સોમનથમાં શ્રાવણમાં ભક્તિ, ભજન અને ભોજનનો થશે ત્રિવેણી સંગમ
તા.13 ઓગસ્ટ થી 11 સપ્ટેબર સુધી યાત્રાધામ સોમનાથમાં હર હર ભોલે જય સોમનાથનો નાદ ગુંજતો રહેશે: સવારે ૪ વાગ્યે ખુલશે મંદિરના દ્વાર: દિવ્યાંગ સહિતના શ્રદ્ધાળુઓ માટે ટ્રસ્ટ દ્વારા કરાઈ આગવી વ્યવસ્થાઓ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 30 દિવસીય શ્રાવણ રુપી શીવ મહોત્સવનો પ્રારંભ તા.13/08/2026 થી થશે અને પૂર્ણાહુતી તા.11/09/2026 શ્રાવણ વદ અમાસના રોજ થશે. ત્યારે સોમનાથ સાનિધ્યમાં ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
શ્રાવણમાં ભક્તો ચાર સોમવાર, અગીયારસ, રક્ષાબંધન, સાતમ-આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ, અમાસ સહિતના દિવસોમાં આવનાર માનવ મહેરામણ માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રી સુવિધાઓ- પૂજન તેમજ આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન જન-જન ને સુંદર રીતે થાય તેવુ આગવુ આયોજન કરવામાં આવ્યુ છે.
શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી અલંકૃત કરવામાં આવશે. શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને સવાલક્ષ બિલ્વ પત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, સહિતના 30 દિવસના અલગ અલગ ધાર્મિક મહાત્મ્ય સાથેના શૃંગાર કરવામાં આવશે. વિશેષ રૂપે શ્રાવણના પ્રથમ 3 સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વ પર વિશેષ સ્વાભિમાન શ્રૃંગાર કરવામાં આવશે આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર રાશી આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શૃંગાર નોંધાવનાર દરેક ભક્તને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોમ્પ્લીમેન્ટરી સ્વરૂપે સોમેશ્વર મહાપૂજા પણ કરાવવામાં આવશે. મંદિરના પૂજા વિધિ કાઉન્ટર પર ઈચ્છુક ભક્ત શૃંગાર ન્યોછાવર કરી શકશે.
પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમ્યાન લાખોની સંખ્યામાં વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય અને દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો લગાવાઇ રહ્યો છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વધારે માત્રામાં આવનારી યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરી છે, શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે. સોમનાથ મંદિર દર વર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર તથા તહેવારોના દિવસોમાં સવારના 4 વાગ્યે ખોલવામાં આવશે.
વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી સોમનાથ મંદિર સુધી પહોચવા ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી નિઃશુલ્ક ટોય ટ્રેનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સોમનાથ મંદિર પરિસરના અપ્રોચ એરિયામાં ટ્રસ્ટ દ્વારા સ્વાગત કક્ષની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટા અક્ષરે સ્વાગત કક્ષ લખેલા સફેદ ટેન્ટમાં વૃદ્ધો તેમ દિવ્યાંગો માટે વ્હીલ ચેર, મંદિરમાં ચાલનારી ગોલ્ફ કાર્ટ માટે સીનીયર સીટીઝન અને દિવ્યાંગો માટે નિશુલ્ક ટિકિટ તેમજ વિશેષ જરૂરિયાત હોય તેવા યાત્રીઓ માટે સહાયક ગોઠવવામાં આવ્યા છે. વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
સોમનાથ મંદિરમાં સૌથી ઉત્કૃષ્ટ યાત્રી અનુભવ આપવા મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે માળખું ઊભું કરવામાં આવ્યું છે. વધારાનો સ્ટાફ, સુપરવાઇઝરો, પંડિતજી સહિતની ટીમ દ્વારા અહી ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક પાઠ, સંકલ્પ, સહિતની પૂજન વ્યવસ્થા કરવામાં આવશે. અહીં જ યાત્રી વિશેષ કાઉન્ટર પર પૂજા નોંધાવી પણ શકશે. પોતે કરાવેલ પૂજાનો પ્રસાદ પણ અહીં જ પૂજા નોંધાવનાર ભક્તોને પહોંચાડવામાં આવશે. પૂજા માટે સંકીર્તન ભવન વન સ્ટોપ સોલ્યુશન બનશે. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર રૂ.25 માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ
સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા એ માત્ર એક યાત્રા નથી પરંતુ ભક્તિનો અનોખો અલભ્ય અનુભવ છે. ટ્રસ્ટ મહાદેવના સ્વરૂપનું વિધિવિધાન થી પૂજન કરી પાલખીને યાત્રા પ્રસ્થાન કરાવે છે. ત્યારે હજારો શિવભક્તો મળીને આ યાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીને ઊંચકીને પુણ્યનું અર્જન કરે છે. હવેથી શ્રાવણ માસના ચાર સોમવાર ઉપરાંત શ્રાવણ માહની પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પાલખીયાત્રાનું પ્રથમ વખત વિશેષ આયોજન કરવામાં આવનાર છે.
