વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
જે ઘરમાં નિંદા, ઇર્ષા, દ્વવેષ હોય એ ઘરનું ખાવું નહી
મૌનએ શ્રવણની પ્રથમ સીડી છે
રામકથાનો પ્રથમ શ્રોતા સાધુ છે
મહારાષ્ટ્રની ભૂમિ કિલ્લારી (લાતૂર) ગામની ધરતી પરપ રમ પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ વાલ્મિકી આશ્રમ’ના ચોથા દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતાં પ્રિય બાપુએ કથામંડપમાં મંગળવારે સાંજે, પ્રેમસભામાં વારકરી પરંપરાના ‘ચક્રી ભજન’ના કાર્યક્રમની પ્રસન્નતા વ્યકત કરતાં કહ્યું હતું કે એ ખાલી ચક્રી ભજન ન્હોતું, મારી દ્રષ્ટિએ એ ‘સુદર્શન ચક્રી ભજન’ હતું. બાપુએ ભગવદગીતાના એક શ્ર્લોકનો સંદર્ભ આપીને આ ‘ચક્રી ભજન’નો મહિમા બતાવ્યો હતો. બાપુએ કહ્યું કે મેં પણ આ સુદર્શન ચક્રીભજનનું પ્રથમ વખત જ શ્રવણ દર્શન કર્યુ છે. વાર કરી સંપ્રદાયના કિર્તન-ભજન તો સાંભળ્યા હતાં પણ આવુ ચક્રીભજન પેલી વાર માણ્યું. અભંગ રચનાઓ ઘણા સર્જકોએ રચી છે પણ તુકારામના અભંગ અને વિશેષ સરળ લાગે છે. ‘તુકારામ ભગવાન’ તરીકે ઓળખાયા છે. આ ‘ચક્રીભજન’ આપણે તલગાજરડા પણ બોલાવશું. મેં આ લોકોને કહ્યું કે તમે બધા જ આવો. દુનિયાની સર્વ સાત્વિક કલાઓને તલગાજરડામાં લાવવી મને ગમે છે. ‘રામકૃષ્ણ હરિ’એ તુકારામનો સ્વપ્ન મંત્ર છે. જે આખા જગતને જાગૃત કરે છે.
મંત્રના ઘણા પ્રકારો છે. ધારક મંત્ર, તારક મંત્ર, મારક, બારક, વારકરી એ વ્હારક મંત્ર છે. ભારક (બોજમત્ર), રક્ષક મંત્ર, રામનામ ધારક મંત્ર છે. ‘રામકૃષ્ણ હરિ’ને હું સત્ય, પ્રેમ, કરૂણા કહૂ છું. કેમ કે રામ સત્ય છે, કૃષ્ણ પ્રેમ છે અને હરિ-એટલે કે હરિહર-મહાદેવ કરૂણા છે. આજે વારકરી સંપ્રદાયના એક યુવા સાધકે મને લખીને મોકલ્યું છે કે બાપુ, તમે સત્ય, પ્રેમ, કરૂણાને રામકૃષ્ણ હરિ સાથે સરખાવો છો તો અમારી મરાઠી ભાષાના સદગ્રંથોમાં અને તુકારામના અભંગમાં પણ આ સત્ય, પ્રેમ, કરૂણાના સંદર્ભો આવે છે. બાપુએ મરાઠી ભાષામાં લખાયેલા એ સંદર્ભોનું પઠન પણ કર્યુ હતું.
