- ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલી વધી
- યુદ્ધ વચ્ચે પૂર્વ PM યાયર લેપિડે નેતન્યાહુના રાજીનામાની કરી માંગ
- “76 ટકા ઇઝરાયેલીઓ ઇચ્છે છે કે નેતન્યાહુ રાજીનામું આપે”
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ હવે વધી રહી છે. હમાસ સામેના યુદ્ધની વચ્ચે તેની સ્થિતિ જોખમમાં છે. ભૂતપૂર્વ વડા પ્રધાન યાયર લેપિડે સ્પષ્ટપણે કહ્યું છે કે તેમણે રાજીનામું આપવું જોઈએ અને નવી સરકારની રચના કરવી જોઈએ. આ સિવાય તાજેતરના સર્વેમાં બે તૃતીયાંશથી વધુ યહૂદીઓ નેતન્યાહૂનું રાજીનામું ઈચ્છે છે.
યુદ્ધ વચ્ચે પૂર્વ PM યાયર લેપિડે નેતન્યાહુના રાજીનામાની કરી માંગ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પૂર્વ વડાપ્રધાન યાયર લેપિડે બેન્જામિન નેતન્યાહુના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. લેપિડે અલગ વડાપ્રધાનના નેતૃત્વમાં નવી સરકારની રચના માટે અપીલ કરી હતી. આ માટે તેમણે સંસદમાં અવિશ્વાસ મતની માંગણી કરી છે. લેપિડે હમાસના ઑક્ટોબર 7ના હુમલાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ નેતન્યાહુ અને સુરક્ષા તંત્રની ટીકા કરી હતી. લેપિડ માને છે કે નેતન્યાહુએ લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે અને આ પડકારજનક સમયમાં દેશનું નેતૃત્વ કરવા માટે નવા વડાપ્રધાનની જરૂર છે.
હમાસના હુમલા બાદ, નેતન્યાહુ અને અન્ય વિપક્ષી નેતાનો પલટવાર
હમાસના હુમલા બાદ, નેતન્યાહુ અને અન્ય વિપક્ષી નેતા, બેની ગેન્ટ્ઝ, યુદ્ધ સુધી કટોકટીની સરકાર બનાવવા માટે સંમત થયા હતા. જો કે, લેપિડે આ જોડાણમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. બેન્જામિન નેતન્યાહુ લિકુડ પાર્ટીમાંથી આવે છે અને યેર લેપિડ માત્ર નેતન્યાહુના નેતૃત્વની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે વડાપ્રધાન લિકુડ પાર્ટીમાંથી હોવા જોઈએ પરંતુ નેતન્યાહુની જગ્યાએ તેમણે નવા વડાપ્રધાન સાથે નવી સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
નેતન્યાહુના પક્ષે લેપિડના પ્રસ્તાવને “શરમજનક” ગણાવ્યો
જોકે નેતન્યાહુની લિકુડ પાર્ટીએ પૂર્વ પીએમ લેપિડના પ્રસ્તાવને ફગાવી દીધો છે. પક્ષે લેપિડની માંગને “શરમજનક” ગણાવી અને યુદ્ધના સમયમાં યોગ્ય નથી. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઘણી જાનમાલનું નુકસાન થયું છે. હમાસના હુમલાના જવાબમાં ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 11,500 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. તે જ સમયે, હમાસના હુમલાને કારણે પ્રારંભિક તબક્કામાં ઇઝરાયેલમાં 1400 લોકોના મોત થયા હતા. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં તેણે ગાઝામાં માનવતાના આધારે યુદ્ધવિરામની અપીલ કરી હતી. આ પછી, નેતન્યાહૂ શાસન દરરોજ ચાર કલાક માટે યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
76 ટકા યહૂદીઓ નેતન્યાહૂનું રાજીનામું ઈચ્છે છે?
નવેમ્બર 3 ના મતદાનમાં જાણવા મળ્યું છે કે 76% ઇઝરાયેલીઓ ઇચ્છે છે કે નેતન્યાહુ રાજીનામું આપે. ગયા મહિને કરવામાં આવેલ એક સર્વે દર્શાવે છે કે જો હવે ચૂંટણી થશે તો નેતન્યાહૂ હારી જશે. હમાસના હુમલા બાદ તરત જ હાથ ધરવામાં આવેલા સર્વેમાં 56 ટકા યહુદીઓ નેતન્યાહુને સત્તા પરથી હટાવવા માંગતા હતા. બેન્જામિન નેતન્યાહુ 16 વર્ષથી સત્તા પર છે. તેમના લાંબા કાર્યકાળ દરમિયાન, તેમણે પોતાને સુરક્ષા મોરચે એક કઠિન નેતા તરીકે સ્થાપિત કર્યા છે, પરંતુ ટીકાકારો કહે છે કે તેઓ તે ધ્યાનથી ભટકી ગયા છે અને તેમની ખુરશી બચાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.


