આહિરાણીઓની અનન્ય ભક્તિ: ઉપવાસ કરીને મહારાસમાં જોડાયા
બે કલાક અને ૬૮ રાઉન્ડમાં રજૂ થયા ૩૭ પ્રાચીન રાસ:
જગત મંદિર સુધીની મૌન રેલી બાદ મહારાસ ‘શ્રી કૃષ્ણાર્પણમ’
દ્વારિકમાં ૩૭ હજારથી પણ વધારે આહીરાણીના મહારાસમાં જાણે કૃષ્ણનું વિશ્વસ્વરૂપના દર્શન થયા હતા , ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે આજે ઐતિહાસિક ધર્મમય માહોલ વચ્ચે સદીઓ જૂની પરંપરાને ઉજાગર કરતો અનોખો વિક્રમ સર્જાયો છે. એસએસસી ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના ઉપક્રમે એક સાથે એક જ મેદાનમાં ૩૭,૦૦૦થી વધુ આહીર મહિલાઓએ આભૂષણો અને પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈને ભગવાન શ્રીકૃષ્ણ માટે રાસ રમીને અનોખી કૃષ્ણભક્તિ કરી હતી, જેણે સમગ્ર વિશ્વ માટે એક સંદેશો છોડીને સદીઓ જૂની પરંપરા જીવંત કરી દીધી હતી. આહીર સમાજની વિશાળ મૌન રેલી જગત મંદિર સુધી પહોંચી હતી, અને આ મહારાસનું શ્રીકૃષ્ણને ભાવાર્પણ કરવામાં આવ્યું હતું.
આહીર સમાજના મહિલાઓના એક વિચારને મૂર્તિમંત કરવા સમગ્ર આહીર સમાજના વડીલો, આગેવાનો સાથે મહિલાઓ, બહેનો દ્વારા કૃષ્ણ નગરી દ્વારકામાં આહીરાણી મહારાજનાં આયોજનના પ્રારંભે શનિવારે સન્માન સમારોહ અને સમૂહ ભોજન બાદ રાત્રે જાણીતા કલાકાર માયાભાઈ આહીર તેમજ અન્ય કલાકારોનો લોકડાયરો ઉપસ્થિત મેદનીએ માણ્યા હતા. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જ્ઞાાતિના ૩૫ જેટલા કલાકારો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને અનુલક્ષીને નવોદિત કલાકારો દ્વારા સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કચ્છના જાણીતા સભીબેન આહીર દ્વારા વ્રજવાણીનો ઐતિહાસિક રાસ તેમજ બેડા રાસ પણ રજૂ કરાયો હતો.
અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના નેજા હેઠળ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિસમા મહારાસના મુખ્ય કાર્યક્રમ માટે દ્વારકામાં કૃષ્ણ મંદિર નજીક આવેલા રૃક્ષ્મણી મંદિર નજીકના વિશાળ મેદાનમાં ૮૦૦ વીઘા જેવડી જગ્યામાં નંદધામ પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં આજે સવારે ૫.૩૦ વાગ્યાથી બહેનો એકત્ર થયા હતા. કાર્યક્રમના પ્રારંભે આબુના વિશ્વવિખ્યાત બ્રહ્માકુમારી ઉષાદીદીએ ભાગવત ગીતા પર પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ દ્વારકાના શંકરાચાર્યજી દ્વારા પણ તમામને આશીર્વાદ આપતું ઉદબોધન કરાયું હતું.
સવારે આઠેક વાગ્યાથી મહારાસનો પ્રારંભ થયો હતો, જે દસેક વાગ્યા સુધી અવિરત રીતે રીતે ચાલ્યો હતો. ૩૭ જેટલા પ્રાચીન અને પરંપરાગત કૃષ્ણ રાસના તાલે આહિર જ્ઞાાતિના મહિલાઓ, બહેનોએ ખૂબ જ સુંદર રીતે ધામક માહોલમાં રાસ રજૂ કર્યા હતા.
વિશાળ ગ્રાઉન્ડમાં ૬૮ જેટલા ગોળ રાઉન્ડમાં આહિરાણીઓએ રમેલા આ મહારાસ દરમિયાન સંપૂર્ણપણે મૌનવ્રત તેમજ ઉપવાસ ધારણ કરી, કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા હતા. પરંપરાગત પહેરવેશ તેમજ સુંદર આભૂષણો સાથે રાસ રમતા મહિલાએ પ્રાચીન પરંપરા ઉજાગર કરી હતી. મહારાસમાં સહભાગી થવા માટે દુબઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, સાઉથ આફ્રિકા વગેરે દેશોમાંથી પણ બહેનો સહભાગી થયા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં જોડાનાર ૩૭,૦૦૦ જેટલા આહીરાણીઓને અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મરણચિન્હરૃપે ગીતાજીનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. આ અલૌકિક નજારો જોવા આશરે બે લાખથી વધુ લોકો આજે એકત્ર થયા હતા.
મહારાસની પૂર્ણાહુતિ બાદ આહીર સમાજના શ્રેષ્ઠિઓ, આગેવાનો, નેતાઓ, કાર્યકરો વિગેરે દ્વારા વિશ્વ શાંતિ માટે જગત મંદિર સુધી મૌન રેલી સ્વરૃપે જઈને આ મહારાસ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવ્યો હતો. આ અવસરે આહીર સમાજની જુદી જુદી પાંખો એક છત્ર હેઠળ જોડાઇ હતી. દેશભરમાંથી દોઢ લાખ જેટલો આહીર સમુદાય સાક્ષી બન્યો હતો.
બે દિવસ દરમિયાન લાખો લોકોએ સમૂહમાં ભોજન પણ લીધું હતું, જે માટે કાર્યકરોની ટીમની જહેમત પણ કાબિલેદાદ બની રહી હતી.