મહારાષ્ટ્રના સ્પીકરે ધાર્યા પ્રમાણે જ ચુકાદો આપ્યો છે અને એકનાથ શિંદ આણી મં઼ડળી બચી ગઈ છે ત્યારે હવે લોકસભા સાથે વિધાનસભાની ચૂંટણીઓ પણ કરી નખાશે કે કેમ?
મહારાષ્ટ્રમાં પક્ષપલટો કરનારા શિવસેના અને એનસીપીના ધારાસભ્યોનું બંધારણીય અને કાયદાકીય રીતે શું થશે તેનો સસ્પેન્સ હવે પૂરો થયો છે. વિધાનસભાના સ્પીકર રાહુલ નારવેકરે ધ્રાયા પ્રમાણે જ ચુકાદો આપ્યો છે અને કહ્યું છે કે એકનાથ શિંદેના જૂથ પાસે જ બહુમતી છે અને તેના પક્ષના બંધારણ અનુસાર વિધાનસભા પક્ષના દંડક કોણ બની શકે, કેવી રીતે વ્હીપ આપી શકાય વગેરે બાબતોનો ઉલ્લેખ કરીને શિંદે સાથેના 16 ધારાસભ્યોને લાયક જ ગણ્યા છે. આમ પણ બે તૃતિયાંશથી વધારે સભ્યો એકનાથ શિંદે સાથે હતા એટલે તેમનું જૂથ મોટું હતું અને સ્પિલ્ટ થયાનું માની શકાય તેમ હતું. પરંતુ બળવાખોરી શરૂ થયું ત્યારે તરત જ ઉદ્ધવ ઠાકરેએ નવા દંડકની નિમણૂક કરી હતી અને શિંદે સાથેના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા માટેની અરજી સ્પીકરને કરી હતી.
એ એક પ્રકારની કાનૂની, બંધારણીય અને સ્ટ્રેટેજિક લડાઈ હતી, કેમ કે ધારાસભ્યો શિવ સેનાએ ગુમાવ્યા છે તે સ્પષ્ટ થઈ ગયું હતું. પરંતુ કાનૂની અને બંધારણીય પ્રણાલીઓનું પાલન થાય એ જરૂરી પણ છે. રાજકીય વાસ્તવિકતા એ છે કે એવી પ્રણાલીઓ પાળવાનું કોઈ રાજકીય પક્ષોને ગમતું નથી. યેનકેનપ્રકારેણ સત્તા પ્રાપ્ત થવી જોઈએ અને ટકવી જોઈએ એ એક જ હેતું હોય છે.
રાજકીય પક્ષો, રાજકીય પક્ષના મોવડીઓ એવું કરશે એ પણ આપણે જાણીએ છીએ. મતદારો જાણતા હોય છે કે શું ચાલી રહ્યું છે અને તે જાણીને પણ મતદાન કરતા હોય છે. ભ્રષ્ટાચારીઓને, માથાભારે લોકોને વારંવાર પ્રજાએ ચૂંટ્યા છે એ પણ સૌની જાણકારીમાં છે. પરંતુ સ્પીકર અને રાજ્યપાલ જેવા બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિ નેતાઓથી અલગ વર્તન કરશે એવી અપેક્ષાઓ છે. આવી આશા અને અપેક્ષા અસ્થાને છે અને ક્યારેય ફળતી નથી તેવી વાસ્તવિકતાથી મોં વકાસીને બેસી જઈએ તે પણ યોગ્ય નથી.
સ્પીકર તરીકે અને રાજ્યપાલ તરીકે પસંદ થયેલી વ્યક્તિએ એ પ્રકારનું વર્તન કરવું જોઈએ, જેથી અેમ લાગે કે તેમના દ્વારા તટસ્થ રીતે નિર્ણયો લેવાયા છે. આજકાલ તો એવું લાગતું પણ નથી. રાહુલ નારવેકરની વફાદાર શિંદે જૂથ સાથે રહેશે, સરકાર સાથે રહેશે એવું સૌએ ધારી લીધું હતું અને એવું જ થયું છે.
એટલે ધારણા પ્રમાણે જ થયું છે અને સ્પીકર તરીકે નારવેકરે ચુકાદો આપી દીધો છે કે શિંદે અને તેમના સાથીઓ લાયક જ છે. તેમને ગેરલાયક ઠરાવી શકાય તેમ નથી અથવા તો તેમને ધારાસભ્ય પદથી દૂર કરી શકાય તેમ નથી. હવે અસલી લડાઈ સુપ્રીમ કોર્ટમાં થશે, કેમ કે સ્પીકર એકવાર ચુકાદો આપે તે પછી તેના પર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો વિચાર કરી શકે છે. સ્પીકરે શું ચુકાદો આપવો તેના માટે કોઈ નિર્દેશ અદાલતો આપતી નથી. ભૂતકાળમાં પણ વારંવાર ન્યાયાધીશોએ એ વાત સ્પષ્ટ કરી છે કે સ્પીકર અને રાજ્યપાલનું બંધારણીય પદ હોવાથી તેમણે શું કામગીરી કરવી તે તેમણે જાતે નક્કી કરવાનું છે.
બંધારણીય મર્યાદાઓમાં રહીને સ્પીકર કે રાજ્યપાલ નિર્ણય લે તે પછી પણ કોઈ એક પક્ષને અસંતોષ રહેવાનો. તેવા સંજોગોમાં હવે આ પ્રકારના નિર્ણયો સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. મામલો હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી પણ ગયો હતો અને ઉદ્ધવ ઠાકરેની શિવ સેના તરફથી કોર્ટમાં અરજી પણ થઈ હતી. પરંતુ તેમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધેલું. વિધાનસભાના ફ્લોર પર બહુમતી માટેનો સંઘર્ષ થાય તે પહેલાં જ તેમણે ગાદી છોડી દીધેલી.
