કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
રામ, કૃષ્ણ, શિવ સહજ આનંદ રૂપ છે
જયાં જવાતું હોય ત્યાં જ જવાય, જયાં ત્યાં ન જવાય!
કેટલીક વાતો જીવવાની હોય છે, સમજવાની નથી હોતી!
પરમ પાવની મા ગંગાના તટ પર, હરિદ્વારની તીર્થભૂમિ પર ગઇકાલથી પ્રિય મોરારિબાપુની રામકથા ‘માનસ અમૃતમગમય’નો શુભ-મંગલ પ્રારંભ થયો હતો. કથાના કેન્દ્રીય વિષય માટે માનસના બાલકાંડ અને અયોધ્યાકાંડની આ ચોપાઇઓ કેન્દ્રમાં છે…
માગુ માગુ બર, ભૈ નભ બાની,
પરમ ગંભીર કૃપામૃત સાની,
પાવા પરમતત્વ જનુ જોગી,
અમૃત લહેઉ જનુ અંતત રોગી,
સેવહિ અરહુ કલપતરૂ ત્યાગી,
પરિહરિ અમૃત લેહિ બિષુ ભાગી,
પ્રથમ દિવસની કથાના પ્રેમસંવાદમાં બાપુએ જણાવ્યું હતું કે પરમ પાવની મા ગંગાના તટ પર ફરી આપણે સૌ પરમાત્માની પરમ અહેતુકૃપાથી રામકથાનું અનુષ્ઠાન ગન કરવા જઇ રહ્યા છીએ. ત્યારે આ સાત દિકરીઓ (ધોળકીયા પરિવાર)નો મનોરથ છે, ગયા વર્ષે ઋષિકેશની કથા પણ આ બહેનો થકી જ યોજાઇ હતી. ત્યારે કૈલાસ આશ્રમના પીઠાધીશ વિષ્ણુદેવાનંદગિરીજી મહારાજ અને સદગુરૂ ત્રિભુવનદાદાનું સ્મરણ હતું. આ વખતે ‘માનસ અમૃતમગમય’ વિષયને કેન્દ્રમાં રાખીને રામકથા ગાન કરીશું. મારી ખૂબ જ પ્રસન્નતા છે. બાપ, સમુદ્રમંથન વખતે ચૈદ રત્નો મળેલા એમ મને રામચરિત માનસમાંથી ચૌદ અમૃત મળ્યાં છે. એ ચૌદ અમૃત કયાં-કયાં? આપણે આ નવ દિવસએનો સંવાદ કરીશું.
આપણા શાસ્ત્રોમાં વકતા અને શ્રોતાના લક્ષ્ણો બતાવ્યાં છે. શ્રોતા કેવો હોવો જોઇએ અને વકતા પણ કેવો હોવો જોઇએ એની ચર્ચા ભાગવદ, માનસ વગેરે ગ્રંથોમાં થઇ છે. શ્રોતાના લક્ષ્ણો (૧) ઉચ્ચેશ્રવા-સમુદ્ર મંથન સમયે એક ઘોડો નીકળેલો, એ ઘોડાનું નામ હતું ઉચ્ચેશ્રવા એટલે કે ઊંચા કાન વાળો ઘોડો. શ્રોતાના કાન ઊંચા રહેવા જોઇએ (૨) વૃધ્ધશ્રવા એટલે જે પરિપકવ થઇને કથા સાંભળે તે વૃધ્ધાશ્રવા શ્રોતા (3) ઉગ્ર શ્રવા એટલે કે અહીં ઉગ્ર એટલે તીવ્રતામય થઇને કથા સાંભળવી (૪) ચક્ષુશ્રવા આંખથી કથા સાંભળવી, આપણી આંખો કાન બની જાય, હું ઘણી વખત કહેતો રહું છું કે આપણે ત્યાં એમ કહેવાય છે કે દિવાલને પણ કાન હોય છે, પણ હવે કાનમાં જ દિવાલ થઇ જાય એવું કહીએ કેમ કે