- મેચ બાદ આ યુવા ઓપનરે ઘણા મોટા ખુલાસા કર્યા
- વિરાટ અને રોહિત અંગે જ્યસ્વાલની પ્રતિક્રિયા
- વિરાટ સાથે બેટિંગ કરવી મારા માટે સન્માનની વાત
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રવિવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી T20 મેચ રમાઈ હતી. આ મેચ 6 વિકેટથી જીતીને ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતની આ જીતમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે મહત્વની ભૂમિકા ભજવી હતી. જયસ્વાલે માત્ર 34 બોલમાં 68 રનની તોફાની ઇનિંગ રમી હતી. મેચ બાદ આ યુવા ઓપનરે ઘણા મોટા ખુલાસા કર્યા છે.
ઓપનર યશસ્વી જયસ્વાલ ભારતીય બેટિંગ ક્રમમાં પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટ છે અને તેણે કહ્યું કે તે અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચમાં સારી સ્ટ્રાઈક રેટ સાથે ટીમને સારી શરૂઆત આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જયસ્વાલે 34 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી જ્યારે શિવમ દુબે 32 બોલમાં 63 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ભારતને છ વિકેટે જીત અપાવી હતી.
મેચ બાદ જયસ્વાલે શું કહ્યું?
મેચ બાદ યશસ્વી જયસ્વાલે કહ્યું, “મને મારી નેચરલ રમત રમવા માટે કહેવામાં આવ્યું હતું અને હું તે કરવાનો પ્રયાસ કરી રહી હતો. હું ખરાબ બોલને ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારું ધ્યાન ટીમને સારી શરૂઆત આપવા પર હતું.” “ટીમને સારી શરૂઆત અપાવ્યા બાદ હું લાંબા સમય સુધી બેટિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું સારા સ્ટ્રાઈક રેટ પર રન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો.” 22 વર્ષની યશસ્વી જયસ્વાલે વધુમાં કહ્યું કે “હું પ્રેક્ટિસ સેશન દરમિયાન સખત મહેનત કરું છું. જ્યારે પણ મને તક મળે છે, ત્યારે હું મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું. હું ટીમ માટે મારું સર્વશ્રેષ્ઠ યોગદાન આપું તે મારા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે.”
વિરાટ-રોહિત અંગે જ્યસ્વાલની પ્રતિક્રિયા
જયસ્વાલને પૂછવામાં આવ્યું કે તેણે સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી સાથે ક્રિઝ પર શું વાતચીત કરી. આના જવાબમાં તેણે કહ્યું, “જ્યારે પણ હું વિરાટ ભૈયા સાથે બેટિંગ કરું છું, તે મારા માટે સન્માનની વાત છે. મને તેમની પાસેથી ઘણું શીખવા મળે છે. ઉદાહરણ તરીકે, અમે ચર્ચા કરી કે મારે ક્યાં શોટ મારવા જોઈએ.” રોહિત શર્મા વિશે જયસ્વાલે કહ્યું, ” તેઓ હંમેશા મને મારી નેચરલ રમત રમાવા અંગેની સ્વતંત્રતા આપે છે. તેઓ હંમેશા અમારા માટે ઉપલબ્ધ હોય છે. જો તમારી પાસે કોઈ આવા સિનિયર ખેલાડી છે તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”


