તારોમાંથી પસાર થાય છે. પચીસ કિલોમીટર લાંબી શોભાયાત્રા જ્યાં થોભે છે, ત્યાં ભક્તો આરતી કરીને બાપ્પાને વધાવે છે. અમુક વિસ્તારમાં તો ગોવિંદાની મટકીની જેમ ફૂલોના વિશાળકાય હાર બાંધેલા હોય છે. ક્યાંક ચલણી નોટોના હાર લટકાવેલા હોય છે. રાજાની ઝાકમઝોળ સવારી જ્યારે આવી પહોંચે છે ત્યારે તેમને આ હાર પહેરાવી દેવાય છે. દાદર, સાયન અને ગિરગાંવ જેવા વિસ્તારોમાંથી આ વિશાળકાય દૂંદાળા દેવની મૂર્તિ ઉપર પુષ્પવૃષ્ટિ અને અબીલ, ગુલાલ, કંકુનો વરસાદ વરસાવાય છે. હૈયેહૈયું દળાતું હોય, અમીર-ગરીબ સૌ કોઇ ખભેખભા મિલાવીને દાદાની એક આછેરી ઝલક નિહાળવા માટે સવારથી જ એ રૂટ પર અડિંગો જમાવી દે છે જ્યાંથી રાજાની સવારી પસાર થવાની હોય.
લાડકા દેવને વિદાય આપવા સૌ કોઇ રસ્તા પર ઊતરી આવે છે. ગણેશ વિસર્જનનો આવો માહોલ ભાગ્યે જ ક્યાંક જોવા મળતો હશે. મુંબઇમાં એવાય વિઘ્નેશ્વર છે જેઓ અનંત ચતુર્દશી પછી વિસર્જિત થાય છે. પ્રભાદેવી વિસ્તારમાં અમુક મંડળો પૂર્ણિમાના દિવસે વિસર્જન માટે નીકળે છે, તો અંધેરીના આઝાદનગર વિસ્તારના `અંધેરી ચા રાજા’નું વિસર્જન પછીની સંકટ ચતુર્થીના દિવસે થાય છે. તો અમુક જગ્યાએ એકવીસમા દિવસે વિસર્જન થાય છે. આ દરેક વિસર્જન વખતે આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે.
ગુજરાતમાં પણ વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ અને અમદાવાદ જેવાં શહેરોમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે. સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ગણેશજીની વિસર્જન યાત્રામાં જોડાઇને ગજાનનને ભાવભરી વિદાય આપતાં છેક તાપી નદી સુધી જાય છે. જ્યાં પૂજાવિધિ, આરતી કરીને તાપીમાં ગણપતિને પધરાવીને ભાવવિભોર બની કહે છે, `ગણપતિ બાપ્પા મોરિયા પૂઢચા વરસી લૌકર આ.’ આવી જ રીતે વડોદરા જે ગાયકવાડી રાજ છે, ત્યાં અનંત ચતુર્દશીના દિવસે નાના-મોટા સૌ વરઘોડા સ્વરૂપે ગણેશજીની મૂર્તિનું સુરસાગર તળાવ કે મહીસાગરમાં વિસર્જન કરે છે.
આવી જ રીતે અમદાવાદ શહેરમાં અનંત ચતુર્દશીના દિવસે લોકો પોતાના લાડકા દેવ ગણપતિને સાબરમતી નદીએ ખૂબ જ હર્ષોલ્લાસ અને નાચગાન સાથે લઇ જતા હોય છે. વાજતેગાજતે દુંદાળા દેવ ગણેશજીની જળમાં ગરક થતી મોહક મૂર્તિ નિહાળી સો ભાવુક બની જાય છે. ધીરે ધીરે લંબોદર જળતત્ત્વમાં વિસર્જિત થતાં અંતે જ્યારે પ્રભુનો ચહેરો જળમાં ડૂબતાં ડૂબતાં માત્ર બે નેત્ર અને લલાટ બાદ અંતિમ તબક્કે મુગટ પણ જળમાં ગરકાવ થાય છે ત્યારે વાતાવરણ ભારે બને છે. અશ્રુભીની આંખે સૌ કોઇ દુંદાળા દેવને વિદાય આપે છે. આગામી વર્ષે પુનઃ તેમની હાજરીથી સૌના અસ્તિત્વને સભર કરવાના જ. હવે ગણેશોત્સવનો મહાપ્રસાદ લઇ આગામી વર્ષે ફરી દૂંદાળા દેવના પ્રાગટ્ય અને પ્રાદુર્ભાવની ભાવના સાથે વિદાય લે છે.