- ચાલુ વર્ષે પાંચ મહાનુભાવોને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન
- અગાઉ કર્પૂરી ઠાકુર, અડવાણીને આપવાની જાહેરાત થઈ ચૂકી છે
- અડવાણી સિવાયના ચારેય મહાનુભાવોને આ સન્માન મરણોપરાંત અપાશે
1991ના આર્થિક સુધારાના પ્રણેતા ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ, ખેડૂતોના તારણહાર ગણાતા ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ અને હરિતક્રાંતિના જનક ડૉ. એમ.એસ. સ્વામિનાથનને ભારતરત્ન આપવાની પીએમ મોદીની જાહેરાત
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાનો-ચૌધરી ચરણસિંહ અને પી. વી. નરસિમ્હા રાવને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. વિજ્ઞાની એમ. એસ. સ્વામિનાથનને પણ ‘ભારત રત્ન’ અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પછી એક ત્રણ પોસ્ટ કરીને ત્રણેય હસ્તીઓ વિશે લખીને તેમને આ સન્માન આપવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરને પણ ‘ભારત રત્ન’થી નવાજવાની જાહેરાત કરાઈ હતી. અડવાણી સિવાયના ચારેય મહાનુભાવોને આ સન્માન મરણોપરાંત અપાશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમણે આપેલા અતુલ્ય યોગદાનને સમર્પિત છે. તેમણે ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. ખેડૂતો માટેનો તેમનો સમર્પણભાવ અને કટોકટી દરમિયાન લોકશાહી માટેની તેમની કટિબદ્ધતા આખા દેશને પ્રેરિત કરનારી છે. નરસિમ્હા રાવને ‘ભારત રત્ન’ સન્માન અંગે મોદીએ કહ્યું કે એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજકારણી તરીકે તેમણે દેશની વ્યાપક સ્તરે સેવા કરી. તેમનું દૂરદર્શી નેતૃત્વ ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવામાં, દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મજબૂત પાયો નાખવામાં સહાયક બન્યું હતું.
વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળમાં વૈશ્વિક બજારો માટે ભારતના દ્વાર ખોલી દેવાયા, જેનાથી આર્થિક વિકાસના એક નવા યુગને પ્રોત્સાહન મળ્યું જ્યારે ડૉ. એમ. એસ. સ્વામિનાથન એક એવી હસ્તી હતા કે જેમને હું નજીકથી ઓળખતો હતો અને તેમની અંતદૃષ્ટિ તથા તેમના ઇનપુટ્સને હંમેશા મહત્ત્વ આપતો હતો. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા ઉત્તમ પ્રયાસો કર્યા હતા. તેમના દૂરદર્શી નેતૃત્વએ દેશમાં ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરી. કૃષિ ક્ષેત્રના નિષ્ણાતનું પ્રથમવાર આ રીતે અભિવાદન થવા જઈ રહ્યું છે.
વડાપ્રધાને દિલ જીતી લીધું : જયંત ચૌધરી
પૂર્વ વડાપ્રધાન અને દિગ્ગજ ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાની નરેન્દ્ર મોદી સરકારની જાહેરાતથી ચૌધરી ચરણસિંહના પૌત્ર અને રાષ્ટ્રીય લોક દલ (રાલોદ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીએ ખૂબ આનંદ સાથે વડાપ્રધાન મોદીનો આભાર માનતા કહ્યું કે, તમે દિલ જીતી લીધું. તેમણે પીએમ મોદીની પોસ્ટને રિપોસ્ટ પણ કરી હતી. ચૌધરી ચરણસિંહને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાની મોદી સરકારની જાહેરાત બાદ જયંત ચૌધરીએ તેમના પક્ષના કાર્યકરો-સમર્થકોમાં મીઠાઇ પણ વહેંચી હતી. તેઓ એનડીએમાં જોડાશે કે નહીં એવું પત્રકારોએ પૂછતાં જયંતે કહ્યું હતું કે, એમાં કોઇ શંકા છે ખરી? હું આજે કેવી રીતે ના પાડી શકું? અમારી વર્ષો જૂની માગણીનો સ્વીકાર થયો છે.
મારા પિતાજી હયાત હોત તો તેમને ઘણો આનંદ થાત : સૌમ્યા સ્વામિનાથન
એમ. એસ. સ્વામિનાથને કૃષિક્ષેત્રે આપેલા યોગદાનની કદર કરવા બદલ તેમના પુત્રી સૌમ્યા સ્વામિનાથને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને તેમની સરકારનો આભાર માનતા કહ્યું હતું કે, અમે વડાપ્રધાનના અને ભારત સરકારના ખૂબ આભારી છીએ. મારા પિતાજી આજે હયાત હોત તેમને ઘણો આનંદ થયો હોત કેમ કે તેમણે આખી જિંદગી દેશની સેવા કરી. મને ખાતરી છે કે જો આ સમાચાર તેમની હયાતીમાં આવ્યા હોત તો તેઓ પણ ખુશ થયા હોત પરંતુ તેઓ પુરસ્કારો કે પ્રસિદ્ધિ માટે કામ કરનારા માણસ નહોતા. તેઓ ગ્રાઉન્ડ લેવલે જે કાર્યો કરતા હતા તેના પરિણામોથી તેઓ પ્રેરણા-પ્રોત્સાહન મેળવતા હતા.
થોડો વિલંબ થયો, પણ વાંધો નહીં નરસિમ્હા રાવના પુત્રી
પૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિમ્હા રાવના પુત્રી અને BRSના વિધાન પરિષદ સભ્ય વાણીદેવીએ તેમના પિતાને ‘ભારત રત્ન’થી નવાજવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પક્ષાપક્ષીના ભેદભાવથી ઉપર ઊઠીને મારા પિતાને ‘ભારત રત્ન’ સન્માન આપવાનો નિર્ણય આપણા વડાપ્રધાનના સારા મૂલ્યો અને સારી રીતભાત દર્શાવે છે. મારા પિતાને આ સન્માન મળવામાં થોડો વિલંબ થયો છે પણ કંઇ વાંધો નહીં. જો કે નરસિમ્હા રાવના પૌત્ર એન. વી. સુભાષે ગાંધી પરિવારની ટીકા કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની નિષ્ફળતા માટે ગાંધી પરિવાર દ્વારા નરસિમ્હા રાવને બલીનો બકરો બનાવાયા હતા. મારા દાદા કોંગ્રેસ પક્ષના હોવા છતાં પીએમ મોદીએ તેમનું સન્માન કર્યું.


