- સંવત્સરીના દિવસે મિચ્છામી દુક્કડ્મ કહીને દરેક વ્યક્તિની માફી માગવાની હોય છે
જૈન ધર્મનાં પર્વોમાં પર્યુષણ અને સંવત્સરીનું વિશેષ મહત્ત્વ છે. પર્યુષણનો સમયગાળો આઠ દિવસનો હોય છે અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના)દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે. એટલે ચોમાસામાં શ્રાવક-શ્રાવિકાઓને આ આધ્યાત્મિક ગુરુઓના સાન્નિધ્ય-માર્ગદર્શનમાં લાંબા સમય સુધી ધર્મારાધનાની તક મળે છે. પર્યુષણનો સામાન્ય અર્થ જોડવું કે નજીક આવવું કરી શકાય. તેનો થોડો સૂક્ષ્મ અર્થ કરીએ તો આત્મભાવમાં સર્વ પ્રકારે વસવું, આત્માની નજીક વસવું. થાય.
આ પર્વ આત્મશુદ્ધિનું છે. તેથી તેમાં ઉપવાસ, ધ્યાન, શ્રવણ વગેરે જેવા ધર્મકાર્યોમાં મન પરોવવાનું હોય છે. નિયમિત રીતે સવારે ઉપાશ્રયમાં જૈન સાધુ શ્રાવક-શ્રાવિકાઓ સમક્ષ ધાર્મિક વ્યાખ્યાન આપે છે. આ વ્યાખ્યાનમાં જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનું જીવનચરિત્ર આલેખાયેલું છે તે પવિત્ર ધર્મગ્રંથ કલ્પસૂત્રનું વિધિવત્ પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી ભગવાન મહાવીરના ચરિત્રનું વાંચન થાય છે. ભાદરવા સુદ એકમે મહાવીર જન્મવાંચન થાય છે. તે દિવસે ભગવાન મહાવીર માતા ત્રિશલાદેવીને તેઓ ગર્ભમાં હતા ત્યારે આવેલાં ચૌદ શુભ સ્વપ્નોનું દર્શન કરાવવામાં આવે છે. તે ચૌદ સ્વપ્નો છે : (1) શ્વેત હાથી (2) શ્વેત વૃષભ (3) સિંહ (4) કમલાસના લક્ષ્મીદેવી (5) પુષ્પમાળા (6) ચંદ્ર (7) સૂર્ય (8) ધજા (9) કળશ (10) પદ્મસરોવર (11) ક્ષીરસમુદ્ર (12) દેવવિમાન, (13) રત્નરાશિ (14) અગ્નિ.
પર્યુષણનો ઉદ્દેશ્ય પણ ખરેખર સમજવા જેવો છે. પર્યુષણનો ઉદ્દેશ્ય તમામ નકારાત્મક વિચારો, નકારાત્મક ઊર્જા અને મનની ખરાબ આદતોનો નાશ કરવાનો છે. પર્યુષણને પર્વાધિરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, જૈન ભક્તો મૂળભૂત વ્રતો જેમ કે જ્ઞાન, વિશ્વાસ તથા યોગ્ય આચરણ પર ભાર મૂકે છે. પર્યુષણ પર્વ મનમાં રહેલા તમામ પ્રકારના નકારાત્મક વિચારો, ઊર્જા અને ખરાબ ટેવોનો નાશ કરે છે. આ તહેવાર દરમિયાન તપસ્યાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે.
પર્યુષણમાં ચોવીસ તીર્થંકરોની પૂજા, સેવા તથા સ્મરણ કરવામાં આવે છે. જેમ શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ છે તેમ પર્યુષણમાં પણ સૌથી વધારે મહત્ત્વ ઉપવાસનું છે. ઉપવાસ દ્વારા વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વયંને તપસ્યા માટે સમર્પિત કરી શકે છે. પર્યુષણમાં ઉપવાસનો સમયગાળો એક દિવસથી લઈ ત્રીસ દિવસ સુધીનો હોય છે. જેમાં સૂર્યોદયથી લઈ સૂર્યાસ્તની વચ્ચે માત્ર ઉકાળેલું પાણી જ ગ્રહણ કરી શકાય છે. સૂર્યાસ્ત પછી પાણી પણ લઈ શકાતું નથી.
પર્યુષણનો છેલ્લો દિવસ બહુ મહત્ત્વનો હોય છે. તે દિવસે લગભગ બધા જૈનો ઉપવાસ કરે છે. આ દિવસ સાંવત્સરિક ક્ષમાપનાનો છે. વર્ષ દરમિયાન કરેલ હાનિ-ઈજા-દુ:ખ બદલ જૈનો સર્વ જીવોની ક્ષમા યાચે છે અને સર્વ જીવોને ક્ષમા આપે છે. ‘સર્વ જીવો પ્રત્યે મારે મૈત્રીભાવ છે, કોઈની સાથે મને વેર નથી’ એવો ભાવ હૃદયમાં પોષે છે. સાથે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવામાં આવે છે.
માનસિક, વાચિક કે કાયિક કર્મથી કરેલાં પાપને ધોવા ખૂબ જ જરૂરી છે. તો જ વ્યક્તિ પોતાના આંતરમનને નિરોગી રાખી શકશે અને આના માટેનો જો કોઈ શ્રેષ્ઠ રસ્તો હોય તો તે પ્રાયશ્ચિત કે ક્ષમાપના જ છે. સાચા મને માગેલી માફી કે કરેલો પસ્તાવો સમગ્ર પાપોનો નાશ કરી નાખે છે.
તીર્થંકર પ્રભુ મહાવીર કરુણાના સાગર છે. તેમનો મુખ્ય સંદેશ અહિંસા તથા જીવદયા છે. પ્રભુ કહે કે જીવ તું જગતના તમામ જીવો પ્રત્યે પ્રેમભાવ રાખ. તું દરેક જીવો પ્રત્યે દયા-કરુણા અને અનુકંપા રાખ. કોઈ પણ જીવની ભૂલને માફ કરી દે. સામેની વ્યક્તિને ક્ષમા આપી દે. વળી પોતાનાથી કોઈ ભૂલ થઈ હોય તો સામેની વ્યક્તિની સાચા મનથી માફી માગી લે. સંવત્સરીના દિવસે મિચ્છામી દુક્કડ્મ કહીને દરેક વ્યક્તિની માફી માગવાની હોય છે. આખા વર્ષ દરમિયાન જેની પણ સાથે લડવા-ઝઘડવાના, કલેશ-કંકાસના પ્રસંગો બન્યા હોય, જાણેઅજાણે કોઈની લાગણી દુભાઈ હોય, કોઈના મનને ઠેસ પહોંચાડી હોય, કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય, કટુ વચન કહ્યાં હોય કે કોઈ રીતે હિંસા થઈ હોય તો તેની ક્ષમા માગવાની છે. વર્ષ દરમિયાન જેની પણ સાથે અબોલા થયા હોય તેની સાથે બધાં વેરઝેર, રાગદ્વેષને ભૂલવાના છે. આના માટે મિચ્છામી દુક્કડ્મ કહીને માફી માગવાની તથા માફી આપવાની હોય છે. સૌને મિચ્છામી દુક્કડ્મ…