વ્યૂહાત્મક રીતે તે પગલું લાગતું હતું અને સર્વોચ્ચ અદાલતે પણ ટીપ્પણી કરેલી કે આ બાબતમાં હવે મુખ્ય પ્રધાને રાજીનામું આપી જ દીધું છે ત્યારે વધારે કોઈ સૂચના આપવાનો સ્કોપ રહેતો નથી.
હા, તે વખતે સર્વોચ્ચ અદાલતે એટલું કહ્યું હતું કે સ્પીકર હવે આ બાબતમાં શું નિર્ણય કરે છે તેની રાહ જુઓ. ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા કે નહીં, એ જૂથના વ્હીપને કેટલો વાજબી ગણવો વગેરે મુદ્દા પર એક વાર નિર્ણય થઈ જવા દો. નિર્ણય થયા પછી તમે ફરીથી અદાલતમાં આવી શકો છો.
થયું એવું કે સ્પીકર નારવેકરે નિર્ણય લેવાનું જ ટાળવાનું રાખ્યું હતું. મહિનાઓ સુધી તેમણે કોઈ નિર્ણય જ જાહેર ના કર્યો. એથી આખરી સર્વોચ્ચ અદાલતે કહેવું પડ્યું કે કોઈ નિર્ણય લેવા માટે સમય લાગી શકે છે, પણ અનંત સમય સુધી મામલાને પેન્ડિંગ રાખી શકાય નહીં. કોઈ એક તબક્કે નિર્ણય લેવો જરૂરી છે. કેટલા મહિને લેવો, કેટલા દિવસે લેવો તેની કોઈ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે, પણ રિઝનેબલ ટાઈમમાં કામ થયું એટલું તો લાગવું જોઈએ.
એવું પણ ના થયું ત્યારે સર્વોચ્ચ અદાલતે તાકિદ કરી અને ડિસેમ્બર 2023ના અંત સુધીમાં નિર્ણય લઈ લેવાની મુદત જ આપી દીધી હતી. તે મુદત પણ ટળી ગઈ હતી. ફરી એક વાર કારણો રજૂ કરીને વધુ સમય માગવાાં આવ્યો હતો અને અદાલતની પણ મજબૂરી હોય છે કે તારીખ પે તારીખ આપવી પડે છે. આખરે વધુ એક વાર મુદત અપાઈ પણ આખરી હતી એટલે 10 જાન્યુઆરીએ નિર્ણય આવી ગયો છે.
આ નિર્ણય સામે હવે ઉદ્ધવ ઠાકરેની શિવ સેના અદાલતમાં જશે. આવો જ કિસ્સો એનસીપીનો છે. એનસીપીના ધારાસભ્યોનો પણ હવે આ જ રીતે નિર્ણય સ્પીકરે કરવાનો છે. તેમાં હવે કેટલો સમય લાગે છે તે જોવાનું રહે છે. પણ સમગ્ર ઘટનાક્રમ પ્રમાણે થોડા અઠવાડિયાના વિલંબ સાથે તેનો પણ નિર્ણય તો લેવો પડશે.
તે પછી શું થશે તે ઇન્ટરેસ્ટિંગ છે. અદાલતમા સ્પીકર વિરુદ્ધ અરજી થશે, પણ સાથે જ આ રાજકીય લડત છે એટલે તેને રાજકીય રીતે પણ લડવાની છે. એક તક્કે એવું લાગતું હતું કે ભાજપની જ ઈચ્ચા છે કે શિંદે અને તેના સાથીઓ ગેરલાયક ઠરે. એ બહાને તેમને કહી શકાય કે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામુ આપો અને ફરીથી ચૂંટણી લડો. તમને જ સીએમ બનાવીશું એવું વચન આપવાના કંઈ બેસતા નથી. એનસીપીના પક્ષપલ્ટુઓ તો સાથે છે જ.
જોકે ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં સીએમ બદલવા પડે તેવી સ્થિતિ પસંદ કરી નથી. પરંતુ આ સ્થિતિને લાંબી ખેંચવાના બદલે લોકસભા સાથે મહારાષ્ટ્રની ચૂંટણી કરાવી નાખવાની કોશિશ થશે તેવું મનાય છે. શિંદે જૂથ વધારે આત્મવિશ્વાસથી કામ કરે અને મજબૂત થાય અને આ બધું જોઈને અજિત પવાર પણ આત્મવિશ્વાસમાં આવી જાય તે પહેલાં ભાજપ તેમને ચૂંટણીમાં ઉતારી પણ શકે છે. ભાજપને ફાયદો એ થાય કે લોકસભા અને વિધાનસભા બંનેની ચૂંટણી સાથે હોય ત્યારે મહા વિકાસ અઘાડીને ચૂંટણી લડવાનું અઘરું બની જાય. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસના નેતાઓ માટે સ્થિતિ મુશ્કેલ બને. બીજું વન નેશન, વન ઇલેક્શનનો મુદ્દો પોતે અમલમાં મૂકે છે એવું પણ ભાજપ કહી શકે અને વિધાનસભામાં પણ શિંદે કે અજિત પવાર પર આધાર રાખવાના બદલે એકલે હાથે સત્તા મેળવવાનું સપનું જોઈ શકે.