રાજકોટના કિશનભાઇ હરિયાણીની એક સરસ રચના ‘સાધુ’બાપુએ કહી હતી…
સવાર પડેને સૌની પહેલા, નદી કિનારે ન્હાતો સાધુ,
સુરજને ચંદાની શાખે, હરિગુણ કાયમ ગાતો સાધુ,
ભ્રમણ કરીને ભિક્ષા માંગી, ખવરાવીને ખાતો સાધુ,
આકાશને ઓશીકે લઇને, આડે પડખે થાતો સાધુ,
વગર પગારે પૂજા કરતો, અવિરત કેવો આહા! સાધુ
ધૂપિયાના ધૂમાડે કરતો, પાપ સહુના સ્વાહા! સાધુ
તડકો હોય કે છાંયો, સદાય સ્નેહ નીતરતો સાધુ
સમાજ તો સગવડીયો ધર્મી, સામે પાણીએ તરતો સાધુ
ખાંડા કેરી ધાર ભલે, હો એ પર ડગલાં ભરતો સાધુ
ધ્યાનદીપ ધરમને કાજે, નખશીખ નીખરતો સાધુ
વારકરી સાધકનો એક પ્રશ્ન છે, બાપુ, રામ વનવાસમાં ચૌદ વર્ષ ગયા, રહ્યાં તો એ દરમ્યાન અયોધ્યામાંથી કોઇ રામને મળવા ન ગયા! જવાબ: રામની સાથે રમતા, જમતા, વિનોદ કરતા યુવાનો વનવાસ દરમ્યાન ગયા છે. એ ચિત્રકૂટમાં દૂરથી રામને જોઇને રડીને પાછા ફરતાં, રામ વનવાસ દરમ્યાન નિષાદ ગૃહરાજ રોજ એક પત્ર અયોધ્યા મોકલતા. જેમાં બધી વિગતો લખતાં. એ પત્રની સૌથી પ્રથમ પ્રતિક્ષા મા કૌશલ્યાને રહેતી. રામવનગમન પછી, દશરથજીની વિદાય પછી મા કૌશલ્યા એના શયન ખંડમાં ગયા નથી. શયનખંડની બહાર, અયોધ્યાની રાજમાતા, ઘાસનું બિછાનું કરી સૂઇ રહેતી અને રામ બાળક હતાં. ત્યારે ધનુષ બાણથી રમતા એ નાનકડા ધનુષ બાણ માથા પાસે રાખી એના દર્શન કરતી-કરતી મા કૌશલ્યા પત્ર વાંચતી પછી એ પત્ર ગુરૂ વશિષ્ઠને આપતા, સુમંત પાસે એ પત્ર જાય, પછી એ પત્ર અયોધ્યાના ઘરે ઘરે જતો હતો અને સૌ રામના વિરહમાં નિરંતર રડતા હતાં.
કૃષ્ણ વૃંદાવન છોડી મથુરા ગયા પછી કોઇ મથુરા ગયું નથી. નહીતર, વૃંદાવન ગોકુળથી મથુરા કયાં છેટું હતું? પણ કોઇ ગયું નથી, કેમ? કેમ કે પ્રેમહોય ત્યાં શરીરની શું જરૂર? ગોકુળ-વૃંદાવન વાસીઓના મન તો કૃષ્ણની સાથે જ હતા એટલે મનથી એ કૃષ્ણની પાસે જ હતાં…સીતાજી વાલ્મિકી આશ્રમમાં ગયા પછી પણ અયોધ્યાથી કોઇ એની પાસે કેમ નથી ગયાં? લક્ષ્મણ, ભરત, માતાઓ, ગુરૂ વશિષ્ઠ ન જઇ શકે? એક માત્ર શત્રુધ્ન જાય છે. તુલસીદાસજી ‘ગીતાવલી’માં પ્રમાણ આપે છે કે એક માત્ર શત્રુધ્ન ગયા છે અને યોગાનુયોગ એ સમય લવ-કુશનો જન્મ થાય છે ત્યારે શત્રુધ્ન ગયા છે.
બીજો એક પ્રશ્ન પૂછાયો કે બાપુ, ‘વાલ્મિકી રામાયણ’ને ‘રામચરિત માનસ’ જેટલી પ્રસિધ્ધ કેમ ન મળી? જવાબ: વાલ્મિકીજીનું રામાયણ સંસ્કૃત ભાષામાં છે એટલે સૌ કોઇ સમજી ન શકે. પણ મૂંળ રામાયણ તો ‘વાલ્મિકી રામાયણ’ જ વાલ્મિકી આશ્રમ વિશેષ છે કેમ કે આપણને ત્યાંથી રામાયણ મળી છે. રામ-બ્રહ્મને સ્થાન બતાવે એ મહામુની વાલ્મિકી છે. વાલ્મિકી રામાયણમાં ચોવીસ હજાર શ્ર્લોકો છે અને એનો પ્રથમ શબ્દ ઓમ છે. એક-એક હજાર શ્ર્લોક પછી વાલ્મિકીજી ઓમ શબ્દથી આગળની વાતો લખે છે. ઓમ ભૂર્ભુવ: સ્વ.: તતસંવિતુર વરેણ્યં…એ ગાયત્રી મંત્રનો વિસ્તાર વાલ્મિકી રામાયણ છે.
કથારત્નો
(૧) રામકથાથી દૌષ, દુ:ખ, સંતાપ દારીદ્ર મટી જાય છે
(૨) રામકથા ગાયનનો સૌથી પ્રથમ પ્રારંભ વાલ્મિકી આશ્રમથી થયો છે
(3) ગાયત્રી મંત્રનો વિસ્તારએ વાલ્મિકી રામાયણ છે
(૪) પરમાત્મા એવા લોકોને જ મારી પાસે મોકલે છે જેને સાજા કરવાના હોય હું તો નિમિત માત્ર છું
(૫) રામને-બ્રહ્મને પણ રહેવાના સ્થાન બતાવે છે એ મહામુનિ વાલ્મિકીજી છે


