- સાઉથ આફ્રિકાન સામેની સિરીઝમાં ત્રણેય ફોર્મેટમાં અલગ કેપ્ટન
- ઈરફાન પઠાણે BCCIના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો
- સાઉથ આફ્રિકા સામે T20માં સુર્યા અને ODIમાં કેએલ રાહુલ કેપ્ટન
ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવીને શ્રેણી કબજે કરી લીધી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમને હરાવી છે.પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે BCCIના એક નિર્ણયનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે. ઈરફાને BCCI નિર્ણયથી અસહમતી દર્શાવતા મોટું નિવેદન આપ્યું છે. ઈરફાને કહ્યું કે ભારતીય ક્રિકેટમાં આવું ન થયું હોત તો સારું થાત. આવો તમને જણાવીએ કે BCCIના કયા નિર્ણયથી ઈરફાન ખુશ નથી.
ઈરફાને કયા નિર્ણયનો કર્યો વિરોધ?
ઈરફાને કહ્યું કે ભારતના ક્રિકેટ કલ્ચરમાં બદલાવ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય ટીમમાં પણ ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. BCCIએ સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે કેએલ રાહુલની કેપ્ટન તરીકે નિમણૂક કરી છે. આ સિવાય સૂર્યા ફરી એકવાર T20 સિરીઝમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ પછી સૂર્યા અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં પણ કેપ્ટનશીપ કરતી જોવા મળશે. એટલું જ નહીં પરંતુ રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં કેપ્ટન્સી કરતા જોવા મળશે, આના પરથી સ્પષ્ટ થાય છે કે BCCIએ પણ અલગ-અલગ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન અપનાવવાનું શરૂ કરી દીધું છે, ઈરફાન પઠાણે આ નિર્ણયનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે.
‘હું આ બાબતોનું સમર્થન કરતો નથી’
ઈરફાન પઠાણે કહ્યું કે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન બનાવવામાં આવ્યા છે, આ યોગ્ય નથી. રોહિત શર્માએ વ્હાઇટ બોલ ક્રિકેટથી દૂર રહીને સ્પષ્ટ કરી દીધું છે કે તે T20 અને ODIથી દૂર રહેવા માંગે છે અને માત્ર ટેસ્ટ મેચ રમશે. હાર્દિક પંડ્યા આ વર્ષની શરૂઆતથી જ વ્હાઇટ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. તે જ સમયે, 2022 ની શરૂઆતથી કેએલ રાહુલ અને શિખર ધવનને કેપ્ટનશિપ આપવામાં આવી રહી હતી, હું આ બાબતોનું સમર્થન કરતો નથી.