સોમનાથ મંદિરમાં ફાયર સિસ્ટમ જેવી અનેકવિધ ટેકનિકલી એડવાન્સ ફાયર રજીસ્ટન્સ સિસ્ટમ લગાવવામાં આવેલ છે, વધુમાં મંદિરમાં ખૂણે ખૂણે અગ્નિશામક લગાવવામાં આવ્યા છે. મંદિરના પ્રત્યેક કર્મચારીને અગ્નિશામક ની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં આવનાર ભક્તોને કોઈ ઈજા થાય તો ટેમ્પલ ઓફિસ /પી.આર.ઓ ઓફિસ ખાતે ફર્સ્ટ એડ કીટ અને પ્રશિક્ષણ પામેલ સ્ટાફ રાખવામાં આવેલ છે. ભક્તના સ્વાસ્થયને સૌથી પહેલી પ્રાથમિકતા આપવા માટે તમામ કર્મચારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.
પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મંદિરમાં પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞના મહાઅનુષ્ઠાનનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ આવનાર ભાવિકો ભગવાન ચંદ્ર દ્વારા મહામૃત્યુંજય મંત્રોથી સિદ્ધ થયેલ ભૂમિ પર યજ્ઞ પુણ્યનું અર્જન કરી શકે તેના માટે વિશેષ રૂપે આ “મહામૃત્યુંજય યજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં કોઈપણ ભક્ત જોડાઈને યજ્ઞનો લાભ લઇ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં સ્વાગત કક્ષ અને નિકાસ દ્વાર નજીક વિશેષ કાઉન્ટર પર રૂ.51 ન્યોછાવર કરી ભક્તોને યજ્ઞ માટે આહૂતિ દ્રવ્ય ધોતી અને યજ્ઞમાં યજમાન બનવાનું પુણ્ય મળે છે. સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી 1 કલાકના 9 અલગ અલગ સ્લોટમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
Somnath.org સોમનાથનું વન સ્ટોપ સોલ્યુશન….
સોમનાથ મંદિરમાં થતી દરેક પૂજા જેમાં સોમેશ્વરપૂજા, ધ્વજા પૂજા, મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, શૃંગાર દર્શન પૂજા, બિલવપુજા, સવાલક્ષ બિલ્વપૂજા સહિત પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ SOMNATH.ORG પરથી ઓનલાઇન નોંધાવી શકશે. જે શ્રદ્ધાળુ સોમનાથ ન પહોંચી શકે તેમને ઝૂમ એપના માધ્યમથી ઓનલાઈન સંકલ્પ કરાવી તેમની પૂજા સંપન્ન કરાવવામાં આવશે. Somnath.org પરથી સોમનાથ ટ્રસ્ટના સાગરદર્શન, લીલાવતી, માહેશ્વરી સહિતના અતિથિભવનોમાં રુમનું ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાશે.


