હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા
2024 માં ભાભી સાથેની ફોન પરની વાતચીતથી શરૂ થયેલો વિવાદ અંતે જીવલેણ બન્યો, આરોપીને ગણતરીની કલાકોમાં લીંબડી નજીકથી ઝડપી લેવાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં જલારામ ચોક નજીક છેલ્લા બે વર્ષથી ચાલતી અદાવતનું સમાધાન કરવા મુદ્દેના વિવાદમાં ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલાની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી.આ હત્યામાં સંડોવાયેલા આરોપી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાને ભક્તિનગર પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં લીંબડી નજીકથી ઝડપી લીધો છે.
પોલીસ તપાસ મુજબ, મૃતક ઘનશ્યામસિંહ અને આરોપીના પરિવાર વચ્ચે વર્ષ 2024થી વિવાદ ચાલતો હતો. તે સમયે આરોપી ધર્મેન્દ્રસિંહના મોટા ભાઈ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ પાટણવાવના ભાડેર ગામે ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપ હતો કે મૃતક આરોપીના ભાભી સાથે ફોન પર વાતચીત કરતો હોવાથી આ હુમલો કરવામાં આવ્યો હતો. તે કેસમાં ઘનશ્યામસિંહ અને તેના પિતા અનુપસિંહ બંનેને ઈજા પહોંચી હતી અને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. આ કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ધર્મેન્દ્રસિંહ વારંવાર આ કેસમાં સમાધાન કરવા માટે મૃતક પર દબાણ કરતો હતો. જોકે, મૃતક સમાધાન કરવા તૈયાર ન હોવાથી બંને પરિવારો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનતો ગયો હતો. પોલીસનું માનવું છે કે આ જ મનદુઃખ અંતે હત્યાનું કારણ બન્યું.
શનિવારે સાંજે જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જતા માર્ગ પર આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ પાસે ઘનશ્યામસિંહ પોતાની કારમાં બેઠા હતા. તે દરમિયાન ધર્મેન્દ્રસિંહ પોતાના એક સાગરીત સાથે એક્ટિવા પર ત્યાં પહોંચ્યો હતો. અગાઉથી રેકી કર્યા બાદ બંનેએ ઘનશ્યામસિંહ પર તીક્ષ્ણ હથિયાર વડે તાબડતોબ હુમલો કર્યો હતો. છાતી, ખભા, પીઠ અને હાથ સહિતના ભાગે છથી સાત ઘા ઝીંકાતા ઘનશ્યામસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ રવિવારે સારવાર દરમિયાન તેમનું મોત થતાં હત્યાના પ્રયાસનો ગુનો હત્યામાં ફેરવાયો હતો.
ભક્તિનગર પોલીસે અનુપસિંહ કેશુભા વાઘેલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. શહેરમાં નાકાબંધી, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. આખરે પોલીસ ટીમે લીંબડી નજીકથી ધર્મેન્દ્રસિંહને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. હુમલામાં વપરાયેલી છરી પણ ઘટનાસ્થળેથી જ કબજે લેવામાં આવી હતી, જ્યારે હુમલામાં સામેલ બીજા શખ્સની શોધખોળ ચાલુ છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે બનાવના પાંચેક દિવસ પહેલાં મૃતકે તેના ઘર પાસે આવીને તેને સતત 50થી 60 જેટલા ફોન કર્યા હતા. તેણે ફોન ઉપાડ્યા ન હોવાથી તેને એવું લાગ્યું કે મૃતક તેના પર હુમલો કરવાની તૈયારીમાં છે. આ શંકાના આધારે તેણે પોતે જ ઘનશ્યામસિંહને શોધી કાઢી હુમલો કર્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. જોકે, આરોપીના આ દાવાની પણ પોલીસ દ્વારા અલગથી તપાસ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર તપાસ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, સંયુક્ત પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ અને એસીપી બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. પરમાર તથા તેમની ટીમે ટેક્નિકલ અને મેદાની તપાસના આધારે ટૂંકા સમયમાં આરોપીને ઝડપી પાડીને કેસનો ભેદ ઉકેલી દીધો હતો.
પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે જેથી હત્યાના કાવતરામાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં, તેમજ હુમલા અગાઉ થયેલી તમામ હિલચાલ અંગે વધુ માહિતી મેળવી શકાય. બીજી તરફ, બે વર્ષ પહેલાં થયેલા હત્યાના પ્રયાસમાં બચી ગયેલા ઘનશ્યામસિંહ આ વખતે જીવલેણ હુમલામાં જીવ ગુમાવતા જૂની અદાવતનું કરૂણ સમાપન થયું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.


