માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ
કાંઠા પાસે બોટ લંગારવી મુશ્કેલી, દરિયો આગળ વધતા આઠ હજારની વસ્તી માટે કપરી સ્થિતિ, આજીવિકા અને જનજીવન પર ગંભીર અસર : કાગળો પર ચાલતા કરોડોના પ્રોજેકટની ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયાના ગ્રામજનોના આક્ષેપ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં દરિયાકાંઠે આ્વેલા શેરિયાજ બારા ગામના રહેવાસીઓ અને માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે. તોફાની દરિયો ગામના 40 થી 50 ફૂટના કાંઠાને ગળચી જતા માછીમારો માટે બોટ ક્યાં રાખવી તે પ્રશ્ન થયો છે. ગામના સરપંચ અને માછીમારોનું માનવું છે કે, અમારા ગામ અને બંદર માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બન્યા છે પણ તે કાગળ પર જ અટકેલા પડ્યા છે. સરકાર બંદરો પાછળ કરોડો રૂપિયા ખર્ચે પણ અમારા જેવા નાના માછીમારો સામે જોવા વાળું કોઈ નથી.
આ ગંભીર પરિસ્થિતિ અંગે શેરિયાજ બારાના સરપંચ અબ્દુલ્લાભાઈ સમા એ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશભરમાં વિકાસના ઘણા બધા કામો થયા છે અને મોટા બંદરો માટે સરકારે 500 કરોડ જેટલો જંગી ખર્ચ કર્યો છે જેનો અમને આનંદ છે. પરંતુ અમારા જેવા નાના માછીમારોની સ્થિતિ તરફ આજદિન સુધી કોઈ વહીવટી અધિકારી કે ફિશરીઝ વિભાગના અધિકારીઓએ પૂરતું ધ્યાન આપ્યું નથી કે અમારી કોઈ પૂછપરછ પણ કરી નથી. અમારા વિસ્તારના બંદરના વિકાસ માટે અગાઉ 4 કરોડ 65 લાખ રૂપિયા મંજૂર થયા હતા અને તેનું ટેન્ડર પણ બહાર પડી ગયું હતું, પરંતુ વહીવટી કારણોસર તે રદ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે ઘણી મહેનત કરી અને ગાંધીનગર સુધીના ધક્કા ખાધા, જેના પરિણામે હોડીઓના લંગરવા અને નાની જેટી તથા બંદર બાંધવા માટે 8 કરોડ 36 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. આ કામનો વર્ક ઓર્ડર વર્ષ 2021માં જ આપી દેવામાં આવ્યો હોવા છતાં, આજ દિન સુધી કયા કારણોસર આ બંદરનું કામ શરૂ કરવામાં આવ્યું નથી તે સરકારે અમને જણાવવું જોઈએ. અમારા જેવા નાના માછીમારો માટે આ નાનું બંદર વહેલી તકે બને તે અત્યંત જરૂરી છે.
સરપંચે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, અમે પેઢીઓથી એટલે કે ભારત દેશ આઝાદ થયો તે પહેલાંના છેલ્લા 200 વર્ષથી અહીં રહીએ છીએ અને દરિયો ખેડીને જ અમારી રોજીરોટી કમાઈએ છીએ. અમે અમારી નાની હોડીઓ દ્વારા કિનારાથી માત્ર 15 થી 20 કિલોમીટરના અંતરે જ માછીમારી કરીએ છીએ અને હાલમાં આ કિનારા પર અંદાજે 700 થી 800 જેટલી હોડીઓ છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે દરિયાના પાણીના કારણે અહીં ઓછામાં ઓછું 50 ફૂટ જેટલું કિનારાનું ધોવાણ થઈ ગયું છે, જેના લીધે હવે હોડીઓ સુરક્ષિત રીતે પાર્ક કરવા માટે કિનારે બિલકુલ જગ્યા બચી નથી. જો અહીં ખાડી ખોલીને નાનું બંદર બનાવવામાં આવે તો અમારી હોડીઓ પણ સુરક્ષિત રહેશે અને હજારો લોકોની આજીવિકા પણ જળવાઈ રહેશે.
શેરિયાજ બારામાં હાલમાં અંદાજે 7,000 થી 8,000 જેટલી વસ્તી વસે છે અને આખા ગામની આજીવિકાનો મુખ્ય આધાર માત્રને માત્ર માછીમારી પર જ નિર્ભર છે. બાળકનો જન્મ થાય ત્યારથી લઈને વૃદ્ધના મરણ સુધીની આખી જિંદગી આ વ્યવસાય સાથે જોડાયેલી છે. માછીમારીના કામનો કોઈ ચોક્કસ સમય નથી હોતો, અમારે દિવસ-રાત જોયા વગર દરિયામાં જવું પડે છે. જો અહીં તાત્કાલિક ધોરણે સુરક્ષિત બંદર બનાવવામાં નહીં આવે અને દરિયાઈ ધોવાણ આ જ રીતે ચાલુ રહેશે, તો તોફાનના સમયે માછીમારોની હોડીઓ તણાઈ જવાની સાથે તેમના ઘરો અને મકાનો પણ નાશ પામશે અને લોકો ઘરવિહોણા થઈ જશે.
નવી જેટી બનાવવા માટે દરખાસ્ત કરી છે : મત્સ્યોદ્યોગ વિભાગ
આ સમગ્ર મામલે સરકારી પક્ષ રજૂ કરતા માંગરોળ મત્સ્યોદ્યોગ અધીક્ષક મયુરી ઠાકરે જણાવ્યું હતું કે, શેરિયાજ બારા ખાતે હાલમાં અંદાજે 600 જેટલી હોડીઓ દ્વારા માછીમારીની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને સ્થાનિક માછીમારો દ્વારા આ વિસ્તારમાં એક નવી જેટી બનાવવામાં આવે તેવી લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. માછીમારોની આ જરૂરિયાતને ધ્યાને રાખીને, મત્સ્યોદ્યોગ વિભાગની વડી કચેરી, ગાંધીનગર દ્વારા અંદાજે 29 કરોડના ખર્ચે નવી જેટીનું નિર્માણ કરવા માટેની મંજૂરી મેળવવા સરકારમાં એક નવી દરખાસ્ત મોકલવામાં આવી છે. જેટી નિર્માણના આ પ્રોજેક્ટ સંદર્ભે જી.સી.ઝેડ.એમ.એ.ની સમિતિ દ્વારા બારા બંદર ખાતે એક નવું લોકેશન એટલે કે સ્થળ પસંદ કરવા માટેની ભલામણ કરવામાં આવેલી છે. હાલમાં તંત્ર દ્વારા આ નવા લોકેશનની પસંદગી અંગેની પ્રક્રિયા ચાલી રહી છે અને જેવું આ નવું લોકેશન ફાઈનલ થઈ જશે, એટલે તુરંત જ ત્યાં જેટીના આગળના કામ માટે જરૂરી મંજૂરી મેળવીને આગળની વહીવટી અને બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવશે.


