આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
વાલ્મીકી રામાયણ અદ્દભુત છે, શિવનું રામચરિત માનસ અવધૂત છે, તુલસીદાસજીનું રામચરિત માનસ અનુભૂત છે
મૂળ સ્વરૂપ, મૂર્તિ, ચિત્રને બનાવતા સમય લાગે છે, એની પ્રતિકૃતિ (કોપી)ને બનાવતા વાર નથી લાગતી
વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી પોતે પાત્ર પણ છે અને લેખક પણ છે
મહારાષ્ટ્રના કિલ્લારી (લાતૂર)ની ભૂમિ પર પરમ પ્રવાહિત થઈ રહેલી રામકથા ‘માનસ વાલ્મીકી આશ્રમ’ ગઈકાલે ત્રીજા દિવસના પડાવ પર પહોંચી હતી કથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે, એક વિદૂષી બહેને (નામ નથી લખ્યું) જિજ્ઞાસા પ્રગટ કરી છે કે, બાપુ શિવ, વાલ્મીકી અને તુલસીના આ ત્રણેય રામાયણ-રામચરિત માનસમાં સામ્યતા અને વિવિધતા શું છે? સારો પ્રશ્ન છે. જવાબ: વાલ્મીકી રામાયણ અદભુત છે. શિવજીનું રામચરિત માનસ અવધૂત છે અને તુલસીદાસજીનું રામચરિત માનસ એ અનુભૂત છે. વાલ્મીકી અદભુત ચેતનાનું નામ છે, વાલ્મીકીચ આદ્વિતીય છે વાલ્મીકીએ રામાયણ રામચરિત્રની પહેલા લખી છે. વાલ્મીકીના રામ મનુષ્ય રૂપમાં પ્રતિષ્ઠીત થાય છે. નારદજી પણ વાલ્મીકીજીને પૂછે છે કે તમે જે ચરિત્રની વાત કરો છો તેનું નામ શું છે? નારદને પણ નામમાં રસ પડ્યો છે! વાલ્મીકી પાત્ર પણ છે અને કવિ-લેખક પણ છે. જેમ ભાગવદ્-મહાભારતમાં જ્યાં જ્યાં સંઘર્ષ સમસ્યા આવી છે ત્યારે વેદવ્યાસજી પોતે પ્રવેશ કરે છે તેમ વાલ્મીકી પોતે રામાયણનું એક પાત્ર છે. મારા દાદાજી પણ મને રામાયણનો સ્વાઘ્યાય-અભ્યાસ કરાવતા હતા ત્યારે દાદાજી પણ ઘણી વખત વાલ્મીકીજીના સંદર્ભો આપતા હતા. વાલ્મીકી રામાયણ અદભુત છે.
વાલ્મીકીજી આદી કવિ છે, શંકર અનાદી કવિ છે. શિવજીના માનસની હૃદય ભાષા છે, એ હૃદય ભાવ તુલસીજીએ ભાષાબદ્ધ કર્યો છે. એણે શંકરના હૃદયમાં જે ભાવ હતો તેને અયોઘ્યામાં અનાવૃત-પ્રકાશિત કર્યો. પાંચસો વર્ષ બાદ જેમ અયોઘ્યામાં રામલાલાની જે મૂર્તિ છે એ મૂળ સ્વરૂપની મૂર્તિ બનતા ઘણો સમય લાગ્યો હશે પણ જેવી એ મૂર્તિ પ્રતિષ્ઠીત થઈ પછી તરત જ લાખોની સંખ્યામાં એ મૂર્તિની પ્રતિકૃતિ (કોપી) ઘર-ઘર પહોંચી ગઈ, મુળ મૂર્તિ બનતા જ વાર લાગે છે એની કોપી કરતા વાર નથી લાગતી! નવા-નવા કથાકારો શ્રીમદ ભાગવદને શ્રીમદ કહે છે પણ માનસને શ્રીમદ નથી ગણતા. ખેર….
આ વિશ્વનું દૂર્ભાગ્ય એ છે કે સત્ ની આગળ સત્તા આવી જાય છે ત્યારે સત્ પાછળ રહી જાય છે. બાપ, મારા ઘણા અનુભવો છે. રાજકોટની એક સાહિત્યીક સંસ્થા (નામ નથી લેતો) એ મને ઉદઘાટન માટે બોલાવ્યો, તલગાજરડા એ લોકો આવેલા, મેં હા પાડી. હવે તે દિવસે લોકસભાના અઘ્યક્ષને પણ બોલાવેલા, સમય નક્કી કરેલો એ સમયે હું તો બધા જાણે છે કે કાર્યક્રમની પંદર મિનિટ પહેલા જ પહોંચી જાઉં તો મારા પહેલા લોકસભાના અઘ્યક્ષ પાસે એ સંસ્થાએ ઉદઘાટન કરાવી લીધું! ત્યારે મેં કહેલું કે ઉદઘાટન તો થઈ ગ્યું છે, હવે ઔપચારિકતા બાકી રહી છે! સંસ્થાના મુળમાં ખાતર મેં નાંખેલુ. તલગાજરડાએ પચ્ચીસ લાખ રૂપિયા આપેલા! આ જગત છે, દુનિયા છે. બીજો પણ રાજકોટનો જ એક પ્રસંગ બાપુએ કહેલો કે રાજકોટની એક શિક્ષણ સંસ્થામાં ઉદઘાટન માટે જવાનું બનેલું તો ત્યારે પણ કર્ણાટકના રાજ્યપાલે રીબીન કાપી લીધી! અમે જતા હતા તો આ નિલેશે (સંગીતની દુનિયા-મહુવા) મને બતાવ્યું કે બાપુ, ત્યાં ઉદઘાટન તો થઈ ગયું! આવું છે મજો… આ તમારા રાજકોટનગરની જ વાત છે. ખેર….
વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીના મનમાં બે પ્રશ્નો થયા છે. એક: રામજીએ સીતાનો ત્યાગ કેમ કર્યો? અને બે સાંપ્રત સમયમાં એટલે કે વર્તમાનમાં રામ જેવો એક ક્યો પૂરૂષ છે જે પ્રજાવાન-પ્રજાનો રક્ષક હોય, દયાવાન હોય, મર્યાદા પૂરૂષોત્તમ હોય, પ્રજાપાલક હોય, ધૈર્યવાન હોય વગેરે…. વાલ્મીકી કહે છે કે રામાયણમાં સીતાચરિત્ર જ પ્રધાન છે. રામ નથી તુલસીજીના માનસમાં આદિ, મઘ્ય અને અંતમાં માતૃ શક્તિનો જ મહિમાન છે સીતા ચરિત્ર જ મહતમ છે.
એક સ્ટીમર-જહાજ જતું હતું તો રસ્તામાં આગળ જતા જહાજની અંદર પાણી ભરાવા લાગ્યું. મુસાફરો ગભરાવા લાગ્યા, પાણી ભરાણું, બૂમા બૂમ કરવા લાગ્યા, વાત જહાજના કપ્તાન પાસે પહોંચી ત્યારે કપ્તાનનો નાનો દીકરો-બાળક એના કપ્તાન પપ્પાને પૂછે છે કે પપ્પા આ દરિયામાં ચારે તરફ પાણી તો છે જ તોય કેમ બધા લોકો પાણી, પાણીની બૂમો પાડે છે? દરિયામાંથી પાણી લઈ લેવાયને અથવા પંપથી સીંચી લેવાય ને? ત્યારે કપ્તાન કહે છે, બેટા એ પાણી પીવા જેવું નથી! એમ ચરિત્રો તો ઘણા છે, પણ જીવન જીવવા માટે આપણે જેના નામ લઈ શકીએ એવા ચરિત્રો ક્યાં?
અન્ય એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ જગતનું કલ્યાણ કરનારા-શુભ વિચારો કરનારા અંદરથી એકલા કેમ થઈ જાય છે? જવાબ: ભીતરથી એકલા થઈ જવું એ ફળ છે. લોકનું કલ્યાણ કરનારો, જગતનું શુભ વિચારનારો અંદરથી એકલો જ હોય છે અને એ એનું ફળ છે. મારા દાદાજી કહેતા એ ફળ, એ વૃક્ષ, એની જમીન કઈ? તો કહે પૃથ્વી એની જમીન છે અને વૃક્ષ આંબાનું વૃક્ષ છે. આમવૃક્ષ. ખાસનું નહીં, હું પણ આમ પ્રજાનો છું, તમારા સૌનો છું. ખાસનો નહીં! તો જમીન પૃથ્વી છે, પૃથ્વી-ધરતીમાં જ બધા વૃક્ષો ઉગે છે. તમને બધાને નમ્ર વિનંતી કરું કે કથા સાંભળીને, પરિવારમાં જેટલા સભ્યો હોય એટલા સભ્યો એક-એક વૃક્ષ વાવજો. પાંચ સભ્યો હોય તો પાંચ વૃક્ષ વાવજો. રાજકોટની સદભાવના સંસ્થા આખા ભારતમાં વૃક્ષો વાવી રહી છે. અમારા તલગાજરડામાં પણ પચ્ચીસ હજાર વૃક્ષો થયા છે. તો પૃથ્વી જમીન અને વૃક્ષ આમવૃક્ષ-આંબો અને રસ ક્યો? વિરતી રસ. વિરકતી એ રસ છે.
કથા રત્નો
૧) મારા ભાઈઓ-બહેનો, જ્યાં જળ, પર્વત, વનશ્રી હોય એનો સંગ કરજો. રામ જ્યાં જ્યાં ગયા છે ત્યાં આ ત્રણ વસ્તુ રહી છે
૨) સુંદરકાંડ એ રામાયણનું હૃદય છે
3) જે ગામમાં સાધુની નીંદા થતી હોય, રામનામની નીંદા થતી હોય અને સનાતન ધર્મની નીંદા થતી હોય એ ગામમાં રહેવું ન જોઈએ
૪) રામાયણમાં સીતાચરિત્ર જ મહદ્ છે, રામ નથી: વાલ્મીકીજી
૫) મિલેંગે હમ યે વાદા હૈ રોજ રાત ચાંદ કે જરીયે,
મૈં ભેજુંગી પૈગામ તુમ્હે ઈસ બહેતી હુઈ હવા કે જરીયે.


