ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન શરૂ થાય તે પહેલા BCCI એ કેપ્ટનોને મોટી રાહત આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સિઝનમાં સ્લો ઓવર રેટને કારણે કેપ્ટનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી IPLમાં ત્રણ મેચમાં સ્લો ઓવર રેટના કિસ્સામાં કેપ્ટનને એક મેચ માટે પ્રતિબંધિત કરવાનો નિયમ હતો.
આ નિયમને કારણે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આઈપીએલ 2025 ની પહેલી મેચ રમી શકશે નહીં. ગયા સિઝનમાં, હાર્દિકને સ્લો ઓવર રેટના કારણે એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
કેપ્ટનો પર નહીં હોય કોઈ પ્રતિબંધ
IPL 2025 માં કેપ્ટનો હવે બોલરોની ભૂલોના ભોગ બનવાથી અમુક હદ સુધી બચી જશે. ગુરુવારે IPL કેપ્ટનો સાથે થયેલી બેઠકમાં BCCIએ એક મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધીના નિયમો મુજબ જો કોઈ ટીમ એક સિઝનમાં ત્રણ મેચમાં સ્લો ઓવર રેટ માટે દોષિત સાબિત થાય છે, તો ટીમના કેપ્ટનને એક મેચનો પ્રતિબંધ ભોગવવો પડતો હતો. જો પહેલી મેચમાં ઓવર-રેટ ધીમો રહેતો, તો મેચ ફીના 20 ટકા કાપવામાં આવતા, અને જો બીજી મેચમાં પણ આ જ ભૂલનું કમબેક થાય, તો કેપ્ટનને તેની મેચ ફીના 50 ટકા ગુમાવવા પડતા.
જો આ ભૂલ ત્રીજી વખત થાય, તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરંતુ IPL 2025માં હવે આવું રહેશે નહીં. મીડિયા રિપોર્ટ મુજબ સ્લો ઓવર રેટના કિસ્સામાં, કેપ્ટનને ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવશે અને ફક્ત ખૂબ જ આત્યંતિક કિસ્સામાં કેપ્ટન પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
બોલ પર લાળ લગાવવા પરનો હટાવાયો પ્રતિબંધ
IPL 2025 માં, બોલરો બોલ પર લાળનો ઉપયોગ પણ કરી શકશે. BCCI એ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન માટે 2020 માં લાદવામાં આવેલ પ્રતિબંધ સંપૂર્ણપણે હટાવી દીધો છે. આ સાથે, હવે એક ઈનિંગમાં બે નવા બોલનો ઉપયોગ કરવામાં આવશે. પહેલી 10 ઓવર એક બોલથી રમવામાં આવશે, જ્યારે આગામી 10 ઓવર માટે એક નવો બોલ લેવામાં આવશે. આ સિઝનમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ પણ જાળવી રાખવામાં આવ્યો છે. એવું માનવામાં આવતું હતું કે BCCI ઈમ્પેક્ટ પ્લેયર નિયમ નાબૂદ કરવાનું વિચારી શકે છે. પરંતુ બેઠકમાં આ નિયમ હજુ પણ યથાવત રાખવામાં આવ્યો છે.


