ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
દુનિયાને આજે અણુબોમ્બ નહીં અણુવ્રતની જરૂર છે
સાધુ આંસુઓ પી જાય છે, એને કોઈ રૂમાલની જરૂર નથી!
જીવન જ સાધના છે, સાધનાને જીવનથી જૂદી ન પાડો!
આદિનાથ અને અનાદિશંકરની ભૂમિ તથા ભિન્ન-ભિન્ન ધારાઓની પ્રગટ-અપ્રગટ ચેતનાઓના વાયુમંડળમાં પ્રવાહિત થઈ રહેલી રામકથા ‘માનસ શિવ-સંકલ્પ’ના છઠ્ઠા દિવસે- ગઈકાલે કથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે, સનાતન ધર્મનું સપ્તક છે આ સાત તત્વો સનાતની છે (૧) બ્રહ્મ (૨) પરમપુરૂષ-પરમાત્મા (3)જીવ (૪) ધર્મ (૫) સ્વભાવ (૬) સત્ય અને જીવન સંગીત અઘ્યાત્મ સંગીતનો ‘સા’ એટલે સાધુ બ્રહ્મ સનાતન છે. પુરૂષ એટલે પરમ પુરૂષ (સ્ત્રી-પુરૂષના સંદર્ભમાં નહિં) પરમાત્મા પણ સનાતન પુરૂષ છે. આપણે સૌ પુરાતન થશું પણ પરમપુરૂષ સનાતન છે. જીવ પણ સનાતન છે. ધર્મ તો સનાતન છે જ. આપણો સ્વભાવ પણ સનાતન છે જે જન્મોજન્મ આપણી સાથે જ પ્રગટે છે એટલે સ્વભાવને પણ શાસ્ત્રોએ સનાતન કહ્યો છે. સત્ય તો સનાતન છે જ. આપણે કહીએ છીએને કે સનાતન સત્ય છે અને સનાતન રૂપી સંગીતનો સપ્તક ‘સા’ એટલે સાધુ. સાધુ સનાતન છે. કોઈએ પૂછ્યું છે કે, બાપુ ગઈકાલે વાત થતી હતી કે સાધુ તો ઈશ્વરના પણ આંસુ લુછે તો સાધુના આંછુ કોણ લૂછે? જવાબ: સાધુ આંસુ પી જાય છે એના આંસુડા લુછવાની જરૂર નથી! એને કોઈ રૂમાલની જરૂર નથી. સાચો સાધુ આંસુડા પી જાય છે એની કોઈને ખબર પણ નથી પડતી!
સનાતન ધર્મનું અયલ શિખર કૈલાસ છે, સનાતન ધર્મનો પરમ પવિત્ર પ્રવાહ ગંગા છે. સનાતન ધર્મનું વૃક્ષ અક્ષયવટ છે. ઓમથી રામ સનાતન નામ છે, સનાતન ધર્મની ધરતી ધીરજ (ધૈર્ય)છે અને સનાતન ધર્મની હવા હનુમાન છે. એક પ્રશ્ન હતો કે, બાપુ તમે પાંચ દિવસથી સંકલ્પ, પ્રણ, વચન, પ્રતિજ્ઞા વગેરે વિશે કહો છો તો ટૂંકમાં અમારે કરવું શું? એ કહોને તો અમને ખબર પડે! જવાબ: બાપ, મારા ગામડાના ભાઈઓ-બહેનો, સનાતન માટે આ ચાર વસ્તુ યાદ રાખજો… (૧) શાંત-શાંતિ (૨) વિચાર (3) સંતોષ અને (૪) કોઈ સાધુનો સંગ. વિશેષ કશું કરવાની જરૂર નથી. પણ આ ચાર વસ્તુ પકડી લો એટલે બેડો પાર… પણ કઠી છે. શાંત થવું- શાંત રહેવું, શાંતિ રાખવી અઘરી છે. આપણે કેટકેટલા વિચારોથી ભરેલા છીએ. વિચાર-વિચાર-વિચાર…. બૌ વિચારો ન કરવા, સાત્વિક વિચારનો સ્વીકાર છે અને સંતોષ ખુબ જરૂરી છે. આપણને સંતોષ ક્યાં છે? અને છેલ્લે કોઈપણ સાધુનો સંગ અત આવશ્યક છે. આ ચાર વાત યાદ રાખજો.
કાલે મહાવીર બાપુ રણછોડ ગીરીબાપુ અને બજરંગદાસબાપુનો એક પ્રસંગ કેતા’તા. એ તમને કહું એકવાર બજરંગદાસ બાપુ રણછોડ ગીરીબાપુને મળે છે, રણછોડગીરીબાપુ તો સ્મશાનમાં જ રહેતા’તા. તો બન્ને મળે છે ત્યારે બજરંગદાસબાપુઅ કીધુ કે, વાલા, ચા પીવો છે. એટલે રણછોડગીરીબાપુ દૂધ લેવા માટે ગામમાં જાય છે પણ ક્યાંયથી દૂધ ન મળ્યું. પૂનમની રાત હતી અને બજરંગદાસ બાપુને ચા પીવાની ઈચછા હતી. દૂધ મળ્યું નહીં તો બજરંગદાસ બાપુ બોલ્યા-વાલા, તપેલી આપો, આ પૂનમનું અજવાળું છે, લાવો તપેલી, રણછોડગીરીબાપુએ તપેલી આપીને ચાંદાના અજવાળા નીચે જાણે ગાય દોહતા હોય એમ ક્રિયા કરીને દૂધ વછુટ્યું, ગાયના આંચળમાંથી ધારા પડતી હોય એમ તપેલીમાં દૂધ ભરાઈ ગયું! (આને અન્યથા ન લેશો) બાપ, સાધુને ઓળખી શકાતો નથી! ચંદ્રમાંથી અમૃત ઝરે તો શું દુધ ન ઝરે?
અઘ્યાત્મમાં ગતિ કરવી હોય એણે આ પાંચ વ્રત યાદ રાખવા જરૂરી છે. મૌન ખુબ મૌખ રાખો, જરૂર પૂરતું જ બોલવું. મૌનવ્રત-સ્વયંવ્રત-અઘ્યાત્મ માટે સંયમવ્રત ખુબ જ જરૂરી છે. ધર્મવ્રત-કોઈપણ ધર્મવ્રત જે ધર્મ તમને રૂચે એનું ધર્મવ્રત અને જાગરણ વ્રત એટલે કે સાવધાન રહેવું. જાગરણ ખુબ જરૂરી છે. જીવન અને સાધના જૂદા નથી, જીવન જ સાધના છે સાધનાને જીવનથી જૂદી ન પાડો. જીવનમાં જ સાધના રહેલી છે.
કથા રત્નો
(૧) કોઈએ પૂછ્યું કે: ભેખ લેવા માટે દેશ છોડવો પડે!
જવાબ: દેશ છોડવાની જરૂર નથી દ્વેષ છોડો!
(૨) સાધુ હોય એ આંસુ પી જાય છે, એને કોઈ રૂમાલની જરૂર નથી!
(3) સંસાર રોગ છે, વિચાર એનું ઔષધ છે: જગદગુરુ શંકરાચાર્યજી
(૪) સનાતન ધર્મની હવા હનુમાન છે
(૫) સાધુ ભેખને નીંદે એને ધિક છે રે…
એ તો પથ્થર માથાને ટેકે છે રે…
પણ સાધુ વેશને વંદે એને ધન્ય છે રે…