કાનમાં દિવાલ થઇ જાય તો કોઇની નીંદા, ઇર્ષા, દ્વવેષ આપણને સંભળાય નહી! (૫) ભદ્રશ્રવા-આપણી ભદ્રતા ખંડિત ન થાય, ભદ્ર બનીને કથા સાંભળવી, હવે વકતાના પાંચ લક્ષ્ણો, (૧) ઉચ્ચવેદના-હંમેશા સારા ઉચ્ચ વચનો વકતાના મુખમાંથી નીકળવા જોઇએ (૨) ઉગ્રવચના એટલે દરેક શબ્દ અનુભૂતિ સાથે બોલાય (૪) ચક્ષુવચના એટલે વકતાની આંખો બોલે. વાણી તો પછીના ક્રમે આવે પણ વકતાની આંખ પણ બોલતી હોય છે. અધ્યાત્મ જગતમાં આંખોનો મહિમા છે. (૫) ભદ્રવચના એટલે વકતાના મુખથી કયારેય પણ અભદ્ર વચન ન નીકળવા જોઇએ. મહાવીર, બુધ્ધ આદિ જગદગુરૂ શંકરાચાર્ય વગેરે જેવા મહાપુરૂષો, લોકમંગલ માટે હંમેશા ભદ્રવચનો જ બોલ્યા છે.
સાધુ કોણ? જે બધું છોડી, મા-બાપ, ભાઇઓ સંતાનો પરિવાર બધું જ છોડી દે તે સાધુ, અહીં બધુ છોડવાની વાત એટલે કોઇપણ વસ્તુનું મમત્વ છોડી દે પણ મહત્વ ન છોડે એ સાધુ છે. બધું છોડવું એ અર્થમાં છે. સાધુ કોઇપણ વસ્તુમાં મમત્વ ન રાખ, હા, મહત્વ જરૂર રાખે, હવે કથા કરવી તો પૈસાની જરૂર પડે જ પણ પૈસાનું મમત્વ ન હોય, મહત્વ જરૂર હોય, પૈસા હોય તો જ આવી કથા થાય પણ પૈસા માટે કથા ન થવી જોઇએ. સાચો સાધુ એ છે જે કોઇ વસ્તુ પર મમત્વ ન રાખે, પણ એનું મહત્વ હોવું જોઇએ.
વકતા અને શ્રોતા માટે મુખ્ય આ ત્રણ બાબતો હોવી જોઇએ. (૧) પ્રભાવ પાવરફૂલ હોવો જોઇએ, એટલે કે નીજી પ્રભાવ, નીજતાનો પ્રભાવ (૨) એનો સ્વભાવ ‘પુઅર’ (ગરીબ) હોવો જોઇએ અને (3) એનો સદભાવ ‘પ્યોર’ હોવો જોઇએ. આ ત્રણ મુખ્યત્વે વકતા-શ્રોતા બંનેમાં હોવું જોઇએ. પાવરફૂલ, પુઅર અને પ્યોર.
આપણા જગદીશભાઇ ત્રિવેદીએ એક સરસ વાત કરી હતી કે બાપુ, મરવા માટે તો એક જ વખત ઝેર પીવાનું હોય છે, પણ જીવવા માટે તો રોજે રોજ થોડું-થોડું ઝેર પીવાનું હોય છે. જય વસાવડાએ મને હમણા એક સરસ નિરીક્ષણ કીધું કે બાપુ, રાજમહેલમાં જોકર ઘૂસી જાય તો, કોઇપણ ક્ષેત્રમાં જોકરનો પ્રવેશ થાય તો એ ક્ષેત્રને સર્કસ બનાવી દે છે!!!
કથારત્નો
(૧) અધ્યાત્મ જગતમાં આંખોનો મોટો મહિમા છે
(૨) કોઇપણ વસ્તુ, બધું છોડી દે, મમત્વ છોડી દે પણ જે તે વસ્તુનું મહત્વ ન છોડે તે સાધુ
(3) દંભ કયારેય પાર્ટ ટાઇમ નથી હોતો, એ કાયમ રહે છે!


