આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ કે શાશ્વત અવસ્થા જેવું કંઈ છે કે નહીં. આપણે આપણને જે ગમે તેને શોધવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ વાસ્તવિક હકીકત શી છે.
એ વાતનું સત્ય શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી અંદર અને આપણી બહારનું જે કંઈ છે તે બધું જ આપણા સંબંધો, આપણા વિચારો, આપણી લાગણીઓ અશાશ્વત છે. આ સતત બદલાતી રહેતી પરિસ્થિતિના પ્રવાહમાં, તેનાથી સભાન હોવાને લીધે, મન શાશ્વતતા-અમરત્વ ઝંખે છે, શાંતિની, પ્રેમની, સારપની અને સલામતીની એવી કાયમી અવસ્થા ઝંખે છે કે જેનો સમય કે બીજી કોઈ ઘટના નાશ ન કરી શકે; તેથી તે આત્માનું-આત્મનનું સર્જન કરે છે અને શાશ્વત સ્વર્ગની કલ્પના કરે છે, પરંતુ આ શાશ્વતતા નશ્વરતામાંથી જન્મી છે, તેથી તેમાં તેની અંદર જ નશ્વરતાનાં બીજ છે. હકીકત એક જ છે : અશાશ્વતતા.
અજ્ઞાત માટે લલચાવું
તમે ઈચ્છો છો કે વાસ્તવિકતા શી છે એ વિશે હું તમને કહું. શું અવર્ણનીયને શબ્દોમાં રજૂ કરી શકાય? શું તમે અપરિમેય-અમાપને માપી શકો? શું તમે મુઠ્ઠીમાં પવનને પકડી શકો? જો તમે પકડી શકો તો શું તે પવન છે? જો તમે અમાપને માપી શકો તો શું તે વાસ્તવમાં અમાપ કહેવાય? જો તમે તેને સૂત્રબદ્ધ કરો તો શું તે યોગ્ય કહેવાય? ચોક્કસપણે નહીં. થોડીવાર માટે માની લઈએ કે તમે જે અવર્ણનીય છે તેનું વર્ણન કરો છો તો તેમાં તે વાત ખરી નથી રહેતી. જે ક્ષણે તમે અજ્ઞાતનો જ્ઞાતમાં અનુવાદ કરો ત્યારે તે અજ્ઞાત નથી રહેતું, છતાં આપણે તેની જ પાછળ લલચાઈએ છીએ. આપણે બધો જ સમય એ `જાણવા’ માંગીએ છીએ, કારણ કે ત્યારબાદ આપણે કાયમી થઈ શકશું, ત્યારે આપણે સમર્થ બનશું એમ આપણે વિચારીએ છીએ. આપણે સુખ નથી એટલા માટે આપણે એ ચરમ સુખ, એ શાશ્વતતા મેળવવા માંગીએ છીએ, કારણ કે આપણે દયનીય હાલતમાં સંઘર્ષ કરીએ છીએ, કારણ કે આપણે થાકીને લોથપોથ થઈ ગયા છીએ, આપણે ઊતરતી કક્ષાના થઈ ગયા છીએ અને સંઘર્ષરત છીએ તે જાણીએ છીએ તે છતાં આપણે તે હકીકત સમજવાને બદલે તેનાથી ભાગીને અજ્ઞાત તરફ દોડીએ છીએ, જે ફરી જ્ઞાત બની જાય છે. આમ, આપણે ક્યારેય વાસ્તવિકને સમજી કે પામી શકતા નથી.


